অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્લાસ્ટિક પારાયણ

પ્લાસ્ટિક પારાયણ

આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે. પ્લાસ્ટિકની નિર્જીવ ખુરશી, ફોમવાળી ગાદી, ટેલિવિઝન, કમ્પ્યુટર સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ અને આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટિકની બનાવટમાંથી બનેલી તમામ વસ્તુઓમાંથી પ્રસરતું ઝેર અતિ સૂક્ષ્મ માત્રામાં હોય છે જે પૃથ્વી ઉપર મહાલતા જીવને મારી નાખતું નથી પણ થાઇરોઇડ ગ્રંથી ઉપર ગંભીર અસર કરી પુખ્ત ઉમરના માનવની યાદશકિત અને નાના બાળકોના માનસીક વિકાસ ઉપર વિપરીત અસર કરે છે.
આજના યુગમાં પ્લાસ્ટિક આપણા જીવન સાથે વણાય ગયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આજે આપણે ડગલે ને પગલે કરી રહ્યા છીએ. પ્લાસ્ટિકના સદ્‌ગુણોને કારણે તેનો ઉપયોગ વ્યાપક બન્યો છે પણ તેનો એક અવગુણ તેની ક્ષમતા ઉપર પાણી ફેરવી નાખે છે. પ્લાસ્ટિકનો એ અવગુણ એટલે તે ઝડપથી સળગી ઉઠે છે. પ્લાસ્ટિકને થોડી ગરમી મળવાથી તે નરમ બની ઓગળી જાય છે. કેટલાક હલકી કક્ષાના પ્લાસ્ટિક ઉનાળાના સખત તાપમાં નરમ થઇને બેડોળ પણ બની જાય છે. કયારેક અકસ્માતે એકાદ નાના તણખાને કારણે આંખના પલકારામાં પ્લાસ્ટિક જવાળા પકડ લે છે અને મોટી આગ ફાટી નીકળે છે. કેટલાક સંજોગોમાં આવી ફાટી નીકળેલી આગને ઓલવવામાં કલાકો કે દિવસો નીકળી જતાં હોય છે.
મુદ્રાની વાત એ છે કે, પ્લાસ્ટિક જે નુકશાન કરે છે તેના કરતાં વધારે નુકશાન તેની બનાવટમાં વપરાતાં 'ફલેઇમ રીટાર્ડન્ટ" એટલે કે આગ પ્રતિરોધક પદાર્થો વધારે નુકશાનકર્તા છે. પ્લાસ્ટિક બનાવતી વખતે તેમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરીને તેને 'ફાયરપ્રુફ" બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક તરીકે બ્રોમિન, કલોરિન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને બોરેકસમાંથી બનતાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે.
આગ પ્રતિરોધક આગ લાગતી કેવી રીતે રોકે છે એ જાણતાં પહેલા આગ વિશે થોડું જાણી લઇએ. આગ લાગે ત્યારે તેનો પ્રસરવાનો આધાર તેની આસપાસ રહેલી વસ્તુઓ ઉપર હોય છે. મુખ્યત્વે આગની ત્રણ અવસ્થા હોય છે. એક પ્રારંભની અવસ્થા, બીજી પૂર્ણ કક્ષાની અવસ્થા અને ત્રીજી શમન અવસ્થા. નાની અમથી ચીનગારીથી કંઇક વસ્તુ સળગે એટલે તેની આસપાસની હવાનું તાપમાન વધે છે અને આગ જોર પકડતાં તે સતત વધતું રહે છે. આગની આ પ્રારંભીક અવસ્થા બાદ આગને વધારે ઓકિસજન મળતા તે તેની પૂર્ણ કક્ષાની અવસ્થાએ પહોચે છે. આગની આ અવસ્થામાં તાપમાન ૧૨૦૦ ડિગ્રી સેલ્શિયસ જેટલું હોય છે જે પાણીને ગણકારતું નથી. શમન અવસ્થામાં આગ ધીમી પડી ઓલવાઇ જતી હોય છે અને પછી ધુમાડામાં ફેરવાઇ જાય છે. આગ લાગે ત્યારે મોટેભાગે કાર્બન ડાયોકસાઇડ નહી પણ કાર્બન મોનોકસાઇડ ઉત્પન્ન થતો હોય છે. આગ સાથે સળગતાં કપડાં, લાકડા કે અન્ય ચીજ વસ્તુઓને કારણે હાઇડ્રોજન કલોરાઇડ અને પ્લાસ્ટિક સળગે ત્યારે હાઇડ્રોજન સાઇનાઇડ ઉત્પન્ન થાય છે. આગ લાગે ત્યારે ૫૦% લોકો આ ઝેરી વાયુના કારણે ગુંગળાઇને મૃત્યુ પામે છે. ૨૦% લોકો ભયભીત થઇને મૃત્યુ પામે છેે જયારે ૩૦% લોકો આગથી દાઝવાને કારણે મૃત્યુ પામે છે.
પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકના ઉપકરણોમાં જો આગ પ્રતિરોધક પદાર્થો ન હોય તો આગથી થતું નુકશાન બમણું થઇ જવાની શકયતા રહેલી છે. આ કારણોસર પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરવામાં આવે છે. આગ પ્રતિરોધક પદાર્થો પ્લાસ્ટિકની સપાટી ઉપર કાર્બોનાઇઝડ 'લેયર" તરીકે હોય છે.(માચીસની કાંડી કાર્બોનાઇઝડ હોય છે જેને સળગાવ્યા બાદ ઓલવવાની જરૂર પડતી નથી પણ આપોઆપ ઓલવાઇ જાય છે.) પ્લાસ્ટિકને આગ લાગે ત્યારે આ આગ પ્રતિરોધક પદાર્થો ગરમ થઇ ફીણ સ્વરૂપમાં ફેરવાઇને આગને ધુંધવી નાખે છે. આમ થવાથી આગ લાગે ત્યારે પ્લાસ્ટિક ઓગળી જઇ ગઠ્ઠા સ્વરૂપમાં ફેરવાઇ જાય છે. ઘર વપરાશની દરેક ચીજ-વસ્તુઓમાં આગ પ્રતિરોધક પદાર્થો હોય છે.
મોટેભાગે આગ પ્રતિરોધક પદાર્થો તરીકે પોલી બ્રોમો ડાઇકીનાઇલ ઇથર્સ(પી.બી.ડી.ઇ.) અને બ્રોમીનેટેડ ફલેઇમ રીટાર્ડન્ટ(બી.એફ.આર.) વપરાય છે. આજથી દસ વર્ષ પહેલા સ્ટોકહેમમાં સંશોધકોને માતાના ધાવણમાં પી.બી.ડી.ઇ.નું પ્રમાણ જોવા મળ્યું હતું. આ સંશોધન બાદ અમેરિકા, જપાન, ઇઝરાઇલ અને સ્પેનમાં પણ આ બાબતે સંશોધનો થયા અને ત્યાં પણ માતાના ધાવણમાં પી.બી.ડી.ઇ.નું પ્રમાણ ચિંતાજનક જોવા મળ્યું હતું. પી.બી.ડી.ઇ. નું ચિંતાજનક સંચરણ ઘર વપરાશની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓમાંથી થાય છે એવો સંશોધકોનો મત છે કારણ કે એ સિવાય અન્ય કોઇ સ્ત્રોત જોવા મળતો નથી. પ્લાસ્ટિકનો વપરાશ જેમ વધે છે તેમ તેનો 'વેસ્ટ" પણ વધે છે. એક અંદાજ પ્રમાણે આજે પૃથ્વી ઉપર રહેલા પ્લાસ્ટિકના વેસ્ટનો ગઠ્ઠો બનાવવામાં આવે તો આપણી પૃથ્વી જેવડી બીજી ત્રણ પૃથ્વી બને! પ્લાસ્ટિકનો વેસ્ટ પી.બી.ડી.ઇ. ના ફેલાવા માટે જવાબદાર છે એવું સંશોધકોનું માનવું છે. દરેક પ્રકારના પી.બી.ડી.ઇ.ચોક્કસ તાપમાને બાષ્પિભવન થઇને વાતાવરણમાં ભળે છે. સંશોધકોના મત પ્રમાણે પી.બી.ડી.ઇ. પદાર્થો ૮૦ થી ૧૨૦ ડિગ્રી તાપમાને વરાળ બને છે. તેમાથી ઉત્પન્ન થતો વાયુ રંગ અને ગંધવિહીન હોય છે. વાતાવરણમાં ભળેલા આ વાયુ શ્વાવોસોશ્વાસ દ્વારા શરીરમાં દાખલ થાય ત્યારે આરોગ્યને અસર કરે છે. ઘરમાં ટેલિવિઝન કે મ્યુઝીક સીસ્ટમ સતત ચાલુ હોય ત્યારે એ ઉપકરણો ગરમ થાય છે અને તેમાં વપરાયેલા આગ પ્રતિરોધકો વાયુ સ્વરૂપે હવામાં ભળી જતાં હોય છે. આ ઉપરાંત ઘરમાં રહેલી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના સતત વપરાશને કારણે તેમાં થતાં ઘસારાથી પી.બી.ડી.ઇ. ના સૂક્ષ્મ રજકણો હવામાં સતત ભળતાં હોય છે અને સમય જતા તે ઉઘાડા ખાદ્યપદાર્થો ઉપર પણ જમા થતાં હોય છે.
પશ્ચિમી દેશો અને વિશ્વની એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એજન્સીઓ પ્લાસ્ટિકમાં વપરાતાં આ આગ પ્રતિરોધક પદાર્થોને અનુલક્ષીને ચિંતિત છે. હાલમાં યુરોપના દેશોમાં તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આગ પ્રતિરોધક પદાર્થોની અસર આરોગ્ય ઉપર ધીમી અને લાંબા ગાળાની હોય છે આથી તેનો મર્યાદામાં ઉપયોગ કરી જોખમો ઘટાડી શકાય છે. આજના યુગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાનું લગભગ અશકય છે માટે જો આપણે થોડા સજાગ થઇને પણ તેના ઉપયોગમાં ઘટાડો કરીએ તો પણ ઘણું સારું કાર્ય કર્યુ કહેવાય!
એક વાત અહીં નોંધનીય છે કે, માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વિવિધ વસ્તુઓ ઉત્પાદિત કરે છે, પણ કયારેક થોડો વધુ નફો રળી લેવાની લાયમાં સમગ્ર જીવસૃષ્ટ્રિના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. માનવ પોતે જ પોતાની ઘોર ખોદી રહ્યો છે. જો આવી નુકશાનકારક પ્રગતિને અટકાવવામાં નહી આવે તો માનવ પોતે જ પોતાના વિનાશનું કારણ બનશે એ વાતમાં બે મત નથી!
લેખક  : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate