অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સપાટીય જળસ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની?

સપાટીય જળસ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની?

વરસાદને અનુલક્ષીને વાત કરીએ તો હવે કચ્છપ્રદેશમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. સારા વરસાદને કારણે સપાટીય સ્રોતોમાં પણ ઘણું વરસાદી પાણી સંગ્રહ થયેલું છે. સંગ્રહ થયેલા આ વરસાદી પાણીથી ભૂગર્ભજળનું અનુશ્રવણ પણ થઇ રહ્યું છે ત્યારે એક સવાલ ઉદ્‌ભવે છે કે, સપાટીય સ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની હોઇ શકે? આ બાબતે મનોમંથન કરીએ તો પંચાયતીરાજના કાયદા પ્રમાણે જાહેર સુખાકારીની મિલકતો જેવી કે, નદી, કૂવા, તળાવોને પીવાના પાણીના સ્રોતો ગણવામાં આવે છે. માળખાકિય સુવિધા આપતાં સ્રોતોની સીમા રેખાઓ અંકિત કરવી સરળ છે પણ કુદરતી સ્રોતોની સીમા રેખા અંકિત કરવી કઠિન છે. આપણે નદી, કૂવા, તળાવો વગેરેની નોંધ કરીએ છીએ પણ તેના આવકક્ષેત્ર, જાવકક્ષેત્ર તેમજ ભૂગર્ભજળવાળા વિસ્તારોની નોંધ કરતા નથી. જોકે આ કાર્ય કઠિન છે કારણ કે, તેના માટે વૈજ્ઞનિક અભિગમની સાથે વિવેકબુદ્ઘિની પણ જરૂર પડે છે.
કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિને નાથવા માટે કૂવા, તળાવોની જાળવણી ભાગ્યે જ કરવામાં આવે છે અને તેમાં પણ તેના આવકક્ષેત્ર, ભૂગર્ભજળ અનુશ્રવણ વિસ્તાર અને એકિવફરને ચોક્કસપણે આયોજન, વ્યવસ્થાપન અને સંરક્ષણમાં કયારેય લેવામાં આવતાં નથી. આ એક દુ:ખદ બાબત કહી શકાય. કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં તળાવોને સાચવવામાં આવેલા છે પણ તેના કેચમેન્ટ એરિયાની અવગણના કરવામાં આવે છે એવી જ રીતે કૂવાઓ દ્વારા મળતાં ભૂગર્ભજળનું સફળતાપૂર્વક અતિ શોષણ કરવામાં આવે છે પરંતુ કૂવાઓના પાણીને અનુશ્રવણ કરવાની કોઇ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી શકતાં નથી. આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી શકાતી નથી તેના કેટલાક કારણો છે. સૌ પ્રથમ તો આપણામાં વૈજ્ઞાનિક જ્ઞાનની સાથે હકારાત્મક અભિગમનો અભાવ છે. કુદરતમાં દરેક પ્રક્રિયા એક ચોક્કસ નિયમને અનુસરે છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં જેટલું પાણી બાષ્પિભવન થઇ જાય છે એટલું પાણી ચોમાસામાં વરસાદ તરીકે પરત મળે છે. કહેવાનો અર્થ એ થયો કે, કુદરત પણ જેટલું પાણી લે છે એટલું પાણી પરત આપે છે. આપણે પણ કુદરતનો એક ભાગ છીએ, આપણે કુવાઓના પાણીનો ઉપયોગ તો કરીએ છીએ પણ જેટલું પાણી વાપરીએ છીએ તેટલું પાણી અનુશ્રવણ થાય તેવી તકેદારી રાખતાં નથી. એ જ પ્રમાણે તળાવો વરસાદી પાણીથી ભરાય જાય ત્યારે તેના પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ તેના આવક-જાવક ક્ષેત્રની આપણે કશી દરકાર કરતાં નથી. આપણે પાણીના વપરાશની સાથે કુદરતી ચક્રોની ગતિવિધીઓને પણ સમજવી જરૂરી છે. જે રીતે કુદરતી ચક્રોની ગતિવિધીઓમાં ફેરફાર થઇ રહ્યા છે એ પ્રમાણે આપણે પાણીના વપરાશમાં ફેરફાર કરવાની જરૂર છે. અહી મૂળભૂત મુદો એ છે કે, પાણી જેવા અમૂલ્ય કુદરતી સંપત્તીનું આયોજન પૂરવઠાના આધારે નહી પણ જરૂરિયાતના આધારે કરવું જોઇએ. માગ અને પૂરવઠો એક સિક્કાની બે બાજુ છે પણ જરૂરિયાત એક અલગ પાસું છે. પૂરવઠા આધારિત માગ કરતાં જરૂરિયાત પ્રમાણેનું આયોજન કરવું હિતાવહ છે. આવા આયોજનમાં પણ સંકલિત અભિગમ અપનાવવો જરૂરી છે. એક સ્રોતની સાથે બીજા સ્રોતનું સંકલન કરવાથી બન્ને સ્રોતોની જીવંતતા જળવાય રહે છે. આવા આયોજનમાં ઉપભોકત્તાઓની જરૂરિયાત સાથે ભાગીદારી અને જવાબદારી પણ સંકળાયેલી રહે છે. જરૂરિયાત પ્રમાણે નિયમિત અવલોકનની સાથે આયોજન, નિયંત્રણ, વ્યવસ્થાપન અને સંરક્ષણની જવાબદારી પણ ઉપભોકત્તાની રહે છે. આવા સંકલિત અભિગમની શરૂઆત કરનાર વ્યકિત કે સમાજને સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે કાયદાકિય ટેકો મળી રહેવો પણ જરૂરી છે.
કુદરત પાસે માનવને આપવા માટે ઘણું છે પણ શું માનવ તેને ટકાવી રાખવા માટે સક્ષમ છે? સવાલનો જવાબ વિકટ છે, ધારો કે આપણે એમ કહીએ કે, માનવ સક્ષમ છે તો એમ કહી શકાય કે ઉપરોકત દર્શાવેલી બાબતો પ્રત્યે આપણે 'આંખ આડા કાન" કરીએ છીએ. પ્રત્યેક માનવે કુદરત પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને સફળતાપૂર્વક નિભાવવી જોઇએ નહીતર એક દિવસ એવો આવશે કે, કુદરત પણ માનવો પ્રત્યે 'આંખ આડા કાન" કરતી થઇ જશે!
લેખક : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/24/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate