માટીમાં રહેલાં તમામ તત્ત્વોનું પાચન શરીર સરળતાથી કરી શકતું નથી. પરિણામે પોષક રસનું વહન કરનારા માર્ગમાં માટીના કણો અવરોધ પેદા કરીને, ‘પાંડુરોગ’ની સમસ્યામાં ઉલટાનો વધારો કરે છે
જનશ્રુતિ : કહે છે કે હોલો જ્યારે ચણ ચણતો હોય છે ત્યારે દાણાની સાથે નાની કાંકરી પણ ચણી જતો હોય છે જો કે આ તો માત્ર જનશ્રુતિ છે. પક્ષીવિદોના મતે હોલો રેતીની કાંકરીઓ ન પણ ચણતો હોય.
એ જે હોય તે, પરંતુ નાનાં બાળકોને ઘરની ભીંતોનો ચૂનો ઉખાડીને ખાતા જોયા છે, માટી ખાતા જોયા છે. અને ગર્ભવતી સ્ત્રીઓને ઘણીવાર માટી ખાતી જોઈ છે અને એવું પૂછતી અને કહેતી સાંભળી છે કે મને માટી ખાવાનું બહુ મન થાય છે.
મૂદ્ ભક્ષણેચ્છા : આયુર્વેદના આચાર્યોએ પાંડુરોગ (એનિમિયા)માં મુદ્ ભક્ષણેચ્છા એટલે કે માટી ખાવાની ઇચ્છા થવીનો એક લક્ષણ તરીકે ઉલ્લેખ કર્યો છે. પાંડુરોગની શરૂઆતથી જ કેટલાકને માટી ખાવાની ઇચ્છા થાય છે.
પંચમહાભૂતોથી બનેલા આપણા શરીરમાં લોહ, કેલ્શિયમ જેવાં પાર્થિવ તત્ત્વોની જ્યારે ઉણપ સર્જાય છે ત્યારે જે તે વ્યક્તિ તે ઉણપની પૂર્તિ માટેના પ્રયત્નો કરે છે.‘માટી ખાવાની ઇચ્છા’એ પણ ઉપર્યુક્ત પ્રયત્નના ભાગરૂપે જ શરીર વ્યક્ત કરે છે.
માટી : માટીમાંથી કેલ્શિયમ, લોહતત્ત્વો, થોડા પ્રમાણમાંથી મળી રહેતાં હશે, પરંતુ માટીમાં રહેલાં તમામ તત્ત્વોનું પાચન શરીર સરળતાથી કરી શકતું નથી. પરિણામે પોષક રસનું વહન કરનારા માર્ગમાં માટીના કણો અવરોધ પેદા કરીને, ‘પાંડુરોગ’ની સમસ્યામાં ઉલટાનો વધારો કરે છે. બાળકોની આદત જો આ પ્રમાણે ચાલુ રહે તે ‘હાથ-પગ દોરડી અને પેટ ગાગરડી’ જેવી દેહાકૃતિ સર્જાય છે. અને શરીર દિવસે-દિવસે ફિક્કું ફસ થતું જાય છે.’
ગર્ભવતી સત્રી : ગર્ભવતી સત્રીઓનો રસ-રક્તનો મોટાભાગનો પુરવઠો ગર્ભના પોષણમાં વપરાતો હોય છે. જેના કારણે સ્ત્રી શરીરમાં રક્તક્ષીણતા(એનિમિયા) ઊભી થાય છે. એ ઉપરાંત સગર્ભાવસ્થામાં ખોરાક પ્રત્યે સહજ અરુચિ, ઉલટી થવી વગેરે કારણોથી પણ શરીરમાં રક્તનિર્માણની પ્રક્રિયા મંદ પડે છે અને એનિમિક સ્થિતિ ઊભી થાય છે. એવી જ રીતે આર્તવપ્રવૃત્તિના દિવસોમાં પણ સાર્વદૈહિક રક્તની માત્રા ઘટે છે અને લોહીનું દબાણ ઘટતાં ચક્કર, થાક, અશક્તિ વગેરે ચિહ્નો પેદા થાય છે.
આમ, જ્યારે પણ પાંડુતાની પરિસ્થિતિ શરીરમાં ઊભી થાય ત્યારે કેટલીક સ્ત્રીઓ અને બાળકોમાં સહજ રીતે જ માટી ખાવાની ઇચ્છા થઈ આવે છે.
ઉપચાર :
વાવડિંગવાળું ગાયનું દૂધ : બાળકોને વાવડિંગ નાખીને ઉકાળેલું ગાયનું દૂધ આપવું. વાવડિંગ કુમિઘ્ન એટલે કરમિયાને હટાવનાર છે. અને ગાયના દૂધમાં કેલ્શ્યમ અને વીટામિન ડી બંને હોવાથી કેલ્શિયમની ક્ષતિ પૂર્તિ થાય છે.
કેલ્શિયમ આમાંથી મળી શકે : ગાયનું દૂધ, ગાયનું દહીં, છાશ, પનીર, નારંગી, વાલ, બદામ, પાલક, સરસવ, તલ, મેથીની ભાજી.
સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ - info@nirvikalpyogaacademy.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020