অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીનું પ્રદૂષણ અટકાવા લોકજાગૃતિ એ જ ખરો ઉપાય

જળ પ્રદૂષણ

પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો, હકીકતમાં જળ એ જીવનની પહેલી શરત છે, આપણા દેશ માટે ઘણું જ મહત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે. વરસાદની મોસમી પ્રક્રિયાએ જળ સંકટને વધારે ઘેરું બનાવ્યું છે. પાણીના ઉપયોગની યાદી ઘણી લાંબી છે, પાણીની પ્રાપ્તિનો મૂળ સ્ત્રોત પૃથ્વી પર વૃષ્ટિ છે. ચાલુ સાલે કુદરતે મહેર કરી વરસાદ રૂપી કાચુ સોનું વર્ષે છે, પરંતુ આપ જાણો છો તેમ દર વર્ષે એક સરખો વરસાદ થતો નથી. આવા નબળા સમયને પહોંચી વળવા જળ સંગ્રહ તરફ અને જળ સંપત્તિના ટીટે-ટીપાનું મૂલ્ય સમજી આ અમૂલ્ય સંપત્તિનો કરકસરયુક્ત અને આયોજનપૂર્વકનો ઉપયોગ કેમ કરવાનું ભૂલીએ. અર્થશાસ્ત્રમાં વસ્તુને મુક્તવસ્તુ અને આર્થિકવસ્તુ એવા બે પ્રકારો પાડવામાં આવે છે. તેમાં પાણી એ મુક્તવસ્તુ ગણવામાં આવે છે. એથી પાણી આપણને સાવ મફત જ મળવું જોઈએ એવી આપણી માન્યતા બંધાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર પાલિકા તેમ જ ગ્રામ વિસ્તારમાં ગ્રામ પંચાયતો પાસે લોકો મફત પાણીની માંગણી કરે છે. પરંતુ ખાનગીક્ષેત્ર દ્વારા અપાતું પાણી પીવાલાયક પણ ન હોય તેવા પાણી માટે ઉંચી કિંમત આપવા તૈયાર થાય છે.
શહેરો અને ગામડાઓમાં પીવાના પાણીનો જેટલો ઉપયોગ થાય છે તેના કરતા વધારે તેનો દુરુપયોગ થાય છે. ગાંધીજીએ કહ્યું હતું કે સંપતિનો વ્યય કરવો એ સારી બાબત પણ દુર્વ્યય કરવો એ હિંસા છે. આવી મહામૂલી કુદરતિ સંપત્તિનું જતન કરવાનું તો આપણે સાવ ભૂલી ગયા છીએ. અત્રે એ વાત ને સ્મરણમાં લેવા જેવી છે કે ભૂતકાળમાં પાણીના પ્રશ્ને સંઘર્ષો થયેલા છે, તો કેટલીકવાર લોહિયાળ યુદ્ધો પણ ખેલાયાં છે. આજે પણ કેટલાક વિસ્તારમાં પાણી માટે આંદોલન અને હડતાલો કરવી પડી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાણી માટે વલખા મારે છે, ત્યાં ગુજરાત અને રાજસ્થાન રાજ્યોની વચ્ચે પણ નર્મદાનીર માટે તો સંઘર્ષો ઊભા થયા હતા. તેમ જ પાણીના હક્કોના મુદ્દે વર્ષ ૧૯૮૭ માં જાહેર થયેલ રાષ્ટ્રીય જળસંસાધન નીતિમાં જણાવ્યું હતું કે પીવાના પાણીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આજે પાણીમાં પ્રદુષણ ખૂબ વધી રહ્યું છે. વિકાસની આધળી દોટ પાછળ આપણે પર્યાવરણને ભૂલી ગયા તેથી વિકાસ કદાચ વિનાશમાં ન ફેરવાય જાય તે જોવાનું રહ્યું. આજે જળને અનેક રીતે પ્રદૂષિત કરવામાં આવે છે. આપણા દેશમાં પર્યાવરણની સમસ્યા સાથે સામાજિક અને આર્થિક બાબત પણ જોડાયેલી છે.

વિવિધ પ્રકારે જળ પ્રદૂષણ દુર કરવાના ઉપાય.

જળ પ્રદૂષણ

દેશના ભૂગર્ભ જળમાંથી ૩૩ ટકા માનવ માટે પીવાલાયક નથી, જ્યારે ગુજરાત રાજ્યમાં ૨૧ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જે માનવ માટે પીવાના ઉપયોગ થઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આખા દેશ માટે પીવાના શુદ્ધ પાણીનો મોટો પડકાર આગામી વર્ષોમાં આવી રહ્યો છે. જળ પ્રદૂષણની સમસ્યાઓમાં સૌથી મોટી અને મહત્વની જો કોઈ સમસ્યા હોય તો તે એ છે કે શુદ્ધ પાણીનો બગાડ જે થાય છે, અને પાણીના વિવિધ પ્રશ્નોમાં મહત્વનો પ્રશ્ન શુદ્ધ પાણીનો છે. ત્યારે શુદ્ધ પાણીની વધી રહેલી કટોકટી અને પ્રદૂષિત પાણીનું વધતું પ્રમાણ, તેમ જ પાણીમાં થતા પ્રદૂષણના પરીણામે પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે આ વિષે ટૂંકમાં જોઈએ તો-

  • ૧ લિટર પાણીમાં ૮ થી ૧૦ ગ્રામ ઓક્સિજન દ્રવ્ય હોય છે, તેમાં અન્ય જૈવિક રાસાયણિક અશુદ્ધિઓ દ્રવ્યો ન હોય ત્યારે તે શુદ્ધ જળ છે, અને કોઈ પ્રકારની મલિનતત્વો ભળવાથી એ અશુદ્ધ બને છે.
  • ઘર વપરાશ માટે ઉપયોગી પાણીમાં ભળતું પ્રદૂષણ જોઈએ તો ખાસ કરી વાસણ ધોવા, કપડા ધોવા, સ્નાનક્રિયા વગેરેમાં ઉપયોગમાં લેવાતા સાબુ, ડિટર્જન્ટના રસાયણો પાણીમાં ભળે છે તેથી પાણી અશુદ્ધ છે.
  • ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીમાં એસિડ, ઝેરી રસાયણો, આલ્કોલી, વિવિધ પ્રકારના ધાતુના ક્ષાર, રંગ રસાયણો અને ચામડા ઉદ્યોગ દ્વારા ઉત્પન્ન થયેલા કાર્બનિક સંયોજન સાથે એન્થ્રેક્સ પ્રકારના સૂક્ષ્મજીવો પાણીમાં ભળે જેથી પાણી અશુદ્ધ બને છે.
  • આજે ખાણ ઉદ્યોગમાં કાચી ધાતુનુ શુદ્ધિકરણ જેવી પ્રક્રિયા દ્વારા તેમજ ન્યુકિલઅર પાવરપ્લાન્ટ દ્વારા પાણીમાં કોબાલ્ટ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, કેડમિયમ, સલ્ફાઈડ વગેરે પાણીમાં ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે. જેમાં કેટલાક પદાર્થો રેડીયો એકટીવ ગુણધર્મો ધરાવે છે.
  • ખનીજતેલ, રિફાઈનરી ઉદ્યોગ દ્વારા પ્રદૂષિત પાણી જળાશયોમાં તેમ જ સમુદ્રમાં ઠાલવે છે. જળ પ્રદૂષણના વિવિધ પ્રકારોના આપણે વિગતે ચર્ચા કરીશું જેમાં માનવ દ્વારા સૌથી વધુ જળને પ્રદૂષિત કરવામાં આવે છે.

વિવિધ પ્રકારે જળ પ્રદૂષણ દુર કરવાના ઉપાય.

ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપાય

જળ પ્રદૂષિત કરવામાં ઔદ્યોગિક કારખાનાઓનો કચરો વધુ જોવા મળે છે, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારને મોટો દરીયા કિનારો મળેલ છે, તેથી દ્વારકાથી માંગરોળ અને ભાવનગર સુધીના દરિયાકિનારા ઉપર અનેક મંહાકાય ધમધમે છે. તેના ખરાબ કચરો અને બળતણ દરિયામાં ઠાલવતા હોવાથી આજે જળ પ્રદૂષણ વધ્યું પરિણામે દરિયા કિનારે જે સારી અને વધુ માછલી જે મળતી હતી, તેનું પ્રમાણ છેલ્લા ઘણા વર્ષોથી ઘટતા મત્સ્યઉદ્યોગના ઉત્પાદન પર ખૂબ વિપરીત અસર થાય છે. આમ દિન પ્રતિદિન નવા નવા કારખાનાઓ વધતા તેના કચરાએ જળ ને પણ પ્રદૂષિત કરી તેની ઉપયોગીતા પણ ઘટાડી છે. તેથી તેને ઝડપથી રોકવાના પ્રયત્નો હાથ ધરવા જોઈએ તેમજ સૌરાષ્ટ્રમાં સાડી ઉદ્યોગના લીધે પીવાના પાણીની પણ ભયંકર સમસ્યા છે, અને જુનાગઢ શહેરમાં ક્ષારનું વધી રહેલ પ્રમાણ માટે પણ પ્રદૂષણ જવાબદાર છે. આથી ઔદ્યોગિક ક્ષેત્રે પ્રદૂષણ સંબંધિત નિયંત્રણ દાખલ કરવાની તાતી જરૂર છે. તેમ જ ઔદ્યોગિક નીતિમાં કંઈ બદલાવ લાવી પાણીનું પ્રદૂષણ ઘડાડી શકાય.

કૃષિક્ષેત્ર દ્વારા ઉપાય

આપણા દેશમાં સૌથી મોટું ક્ષેત્ર કૃષિક્ષેત્ર છે. તેમાં આઝાદી બાદ અને હરિયાળીક્રાંતિ પછી વધી રહેલા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના વપરાશનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, આથી વરસાદમાં બધો જ કચરો અને પાક ના ધોવાય. સીધું કુદરતી રીતે મળેલ શુદ્ધજળ વરસતાની સાથે પ્રદૂષિત થઈ ઝેરી પાણી એકત્રિત થાય જે કુદરતે આપેલ શુદ્ધ જળ વરસવાની સાથે પ્રદુષિત થાય છે. તેથી ખેડૂત આવી દવાનો છંંટકાવ ઓછો કરે છે અને દેશી ખાતરની વપરાશ વધારે. સાથો સાથ જળનું જતન કરે વરસાદના શુદ્ધ જળની જાળવણી કરે તો જઆ અમૃતનો સ્વાદ લોકોને પ્રાપ્ત થાય.

ભૂગર્ભમાં ઉપાય

કુદરતે પૃથ્વીના પેટાળમાં અઢળક ખનિજ સંપત્તિ મૂકી છે. તે જ રીતે પાણીનો જથ્થો પણ રહેલો છે, તેના સાક્ષી સર્વ કોઈ છે. આજે વધી રહે શોધખોળ અને તેમાં કરાતા નવતર પ્રયોગો કરતી વેળાએ પણ ભૂગર્ભમાં પણ જળને નુકસાની ન થાય તેનું ધ્યાન રાખવું પૃથ્વીના પેટાળમાં નાઈટ્રોજન, આર્યન, ફ્લોરાઈડ જેવા તત્વો હાનિકારક છે. આમ ભૂગર્ભમાં વધતા જળ પ્રદૂષણથી પાણીમાં આવતી દુર્ગંધો, ગરમી, ક્ષાર અને તેમ જ વધુ પડતું ડહોળું પાણી આ બધા કારણો માટે જવાબદાર આપણે જ લાગીએ છીએ. તેથી ભૂગર્ભમાં પાણીનું પ્રદૂષણ ન વધે તેની ગંભીરતા લઈ ભૂગર્ભમાં સંશોધનો કરવા જોઈએ તો જ આપણને ભૂગર્ભમાંથી બહાર આવતું પાણી તેની શીતળતા અને શુદ્ધિ સાચી પ્રાપ્ત કરી શકીએ.
આ રીતે દિન પ્રતિદિન પાણીનું પ્રદૂષણ વધતું રહ્યું છે આથી તેને અટકાવવાની સર્વ કોઈની ફરજ છે. કુદરતી સંપતિએ આપણી મહામૂડી ગણી તેનું જતન કરવાની સરકાર, સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ જવાબદારી છે. કુદરતી સંપતિનું મૂલ્ય સમજવું જોઈએ અને તેના માટે પર્યાવરણ સમતુલા જાળવવી જોઈએ, તેમાં લોક જાગૃતા એ મહત્વનો અને અસરકારક ઉપાય છે. જળ એ તો જીવન છે. આથી તેના વિના કોઈ પણ જીવ જીવન ટકાવી શકતો નથી. આથી જળ અને જળની શુદ્ધતા જાળવવી સર્વની ફરજ છે. પાણીનું પ્રદૂષણ તો જ એટલે કે લોક જાગૃતતા આવે આથી પ્રદૂષણ અટકાવવા માટે આટલું કરવાથી તાતી જરૂર જણાય છે.

  • ખાસ કરીને જળ શુદ્ધ કરનાર જલીય જીવોની રક્ષા કરવી જોઈએ અને તેને વધુ જળ વિસ્તારમાં મૂકવા જોઈએ.
  • ખેડૂતોએ ખેતીવાડીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ.
  • ઉપયોગ કરેલ ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ.
  • વહેતાં પાણીની આજુબાજુમાં દિવાલના કે પાળો બાંધવો જોઈએ.
  • જળમાં મૃતક શબ નાખવા ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ.
  • જળમાં સમયસર પોટેશિયમ પરમેંગેનેટની દવા નાખવી જોઈએ.
  • સરકારની જળ અભિયાન કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સાથ અને સહકાર આપવો જોઈએ.
  • જાહેરમાં આવેલા પાણીના ટાંકા કે કૂવાની જાળવણી કરવામાં આવે જેમા પડતા જીવજંતુ માટે ખાસ ઢાંકણ બનાવવામાં આવે દરેક ગ્રામ પંચાયત ખાસ પાતાળ કુવા કે બોરવેલની આજુ બાજુમાં છોડાતા ગંદા કચરાને દૂર કરાવે જાહેર પાઈપ લાઈન તૂટી હોય તો તેને ઝડપી રીપેર કરાવે જેથી ગટર અને પીવાના પાણીની લાઈનો દુર રાખે જેથી પાણીનું પ્રદૂષણ થતુ રોકી શકાય.
  • ધાર્મિક ધર્મકાંડ કરતી વખતે પણ નદી કે તળાવ કે જાહેર પાણીના ઘાટનું સ્થળ પસંદ કરે છે. ત્યાં પાણીની પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી પાણીનું પ્રદૂષણ રોકી શકાય, આજે આપણા પવિત્ર ધામોમાં આવેલ નદીઓ સરોવરો કે પવિત્ર સ્થળો દામોકુંડ અને તુલશીશ્યામમાં આવેલ પાણીના (ગરમકુંડ) માં કરાતું પ્રદૂષણ રોકવા માટે તેમાં સાબુ, ડિટર્જન્ટ, કે વિવિધ વિધીની વસ્તુઓ અને ફળફળાદિ કે અન્ય પદાર્થ ઉપયોગ ન કરવો જોઈએ તેમાં કોઈ પદાર્થ ન નાખવાનો જાહેર પ્રતિબંધ મૂકવો જોઈએ.
  • પાણીના સંગ્રહની પદ્ધતિ વૈજ્ઞાનિક ઢબની અપનાવવામાં આવે તેની ખાસ જાગૃતતા સમાજમાં લાવવી જોઈએ જેથી પાણીને ગુણવતા જળવાય અને તેમાં થતુ પ્રદૂષણ નિવારી શકાય છે.
  • પાણીની પાઈપ લાઈન, કેનાલ કે પાણીના માર્ગમાંની સ્વચ્છતા જાળવવી જોઈએ તેમાં નિયત સમયે સાફ સફાઈ થવી જોઈએ.
  • સામાજિક સંસ્થાઓએ જળ સંચય અને જળ જાળવણી માટે આગળ આવી શહેરી તેમ જ ગ્રામીણ પ્રજાને સંસ્થા દ્વારા જળના રક્ષણ અભિયાનમાં જોડવા જોઈએ.

પ્રકૃતિએ આપણને વાયુ, જળ, ભૂમિ તેમ જ ખનિજો ઘણું બધુ આપ્યું છે. પરંતુ માનવી દ્વારા આ બધી સંપતિનો અયોગ્ય રીતે ઉપયોગ કરવો એ સમાજની મુખ્ય જવાબદારી છે. સતત થતો વસ્તી વધારો, ઔદ્યોગીકરણ અને વિવિધ યોજનાઓની પાછળ પર્યાવરણની ઘોર ઉપેક્ષા થાય છે અને તેથી પર્યાવરણ લક્ષી સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. આ સમસ્યાઓ અને પર્યાવરણ બચાવવા બાબતે લોકોને જાગૃત કરવાનો સમય આવી ગયો છે. જો અત્યારે આ ગંભીર વિષય પર કંઈ વિચાર કરશું નહી અને જાગૃતિ ફેલાવસું નહી તો આવનારી સમસ્યાઓથી બચવા અને પર્યાવરણને બચાવવાની બાબતમાં નિષ્ફળ જાશુ અને જો લોક સહકાર પ્રાપ્ત થશે નહી તો વિપરીત પરિસ્થિતિ ઊભી થાશે, આથી પર્યાવરણના રક્ષણ અને સુધારા માટે લોકોમાં જાગૃતા આવે તે માટે પર્યાવરણ શિબિરો અને સેમિનારો યોજવાની આજે ખાસ તાતી જરુર છે. જેથી પાણી, હવા, જમીન, જંગલ અને અવાજ આમ દરેકનું પ્રદૂષણ અટકે તેના માટે પર્યાવરણની સમતુલા જાળવવા સમાજની જાગૃતા હોવી જરૂરી છે. આ માટે સમાજ જાગે સરકાર તો સતત પર્યાવરણની ચિંતા કરે જ છે પણ દરેક વ્યક્તિએ આ ચિંતા કરવાનો સમય આવી ગયો છે, પાણીના પ્રદૂષણ માટે લોક જાગૃતિ એ જ ખરો ઉપાય લાગે છે.

પ્રિ. ડૉ. બી.ડી. વરૂ -લેખક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વડિયાના અર્થશાસ્ત્ર વિભાગના વડા છે.

સંકલનઃકંચન કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate