ભારતનાં બીજા રાજ્યોના પ્રમાણમાં આપણે ગુજરાતીઓ વધારે તેલ ખાઇએ છીએ અને ‘માલિશ’ નામની રોગ પ્રતિકાર ચિકિત્સા પદ્ધતિને સાવ ભૂલી ગયા છીએ. જે ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના લોકોએ આજ દિવસ સુધી જાળવી રાખી છે.
આયુર્વેદ વિજ્ઞાને માલિશ માટે ‘અભ્યંગ’ શબ્દ પ્રયોજ્યો છે. આખા શરીરે તેલથી માલિશ કરવું કે કરાવવું તે સર્વાંગ અભ્યંગ કહેવાય છે. પંચકર્મ ચિકિત્સા પૂર્વે પણ આ એક અગત્યની પ્રકિયા છે.
બાળકના જન્મ પછી બાળક અને માને માલિશ કરવાની આપણી પરંપરા જળવાઈ રહી છે. બાળકને ત્રણ વર્ષે સુધી નિયમિત માલિશ કરવું જોઇએ. એ પછી ૧૨ વર્ષ સુધી દર શનિવાર-રવિવારે માલિશ કરવું જોઇએ. એ પછી 12 વર્ષ સુધી દર શનિવાર-રવિવારે (શાળામાં રજા હોય ત્યારે) માલિશ કરવું, જેનાથી તેનો ચામડીનો રંગ નિખરે છે. વિકાસ અટકતો નથી. અને તેની રોગપ્રતિકારક શકિત ખીલે છે.
ખરેખર તો આ પદ્ધતિ ઘરના દરેક સભ્યોએ અપનાવવી જોઇએ. પરંતુ આપણી મૂળભૂત સમસ્યા જ એ છે કે આપણને અનુસંધાન વાંચવા માટેનું પાનું ફેરવવાની પણ આળસ ચડતી હોય ત્યાં માલિશ કરવા માટે શરીરને કષ્ટ ક્યાંથી આપી શકાય?
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વેલનેસ લેટરમાં મસાજ વિષે કહ્યું છે: શારીરિક શ્રમથી પેદા થતી થાક વગેરે અસરો માલિશ કરવાથી ઓછી થાય છે. સ્નાયુઓ- Muscles ને માલિશ Relax કરે છે. ચામડીમાં લોહીનો જથ્થો-પરિભ્રમણ વધારે છે. સ્નાયુઓમાં પેદા થયેલ ખેંચ અને દુ:ખાવો ઓછો કરે છે, માનસિક તાણ ઓછી કરીને મગજને વિશ્રાંતિ માટે પ્રેરે છે
એક પ્રખ્યાત મસાજિસ્ટના મત પ્રમાણે માલિશથી શરીરમાં જમા થયેલી વધુ પડતી ચરબી વિટામિનમાં પરિવર્તિત થાય છે. તેમણે અનેક જાડા સ્થૂળ માણસોની ચરબી મસાજથી ઓછી કરી હતી. મસાજથી શરીરસૌષ્ઠવ વધે છે.
આચાર્ય સુશ્રુતના મત અનુસાર કેટલીક ધમનીઓ શરીરના ઉપરના ભાગોમાં તો કેટલીક નીચેના ભાગોમાં અને ચાર ધમનીઓ શરીરમાં આડી ગયેલી છે, જે ધમનીઓ અનેક રીતે ફંટાઈને અસંખ્ય બનીને શરીરમાં જાળની માફક પથરાયેલી છે. આ અતિશય પાતળી બની ગયેલી ધમનીઓના છેડાઓ ચામડી પરનાં છિદ્રો સાથે જોડાયેલા છે. જેના દ્વારા સ્નેહ પદાર્થ સ્ત્રવે છે. જે ચામડી અને રુંવાટીને તૃપ્ત કરીને મુલાયમી રાખે છે. ચામડી પર થતા મસાજ કે લેપનાં ઔષધીય તત્વોને ચામડીમાં રહેલું ભ્રાજકપિત્ત પકવીને શરીર સ્વીકારી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરિત કરીને શરીરમાં ફરતું કરી દે છે. જે શરીરને અનેક રીતે ઉપયોગી છે.
હાઈ બ્લડપ્રેશરને આયુર્વેદના વિદ્વાનો ‘વ્યાનબલ વૃદ્ધિ’ના નામે ઓળખે છે. વાયુના પાંચ પ્રકારમાંનો એક પ્રકાર જે આખા શરીરમાં વિચરણ કરે છે, તે વધીને પ્રેશરની સમસ્યા વધારે છે. મસાજથી ઉત્તેજિત થયેલા વ્યાનવાયુ પર નિયંત્રણ લાવી શકાય છે. પરિણામે વધી ગયેલા પ્રેશરનો આંક સમયાંતરે ક્રમશ: નીચે આવતો જાય છે.
માલિશથી લોહીનું પરિભ્રમણ થતાં લોહીનું દબાણ નોર્મલ થઈને, લો બ્લડપ્રેશરની સમસ્યાને પણ દૂર કરે છે.
‘સ્ટ્રેસ’ અને ‘સ્ટ્રેઈન’થી ડિપ્રેશનના ભોગ બનાય છે. મસાજથી મન પરના તણાવનાં વાદળો હટી જતાં ફ્રેશનેસ-તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ વધે છે. એક જાતનો Relaxing અનુભવ થાય છે, જે આપણી જાતને ‘Pamper’ કરે છે, જેમાંથી તમો ગુણ દૂર થાય છે.
પગના તળિયે કાંસાની વાટકીથી રોજ રાત્રે ગાયના ઘીનું મસાજ કરવું. એનાથી તમારી તજા ગરમી ઓછી થતી જાય છે. મગજમાં ઉશ્કેરાટ કરાવનારાં તત્વો શમી જાય છે. વાળનો જથ્થો વધે છે. નવા ઊગેલા વાળ ટકી શકે છે. તમારી આંખની દૃષ્ટિમાં સુધારો થાય છે. ઊંઘ સારી આવે છે. સફેદવાળને વધતા પણ અટકાવે છે.
‘સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણં’
‘આતુરસ્ય વિકાર પ્રશમનમ’
એટલે કે રોગીના રોગોને મટાડવા અને સ્વસ્થ વ્યકિતનું સ્વાસ્થ્ય જાળવવું, જેની જાળવણીના ભાગરૂપે, ભૂલાઈ ગયેલી મસાજ પંરપરાને આજે યાદ કરી છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020