অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વોટર મેનેજમેન્ટ - વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા

વોટર મેનેજમેન્ટ - વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા

જીવ માત્રની અનિવાર્ય જરૂરિયાત એટલે પાણી. પાણી સજીવો માટે અત્યંત આવશ્યક છે. દરેક સજીવના અસ્તિત્વ અને વિકાસ માટે પાણી જરૂરી છે. પરંતુ સીધું ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીનો જથ્થો મર્યાદિત છે. તેમાંય બિન આયોજિત ઝડપી ઔદ્યોગિક વિકાસ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ અને પાણીના પ્રદૂષણના કારણે સીમિત ઉપલબ્ધ જળના પુરવઠામાં સતત ઘટાડો થતો ગયો છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં જળ માટે યુદ્ધો થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આવા ભયંકર સંજોગોમાંથી બચવા, સજીવોનું અસ્તિત્વ અને ટકાઉ વિકાસની પરિકલ્પના સાકાર કરવા અત્યારથી જ જળ વ્યવસ્થાપન કરવું અનિવાર્ય બન્યું છે.
આપણે સૌ જાણીએ છે કે, પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાંથી અંદાજિત ત્રણ ભાગ પાણી અને ચોથો ભાગ જમીન છે. સાથે એ પણ વાસ્તવિકતા છે કે, તેમાં ૯૭ ટકા પાણીનો જથ્થો સમુદ્રમાં છે જે પાણી સ્વાદમાં ખારું હોવાથી તે વપરાશ માટે સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. આશરે ૨.૭ ટકા પાણી વિશાળ હિમક્ષેત્રોમાં બરફ રૂપે છવાયેલું છે, અને માત્ર ૦.૩ ટકા મીઠું પાણી સરોવરો નદીઓ, કૂવા દ્વારા આપણા માટે પ્રાપ્ય છે. આમ શુધ્ધ જળ અથવા મીઠું પાણી કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજ મૂકી શકાય તેમ છે. પાણી દરેક સજીવ માટે અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે.

ભારતમાં જળની ઉપલબ્ધિ

જો કે ભારત જળ સંપતિથી સમૃદ્ધ દેશ છે. ભારતમાં ઉપલબ્ધ જળ રાશીની વિગતો જોતા જણાય છે કે આપણી પાસે કુદરતી રીતે ઉપલબ્ધ જળ પૂરતા પ્રમાણમાં હોવા છતાં આપણે તેનું યોગ્ય આયોજન કરી શકતા નથી.
ભારતીય સંસ્કૃતિનો વિકાસ જ નદી કિનારે થયેલ છે. ભારતમાં પ્રાચીન યુગથી જ પાણીને જળદેવતા અને નદીને લોકમાતાની ઉપમા આપવામાં આવેલ છે. ભારત ત્રણ ઋતુ ધરાવતો દેશ છે. જેમાં ચોમાસામાં વરસાદ દ્વારા દર વર્ષે ૪૦૦ મિલીયન હેકટર જળ સાધનો પ્રાપ્ત થાય છે. જેમાંથી ૭૦ મિ. હે. પાણી તાત્કાલિક વહી જાય છે. ૧૧૫ મિ. હે. નદી, સરોવર, કૂવામાં એકત્રિત થાય છે. અને ૨૧૫ મિ.હે. જમીનમાં શોષાય છે. આ સ્થિતિ પાણીના સંગ્રહના આયોજનનો અભાવ બતાવે છે. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. જેમાં ૧૨ મુખ્ય નદીઓ છે. આ નદીઓમાં ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના સૌથી મોટી નદીઓ છે. મુખ્ય નદીઓ નો જળસંગ્રહ વિસ્તાર ૨૫ કરોડ ૨૮ લાખ હેકટર જેટલો છે. જે કુલ જળ સંગ્રહ વિસ્તારના ૪૩ ટકાથી પણ અધિક છે. બીજી મુખ્ય નદીઓમાં સિંધુ, ગોદાવરી, ક્રિષ્ના, અને મહાનદીનો સમાવેશ થાય છે. જે ૧૦૩૫ લાખ હેકટર જળ સંગ્રહ ધરાવે છે. જ્યારે મધ્યમ કદની નદીઓનો જળ સંગ્રહ વિસ્તાર ૨૫ લાખ હેકટર જેટલો છે. આમ ભારતના મુખ્ય જળ સ્ત્રોતમાં નદીઓ મુખ્ય છે. માટે જ ભારતમાં નદીઓ માટે લોકમાતાની ઉપમા આપવામાં આવી છે તે સાર્થક જ છે.

વિવિધ કાર્યો માટે પાણીનો વધતો જતો ઉપયોગ

ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે. ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું સ્થાન હજુય આર્થિક વિકાસના એન્જિન જેવું છે. ભારતમાં વધતી જતી વસ્તીને અન્ન પુરુ પાડવા, ઔદ્યોગિક વિકાસ જળવાય રહે તે માટે કાચો માલ પૂરો પાડવા તથા સેવા ક્ષેત્રના વિકાસ માટે ખેતીમાં ‘સઘન ખેતી’ વધતી જાય છે. અર્થાંત સિંચાઈ માટે પાણીની જરૂર વધતી ગઈ છે. ભારતમાં કુલ જળ સાધનો ના ૯૨ ટકા જળ સાધનો સિંચાઈ માટે વપરાય છે. તેમાંય ગ્લોબલ વોર્મિંગના કારણએ ઋતુ ચક્રમાં ફેરફારો થતા રહે છે, તેથી વરસાદની અનિશ્ચિતતા વધી છે, અને તેથી ભૂગર્ભ જળ પરનો આધાર વધતો ગયો છે. ૮ ટકા જળ ઔદ્યોગિક અને ઘર વપરાશ માટે વપરાય છે. ભારતમાં ઝડપી વસ્તીવૃદ્ધિ થતા ૨૦૩૦ માં દેશની ૨/૩ વસ્તીની શુદ્ધ પીવાનું પાણી નહીં મળે. વર્તમાન સમયમાં દિલ્હી, કોલકત્તા અને ચેન્નાઈ, મુંબઈ જેવા મેગા સિટીમાં પાણીની માંગ વધીને બમણી થવા જઈ રહી છે. શહેરીકરણનો વધારો થતા પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જાળવી શકતા નથી તેમાં શહેરો ના ભોગ વિલાસ ભરી જિંદગી જીવવા ટેવાયેલા લોકોમાં પાણીનો બગાડની કુટેવો જોવા મળે છે. અલબત આવા કુટુંબો ગ્રામ્ય વિસ્તારો માં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તેથી માથાદીઠ પાણીનો વપરાશ વધતો જાય છે.
વિશ્વમાં સૌથી વધુ ચાર પગવાળા પશુઓ ભારતમાં છે. આ પશુઓની સંખ્યામાં વધારો થતો જાય છે. તેમના જીવન માટે તેમ જ પાલતુ પશુઓને નવડાવવા ધોવડાવવામાં માટે પાણીનો વપરાશ વધતો જાય છે. ઈ.સ. ૧૯૫૧ માં ભારતમાં નાગરિકોને દર વર્ષે માથાદીઠ ૫૧૭૭ ધન મીટર જેટલું મીઠું પાણી મળતુ હતું. હાલ પ્રતિવર્ષ પ્રતિ વ્યક્તિએ પાણીની ઉપલબ્ધતા ૧૫૨૫ ઘનમીટર છે. પાણીના સંગ્રહનું યોગ્ય આયોજન નહી હોય તો ૨૦૨૫ માં માત્ર ૧૦૬૦ ઘનમીટર થઈ જશે. આથી જ વિશ્વ બેંક પોતાના અહેવાલમાં એમ જણાવે છે કે, ભારત પાણીનો વપરાશ કરવાની પોતાની આદતો બદલશે નહીં તો આગામી બે દાયકામાં ભારત પાસે પાણીનો વહિવટ કરવા માટેના રૂપિયા નહી હોય અને લોકોની પ્યાસ બુઝાવવા માટે પાણી નહીં હોય. દેશમાં ઉદ્યોગોનો વિકાસ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી થઈ રહ્યો છે. ઉદ્યોગો પોતાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પાણીનો ઉપયોગ કરે છે. તેમ જ કાચા માલને શુદ્ધ કરવા કે ઉત્પાદીત થયેલ તૈયાર માલના શુદ્ધિકરણ માટે પાણીનો બેરોકટોક (બેફામ) ઉપયોગ કરે છે. ઉદ્યોગોની કુલ સંખ્યામાં વધારો થતા, ઉત્પાદન ટેકનોલોજી બદલતા અને વિશ્વબજાર હાંસલ કરવામાં ઝડપી ઉત્પાદન પ્રક્રિયા અમલ મૂકતા પાણીનો વપરાશ વધ્યો છે. સાથે સાથે ઉદ્યોગોએ પાણીનું પ્રદૂષણ પણ વધાર્યું છે.
ભારતમાં પાણીનો કુલ વપરાશ છે તેના ૧૫ ટકા પાણી ઉદ્યોગોમાં વપરાય છે. ઉદ્યોગો પાણીનો વપરાશ બે રીતે કરે છે. ઠંડા પીણા, ફુડ, કલોલ આલ્કી જેવા ઉદ્યોગમાં પાણી ઘટક તરીકે વપરાય છે. બીજી રીતે મોટા ભાગના ઉદ્યોગોમાં ગરમીનું વહન કરવા પ્રોસેસિંગ કરવા માટે પાણીનો ઉપયોગ કરે છે. અને તેમાંથી ૯૫ ટકા જેટલું પાણી પ્રદૂષિત બનાવીને બહાર છોડવામાં આવે છે. વળી આ પ્રદૂષિત પાણી નજીકના તળાવ, નદી, કુવા કે ભૂગર્ભજળને પ્રદૂષિત બનાવે છે.
ઉર્જાએ ૨૧ મી સદીના ભારતનું એક મહત્વનું અંગ છે. ઔદ્યોગિક વિકાસ, ખેતીક્ષેત્રે સિંચાઈ અને પ્રોસેસીંગ માટે દેશની માથાદીઠ આવક વધતા સુખ સગવડના સાધનો વધવા ના કારણે અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થતા તેમાં પણ ઉર્જાની માંગમાં ધરખમ વધારો થતો જાય છે. આમ, ઉર્જાના ઉત્પાદન માટે પાણીની માંગમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. પાવર પ્લાન્ટો ઉદ્યોગોના ભાગે આવતું ૮૮% પાણીનો ઉપયોગ કરે છે. સાથે સાથે ભારતમાં એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા ૮૦ ઘનમીટર પાણી વેડફાઈ છે. જ્યારે વિશ્વના શ્રેષ્ઠ પાવર પ્લાન્ટમાં આટલી ઉર્જા સાથે સાથે ભારતમાં એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા ૮૦ ઘનમીટર પાણી વેડફાઈ છે. જ્યારે વિશ્વના શ્રેષ્ઠ પાવર પ્લાન્ટમાં આટલી ઉર્જા વર્તમાન સમયમાં પણ ભારતમાં વાસ્તવિકતા જળની પ્રાપ્તિ અને વપરાશ વચ્ચેનો ફરક વધતો જાય છે જે ભારત માટે ખતરાની નિશાની સમાન છે. ભારતમાં પાણીની વધતી જતી માંગ અને તેની સિમિત ઉપલબ્ધતાના લીધે જળ સંકટ વધુ ને વધુ ઘેરું બનતું જાય છે. પાણીની અછત ઉભી થવાનું એક અગત્યનું કારણ ભૂગર્ભ જળનું વધુ પડતું દોહન પણ છે.

ભૂગર્ભજળનું વધતું જતું દોહન

વર્તમાન સમયમાં ભારતમાં નદી, સરોવર, તળાવ વગેરે જેવા સપાટી પરના જળ સ્ત્રોત છે. જેની ઉપલબ્ધતા ઘટતી જાય છે. ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુ ચક્રમાં ફેરફાર થવાના કારણે કેટલાક વિસ્તારમાં દુષ્કાળ પડે છે. તો કેટલાક વિસ્તારોમાં લીલો દુષ્કાળ આમ વરસાદની અનિશ્ચિતતાના કારણે અને જળ પ્રદૂષણ વધવાના કારણે ભૂગર્ભ જળ પર વધુ આધાર રાખવો પડે છે. તેથી ભૂગર્ભ જળ નું જેટલું રિચાર્જિંગ થાય છે તેનાથી વધુ તેનુ દોહન થાય છે. પરિણામે ભારતના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સપાટી નીચી ઉતરતી જાય છે. એક અંદાજ મુજબ જ્યાં જળસ્તર નીચુ છે ત્યાં ૨.૧ કરોડ કુવા ખોદાઈ ગયા છે. વિશ્વબેંક પોતાના અહેવાલમાં જણાવે છે કે, ભારતની સિંચાઈની ૭૦% જરૂરિયાત માટે ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે અને ૮૦% જેટલું પીવાનું પાણી જમીનમાંથી ખેંચવામાં આવે છે. તેના કારણે ભૂગર્ભજળના બધા જળભંડારો ખતમ થઈ ગયા હશે અને આખોદેશ પાણી વગર તરફડતો હશે. ભૂગર્ભજળના વધુ દોહનના કારણે કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ થયા છે જેની ચર્ચા વિગતવાર આ મુજબ છે.

ભૂગર્ભજળના વધુ પડતાં દોહનથી ઉભા થતા પ્રશ્નો

વધુ વીજ વપરાશ

ભૂગર્ભજળની સપાટી નીચે જતા પાણી બહાર લાવવા માટે વીજ મોટરનો ઉપયોગ થાય છે. દા.ત. સિંચાઈ માટે જેમ પાણીનું સ્તર નીચું તેમ હોર્સ પાવરની મોટરનો ઉપયોગ કરવો પડે છે. તેથી વીજ વપરાશ વધે છે. આમ છતાં જોઈતા પ્રમાણમાં પાણી પ્રાપ્ય થતું નથી એટલે કે પાણીની સપાટી નીચી હોવાના લીધે પાણીની મોટરો વધુ સમય ચાલુ રાખવી પડે છે. આમ ખેડૂતનો ઉત્પાદન ખર્ચ પણ વધુ આવે ઉપરાંત ઉદ્યોગોને વીજ પુરવઠો જોઈએ તેટલા પ્રમાણમાં આપી શકાતો નથી તેથી કૃષિક્ષેત્રનો અને પરિણામે દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે.

પાણીમાં ભળતા ક્ષારો

ભૂગર્ભ જળના વધુ પડતા વપરાશના કારણે ભૂગર્ભમાં રહેલા વિવિધ ક્ષારો પાણીમાં ભળે છે. સાથે સાથે દરિયાનું પાણી પણ ભૂગર્ભ જળમાં ભળી જાય છે. આમ થવાથી ભૂગર્ભ જળ ખેત ઉત્પાદન કે જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકાતું નથી. અને જો ઉપયોગમા લેવામાં આવે તો તેની પ્રતિકૂળ અસરો પડે છે. દા.ત. ગુજરાતના ૧૦૪૮ ગામોમાં ૭૫૦૦ પી.પી.એમ. કરતા પણ વધારે ટી.ડી.એસ. ક્ષારીયતા ભૂગર્ભ જળમાં છે. આવા ગામો પૈકી ૫૩૪ ગામો સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. આ ઉપરાંત ઉત્તરગુજરાતમાં ફોસિલ વોટર પ્રાપ્ત થાય છે જે ખેતી અને માનવ જીવન માટે ઉપયોગી નથી. અને આમ છતાં આવા પાણીનો ખેતીમાં ઉપયોગ થવા લાગતાં જમીનની ફળદ્રુપતા ઘટવા પામી છે.

જમીનની ઘટતી ફળદ્રુપતા

ભૂગર્ભજળનું વધુ પડતુ દોહન થવાથી દરિયાકિનારાના પ્રદેશમાં દરિયાનું ખારું પાણી ભૂગર્ભજળમાં પ્રવેશતા સિંચાઈ માટેનું પાણી ક્ષારવાળું બને છે. આવું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેતા જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીનમાં ખારાશ આવે છે. એક અંદાજ પ્રમાણે જમીનની અલ્પમાત્રાની ખારાશ ઉત્પાદનમાં ૧૫% જેટલો ઘટાડો લાવે છે. જ્યારે મધ્યમ પ્રકારની ખારાશ જમીનમાં આવતા ઉત્પાદનમાં ૬૫% ઘટાડો થાય છે. ખૂબ ઉંડેથી જળ બહાર લાવી સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવામાં આવતા ભૂગર્ભ જળનું ઉષ્ણતામાન ઉંચુ હોય છે. જો સિંચાઈ માટે આવું પાણી ઉપયોગમાં લેવામાં આવે તો જમીન ની ફળદ્રુપતા માં ઘટાડો થાય છે તથા પાકને નુકસાન થાય છે. ઉત્તર ગુજરાતમાં આવા ગરમ પાણી નીકળતા ખેડૂતોને મોટો હોજ બનાવો પડે છે. અને પાણીને ઠંડું પાડ્યા બાદ તેને સિંચાઈ માટે ઉપયોગમાં લે છે. તેથી ખેડૂતને જમીન ફળદ્રુપતા સાચવવામાં સમય અને શક્તિ અને નાણાનો ભોગ આપવો પડે છે.

માનવ સ્વાસ્થય પર વિપરીત અસર

જમીનમાંથી ખૂબ ઉંડેથી બહાર લાવવામાં આવેલ પાણી માનવ માટે સીધું ઉપયોગી હોતુ નથી. છતા પાણીની તીવ્ર અછત પ્રવર્તી હોવાના કારણે કેટલાક ચોક્કસ વિસ્તારમાં તેનો વપરાશ થતો જોવા મળે છે. આવા પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી પથરી થવાનો ભય, ફોસિલ વોટર હોય તો ફલોરાઈઝ અને નાઈટ્રેટનું ભય જનક સ્તર હોય છે. આના કારણે નવજાત શિશુ ને બ્લુંબેબી નામનો રોગ થાય છે. ઉપરાંત દાંત અને હાડકાનો ફલોરોસિસ રોગ થાય છે. આમ ક્ષારયુક્ત પાણીના ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય પર માઠી અસર થવા પામે છે. શહેરોમાં પીવાનું પાણી પ્રદૂષિત બનવાથી પણ શહેરી વસ્તીના સ્વાસ્થ્ય પર માઠી અસરો પડતી જોવા મળે છે.

દૂધ ઉત્પાદકતા ઉપર થતી વિપરીત અસરો

પશુપાલન વ્યવસાયના વિકાસનો મુખ્ય આધાર પાણીની ઉપલબ્ધી પર છે. પશુઓને પીવા માટે તથા ઘાસ ચારાનું ઉત્પાદન કરવા માટે પાણી અતિ આવશ્યક છે. આથી પાણીની અછતની સીધી અસર પશુપાલન વ્યવસ્થા પર પડે છે. પાણીના અભાવમાં પશુપાલકોએ પોતાના પશુઓ સાથે એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમાં સતત ભટકતા રહેવું પડે છે. આ ઉપરાંત પાણીની અછતના કારણે પશુઓને પૂરતો લીલો ઘાસ ચારો પણ મળી શકતો નથી. જેના લીધે પણ પશુઓની દૂધ ઉત્પાદકતા પર માઠી અસર થવા પામે છે.
ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદીના છ દાયકાબાદ પણ આજે દેશની ૬૦% જેટલી જમીન સિંચાઈ વિહોણી છે. એક બાજુ દેશમાં ખાદ્યાન્ન તથા અન્ય ખેતપેદાશોની અછત પ્રવર્તે છે. અને બીજી બાજુ સિંચાઈ માટે પૂરતુંુ પાણી ન મળવાથી લાખો એકર જમીન ખેડાયા વિનાની પડી રહી છે. અર્થાત આવી જમીનમાં એક થી વધુ પાક લેવાનું મુશ્કેલ કે અશક્ય બને છે. ભારત જેવા ગરીબ દેશમાં એક બાજુ અનાજ અને અન્ય ખેત પેદાશોની આયાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને બીજી બાજુ સરકાર સિંચાઈની સુવિધા વધારવા પાછળ નાણાં ખર્ચ કરવામા અસમર્થતા અનુભવે છે. ભારતમાં હરીયાળી ક્રાંતિના આગમન બાદ સુધારેલા બિયારણોનો ઉપયોગ વધ્યો છે. સુધારેલા બિયારણોને વધારે પાણીની જરૂર પડે છે. જો સમયસર પૂરતા પ્રમાણમાં પાણી ન મળી શકે તો આવા બિયારણો સારી ઉપજ આપી શકતા નથી. ભારતમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સુવિધાના કારણે સુધારેલા બિયારણોનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. અને જ્યાં ઉપયોગ થાય છે ત્યાં પણ પાણીની અછતના કારણે સારી ઉત્પાદકતા મળી શકતી નથી. આમ પાણીની અપૂરતી ઉપલબ્ધીથી ખેતી ક્ષેત્રે અનેક પ્રશ્નો સર્જાયા છે. પીવાના પાણીની અછતના સમયમાં ખેતી માટેનું પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવે છે. આમ, પાણીની અછતના સમયમાં કે જયારે એક બાજુ ખેતરમાં પાક સૂકાતો હોય ત્યારે જ ખેડૂતોને ડેમમાંથી પાણી મળી શકતું નથી. આમ ઉપલ્બધ પાણી સંગ્રહ અને વિતરણના યોગ્ય આયોજનના અભાવમાં ખેતીક્ષેત્રને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જળ સંગ્રહનું ખામી ભરેલ આયોજન

ભારતમાં ઊભી થયેલ જળ કટોકટી માટે પાણીની અછત કરતાં પાણીના સંગ્રહની ખામી ભરેલી વ્યવસ્થા વધુ જવાબદાર છે. ભારતમાં સપાટી પરના પાણીના સંગ્રહ સ્થાનો ચિંતાજનક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં ચોમાસા દરમ્યાન ઠેરઠેર કેડ સમા પાણી ભરાયેલા જોવા મળે છે તો તેજ વર્ષે ઉનાળામાં જુદી જુદી વસાહતોમાં પીવાના પાણીનો કકળાટ પણ જોવા મળે છે. ચોમાસામાં પાક ડુબાણમાં જવાના સમાચારો સામે ઉનાળામાં સિંચાઈના અભાવે પાક બગડતો હોય તેવા સમાચાર જોઈ શકાય છે. આવી સ્થિતિનું મુખ્ય કારણ સપાટી પરના જળસંગ્રહમાં થતો ઘટાડો છે. જળસંગ્રહ સ્થાનો ઘટવા પાછળ જવાબદાર કારણો જોઈએ તો

  • શહેરીકરણ અને ખેતી લાયક જમીનમાં વધતા ઉપયોગના કારણે નદીઓના પટ સાંકડા થઈ રહ્યા છે. કેટલોક ધન કચરો નદીઓના પટમાં ઠાલવવાના કારણે નદીઓનો પટ સાંકડા થતા પાણીનો જળસંગ્રહ ઘટતો જાય છે. ઉપરાંત જમીનમાં પાણી ઊતરવાની રિચાર્જિંગ માં પણ ઘટાડો થાય છે. આ અંગે સરકરાનું કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી.
  • શહેરીકરણ અને પાણીનું પ્રદૂષણ :શહેરોમાં વસ્તી ગીચતા વધુ હોવાના કારણે પાણીની માંગ વધુ રહે છે. સાથે સાથે રોજીંદા વપરાશમાં સાબુ, ડિટર્જન્ટ, શેમ્પુ વગેરેના ઉપયોગના કારણે જળ પ્રદૂષણ શહેરોમાં ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થયેલ હોવાના કારણે તળાવો અને ભૂગર્ભજળ રિવર્સબોર દ્વારા દૂષિત થઈ રહ્યું છે. ગુજરાતમાં ગોલ્ડન કોરીડોર અમદાવાદ-વાપી આજુબાજુનાઉદ્યોગોમાંથી છોડેલા દૂષિત પાણીને કારણે ઉપયોગ કરી શકાય તેવું પાણી પ્રદૂષિત બની રહ્યું છે. આવા પ્રદૂષિત પાણી ઉપયોગમાં આવતા મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો પડે છે.
  • મોટાબંધો બાંધવાનો પ્રશ્ન જળ સંગ્રહ માટેનો સૌથી સારો માર્ગ નદી પર આડબંધો બાંધીને માનવસર્જિત સરોવર ઉભુ કરવું તે છે. પરંતુ મોટાબંધ બાંધવા માટે મૂડીરોકાણ માટેનો પ્રશ્ન વિકાસશીલ રાષ્ટ્રોને સતાવે છે તેમાં નફાનું પ્રમાણ નહી હોવાના કારણે ખાનગી નિયોજકો મૂડી રોકાણ કરવા તત્પર હોતા નથી અને સરકારની આર્થિક સ્થિતિ નબળી હોય છે. જે વિસ્તારોમાં પાણીની સરળતાથી પ્રાપ્ત થાય છે તે વિસ્તારોમાં પાણીનો દુર ઉપયોગ વધતો જાય છે. જે વિસ્તારોમાં પાણીનો વધુ વપરાશ કરવાની મનોવૃત્તિ વધતી જાય છે. ખાસ કરીને સિંચાઈ માટેની નહેરો જે વિસ્તારમાં આવેલી છે ત્યાં પાણી નીચી કિંમતે પ્રાપ્ય બનતું હોવાથી ખેડૂતો જરૂર કરતા વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરતા દલદલનો પ્રશ્ન ઊભો થયો છે નહેરોનું બાંધકામ નબળુ હોવાના કારણે હજારો ક્યુસેક પાણી લીકેજ થાય છે અને ખેતી લાયક જમીનમાં ઘટાડો થાય છે. આમ એક બાજુ પાણીની તીવ્ર અછત જોવા મળે છે. તો બીજી બાજુ પ્રાપ્ય જળસ્તોત્રનો સંગ્રહ કરી શકતા નથી. ટૂંકમાં ભારતમાં જળસંગ્રહનું ખામી ભરેલ આયોજન જોવા મળે છે. ભારતમાં પાણીની અછત કરતા ઉપયોગ અંગેના યોગ્ય આયોજનનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.

પાણીની ઉપલબ્ધી અને આવશ્યકતાની સ્થિતિ જોતા ભારતમાં પાણીની અછત છે તેમ કહી શકાય નહીં. પરંતુ પાણીની અછત એટલા માટે છે કે આપણે ઉપલબ્ધ પાણીનો બગાડ કરીએ છીએ, જરૂર કરતાં પાણીનો વધુ પડતો વપરાશ કરીએ છીએ, ઉપલબ્ધ જળસ્ત્રોત કે જળાશયોની જાળવણી કરતાં નથી અને બીજી બાજુ જળસંગ્રહની કાર્યક્ષમ વ્યવસ્થા આપણે વિકસાવી શક્યા નથી. પરિણામે ઉપલબ્ધ જળ સ્ત્રોત ઘટવા લાગ્યા છે. અને જળ કટોકટીનું નિર્માણ થવા પામ્યું છે. હાલમાં રોજ-બરોજ નવા ઈજનેરી કૌશલ્યો વિકસતા જાય છે ત્યારે આપણે આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જળ વ્યવસ્થાપન વધુ મજબૂત બનાવવું પડશે. જળ વ્યવસ્થાપન એવું હોવું જોઈએ કે વર્તમાન પેઢીની પાણીની જરૂરિયાત પૂર્ણ થાય, ઉપલબ્ધ જળસ્ત્રોતની જાળવણી થાય, પાણીની ગુણવત્તા જળવાઈ રહે, પાણીનો કરકસર ભર્યો ઉપયોગ થાય અને આવનારી પેઢીને ઊભી થનાર પાણીની જરૂરિયાતને પણ પહોંચી શકાય. જો આ રીતે પાણીનું વ્યવસ્થાપન થશે તો પાણીની અછતનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. જળસંકટ થી બચવાનો મહત્વનો ઉપાય એ યોગ્ય પ્રકારનું વોટર મેનેજમેન્ટ જ છે. આથી હવે આપણે તેના વિશે ચર્ચા કરીશુ.

જળસંકટથી બચવાના ઉપાયો

યોગ્ય પ્રકારના જળ વ્યવસ્થાપનના અભાવમાં જળસંકટ વધુ ઘેરુ બનતુ જાય છે. આ સ્થિતિ માંથી બહાર આવવાના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે.

વરસાદી પાણીનો સંગ્રહ

દર વર્ષે કુદરત તરફથી આપણને વરસાદનું પાણી ભેટના રૂપમાં પ્રાપ્ત થાય છે. આવું વરસાદી પાણી સંગ્રહ કરવા માટે અગાઉના સમયમાં જે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવતા હતાં તેવા ટાંકા બનાવવા જોઈએ. દરેક બહુમાળી મકાનોમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે વરસાદનું એક એક બૂંદ પાણી સંગ્રહ કરી શકાય.

ચેકડેમ

ગુજરાતમાં થયેલી પ્રગતિ, મળેલા સારા પરિણામો ભૂગર્ભજળ સ્તર પર આવે છે. વીજ વપરાશ ઘટે છે. ખર્ચમાં ઘટાડો.

ખેતતલાવડી

વરસાદની અછતના સમયમાં પાકને બચાવી શકાય. ખેડૂત પોતાની સિંચાઈ સગવડ કરી શકે. પાસેની જમીનમાં ભેજ જળવાઈ રહે.

બંધારા યોજના

દરિયામાં નિરર્થક વહી જતા નદીઓના પાણીનો આયોજન વડે સંગ્રહ કરી શકાય. પાણીનો સંગ્રહ થાય, ખારાશ આગળ વધતી અટકે, સિંચાઈની સગવડ વધે, ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે, સિંચાઈ નો ખર્ચ ઘટે મત્સ્ય ઉછેર થઈ શકે.

વેલ રીચાર્જિંગ

વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કુવાઓમાં ઊતારવામાં આવે તો કુવાઓ ફરી જીવંત બને ભૂગર્ભ જળ સ્તર ઘટતા જાય છે ત્યારે આ પધ્ધતિ ઘણી જ ઉપયોગી થઈ શકે તેમ છે. સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય તથા અન્ય સત્સંગી સંસ્થાઓએ હાથ ધરેલા ભગીરથ પ્રયાસોને લીધે વેલ રીચાર્જિંગ ને વેગ મળ્યો છે. કૂવાઓ રીચાર્જ થવાથી સિંચાઈ માટેનો ખર્ચ ઘટ્યો છે. વધુ વિસ્તારમાં સિંચાઈ થઈ શકે છે. અને પાણીમાં ક્ષારનું પ્રમાણ નિયંત્રિત થઈ શકે છે.

વરસાદ પાણીનો સંગ્રહ

મોટા મકાનોમાં વરસાદ પાણીનો સંગ્રહ કરવાના મોટા ટાંકા બનાવી પાણીનો ઉપયોગ કરવો. પ્રાચિન સમયમાં ભારતમાં આ રીતે પાણીનો સંગ્રહ કરવાની પરંપરા વિકસી છે. દરેક ઘર પર એટલો વરસાદ પડે છે કે તેમાં રહેનાર ને જરૂરી પીવાનું પાણી વર્ષ ભર મળી રહે જો વૈજ્ઞાનિક રીતે પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ગુણવત્તા સભર પાણી વર્ષ દરમ્યાન મળી રહે.

ખેતીમાં પિયત પદ્ધતિ

ખેતીમાં પિયત પદ્ધતિ બદલવી આપણી ઘોરીયા બનાવી પાકને પાણી આપવાની પધ્ધતિમાં પાણીનો વ્યાપક બગાડ થાય છે. આથી ઈઝરાયેલની જેમ રિસાયકલ થયેલાં પાણીનો ઉપયોગ વડે ટપક સિંચાઈ પધ્ધતિ વડે પાકવેલામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે તેમ છે.

પાણીનો વધુ ઉપયોગ

પાણી બગાડ કરતા ઉદ્યોગો પર રોક લગાવવાની જરૂર છે. બિન જરૂરી પાણી વાપરી પાણીને પ્રદૂષિત કરતા એકમો પાસે પાણીનો ખૂબ ઉંચા દર વસૂલ કરવા જોઈએ.

  • પાકની તરાહ બદલીને વધુ પાણી થી થતા પાકના બદલે ઓછા પાણીથી પાકતા તરફ ખેડૂતોને વાળવા જોઈએ. જેથી સુકા પ્રદેશોમાં પણ સારો પાક લઈ શકાય અને પાણીની અછતનો પ્રશ્ન રહે નહીં.
  • ખેતરના ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું આમ કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિ વધશે તથા નિરર્થક પાણી જતાં પાણીને જમીનમાં ઉતારી શકાશે.
  • વૃક્ષનું વાવેતર વધારવું : વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવવા જમીનની ભેજ ધારણ શક્તિ વધારવા તથા વરસાદ લાવવા માટે મદદરૂપ થાય છે. આથી જે જ્ગ્યાએ વૃક્ષોનું વાવેતર કરી શકાય તેમ હોય ત્યાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આમ વૃક્ષો પણ જળ સંકટ નિવારવામાં ઉપયોગી થઈ શકે તેમ છે.
  • અન્ય ઉપાયો ખેતીક્ષેત્રે વોટરમેનેજમેન્ટ ખેતરો કે કેનાલો પર પાણીના મીટર મૂકવા. કયા પાકને કેટલું પાણી જોઈશે તેની ખેડૂતોને માહિતી આપવી, ખેડૂતોને સમયસર પૂરતું પાણી પુરું પાડવું, મફત વીજળી આપવી તથા સસ્તા દરે આયાતી વીજળીની પ્રથા અંગે પુનઃ વિચાર કરવો. વધુ ઉંડા બોર બનાવવા પર રોક લગાવવો. દરિયા કિનારાના વિસ્તારો તથા ઉંડાઈએ પાણી ખેંચી ક્ષારીય પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય તો તેમ થતું અટકાવવું, પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી થતી રહે તેની કાળજી રાખવી.
  • પાણીનું આયોજન ઘર વપરાશ માટે થતાં પાણીના વપરાશમાં કરકસર થાય અને લોકો પાણી વેડફે નહી તેની કાળજી લેવી, સરકાર દ્વારા ઘર વપરાશ માટે આયાતી પાણી પુરવઠા માટે પણ મીટર લગાવવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પાણીનો જે વધુ વપરાશ કરે તેની વધારે કિંમત ચૂકવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઘર વપરાશનું પાણી એક વખત ઉપયોગમાં લઈ ફરી તેનો ઉપયોગ થાય તેની કાળજી રાખવી જોઈએ. દા.ત. વાસણ સાફ કરેલું હોય તેવું પઆણી નહાવા ધોવામા વપરાયેલ પાણી બગીચામાં ઉપયોગમાં લેવું.
  • ઔદ્યોગિક ક્ષેત્રે પાણીના ઉપયોગને નિયંત્રિત કરવા ઔદ્યોગિક ઉપયોગ માટેના પાણીના દર વધારવાની જરૂર છે. પાણીનો બગાડ કરતાં ઔદ્યોગિક એકમો બંધ કરવા જોઈએ. વળી, જે ઔદ્યોગિક એકમો પાણીને પ્રદૂષિત કરે છે. અને ટ્રીટમેન્ટ કર્યા સિવાયનું પાણી ફાવે ત્યાં છોડી દે છે તેવા એકમો પાસેથી પાણી બગાડવાનો ઉંચો દંડ વસૂલ કરવો જોઈએ.
  • આમ જો આપણે એકબાજુ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરીશું તેની ગુણવત્તા જાળવીશું અને પાણીનો ઉચિત સંગ્રહ કરીશું તો પાણીની અછતનો આપણે સામનો કરવો પડશે નહીં.

સમીક્ષા

ભારત કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી પ્રગતિ સાધી રહ્યો છે. આથી આ બંને ક્ષેત્રમાં પાણીની માંગ દિનપ્રતિદિન વધતી જાય છે. પરંતુ આપણાં સીમિત જળસ્ત્રોતના કારણે પાણીની વધતી જતી માંગને પહોંચી વળવાનું કાર્ય મુશ્કેલ બનતું જાય છે. વળી, પાણીના પ્રદૂષણનો પ્રશ્ન પણ ગંભીર બનતો જાય છે. પાણીની અછતના કારણે જ રાજ્યો- રાજ્યો વર્ચે અને દેશદેશ વચ્ચે સંઘર્ષો થવાની પણ શરૂઆત થવા પામી છે. આવા સંજોગોમાં જો જળ વ્યવસ્થાપન વિશે ગંભીરતાથી વિચારણા હાથ ધરવામાં નહીં આવે તો કૃષિ અને ઔદ્યોગિક વિકાસના લક્ષ્યાંકો સિધ્ધ થઈ શકશે નહીં. એટલું જ નહી અનિયંત્રિત રીતે થઈ રહેલાં શહેરીકરણના કારણે શહેરોમાં તીવ્ર ગતિએ વધી રહેલી પાણીની માંગને પહોંચી વળવું પણ મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં જળ વ્યવસ્થાપન એ જ શ્રેષ્ઠ માર્ગ છે.-પાણી છે તો જીવન છે- આ બાબતને ધ્યાનમાં રાખી દેશનો પ્રત્યેક નાગરિક જળ બચાવો ક્રાંતિમાં પોતાનું યોગદાન આપશે તો જ પાણીદાર ભારતનું નિર્માણ શક્ય બનશે. અન્યથા આપણી સઘળી આકાંક્ષાઓ પર પાણી ફરી વળશે.

વર્તમાન સમયમાં પૃથ્વી પર ૧૪૦ કરોડ ઘનમીટર પાણી છે. અર્થાત્ ૧૪૦ કિ.મી. લાંબો એટલો જ પહોળો અને ઊંડો હોજ બનાવવામાં આવે તો તેમાં પૃથ્વી પર ઉપલબ્ધ તમામ જળરાશિ સમાઈ જાય આમાંથી ૧૩૬ હજાર ધનમીટર જેટલું જ પાણી આપણા હિસ્સામાં આવે છે. જે નદીઓ, તળાવો, સરોવરો, ઝરણા, દલદલ, માટી તથા હવામાં ભેજ સ્વરૂપે અને વનસ્પતિ તેમ જ જીવજંતુના શરીરમાં રહેલું છે. દર વર્ષે જમીનથી સમુદ્ર તરફ ૪૦,૦૦૦ ધન કિ.મી પાણી વહીને જાય છે. તેમાંથી આપણે કેટલીક વિટબંણાઓ પછી ૯૦૦૦ ઘન કિ.મી. પાણીનો સંગ્રહ કરીને ઉપયોગ કરી શકીએ છે. બીજી બાજુ પાણી વાપરનારની સંખ્યા અને માથાદીઠ પાણીનો વપરાશ વધતો જાય છે. તે જોતા વિશ્વમાં જળકટોકટી ઊભી થાય તેવા સંજોગો છે. ત્રીજા વર્લ્ડ વોટર ફોરમ દરમ્યાન ના યુ.એન. ના એક અંદાજ મુજબ વિશ્વના ૨.૭ અબજ લોકોને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડશે જે ઉપરોક્ત બાબતને સમર્થન આપે છે. વળી, વિશ્વની અડધી વસ્તી એવા દેશોમાં વસે છે કે જ્યાં ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. ટૂંકમાં આપણી પાસે ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની ઉપલબ્ધતા ઓછી હોવાથી આપણે ઉપલબ્ધ જળ રાશિનો ખૂબ જ સમજદારી પૂર્વક ઉપયોગ કરવો પડશે. પાણીના ઉપયોગ સંદર્ભે જનજાગૃતિ લાવવાના આશયથી દર વર્ષે ૨૨ માર્ચના દિવસને વિશ્વ જળદિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્રો. આંજણા કે. પટેલ

લેખક એસ.કે.યુ.બી. સમિતિ આર્ટસ એન્ડ એન.સી.ઝવેરી કોમર્સ કોલેજ, પિપળીયામાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા છે.

સંકલનઃકંચન કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate