অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નેટ્રાન સરોવર

નેટ્રાન સરોવર

રાજા મિડાસની વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે. તે જે પણ ચીજ વસ્તુને પોતાના હાથથી સ્પર્શ કરે તે સોનાની બની જતી હતી, એટલે સુધી કે જીવંત મનુષ્યને સ્પર્શે તો તે પણ સોનાની મુર્તિ બની જાય. આવુ જ કંઇક આફ્રિકાના નોર્થ ટાન્ઝાનિયામાં આવેલા નેટ્રાન સરોવરનું છે.

આ સરોવર શાપિત છે અને તેના પાણીને જે પણ સ્પર્શે છે તે પથ્થર બની જાય છે. આવી લોકવાયકા ત્યાંના લોકો સદીઓથી સાંભળતા આવ્યા છે. પોતાના જીવના જોખમે કોઇ સતનાં પારખાં કરવાની હિંમત કરતું નથી. આ સિવાય તળાવની આસપાસ જનારાં કે ઊડનારા પશુ-પક્ષીઓ ગાયબ બની જતાં હોવાની વાત પણ ખૂબ પ્રચલિત છે. આવી વાયકાઓને કારણે નેટ્રાન સરોવર અને તેની આજુબાજુનો વિસ્તાર સ્મશાન જેવો લાગે છે. ત્યાં સતત ડરામણી શાંતિ પ્રસરેલી રહે છે. તેની નજીક જનારા સાહસવીરોએ પણ એ તળાવના દ્રશ્ય અને પાણીમાં કંઇક વિચિત્રતા હોવાનો અનુભવ જરૂર કર્યો છે. જોકે, આજ સુધી કોઇ મનુષ્યના પથ્થર બનવાની વાત સામે આવી નથી. પરંતુ, પશુ-પક્ષીઓ માટે તો આ સરોવર મોતનુ પ્રવેશદ્વાર જ છે.

એક સાહસવીર ફોટોગ્રાફર નિકબ્રાન્ડટ જયારે સરોવર પર પહોચ્યા ત્યારે ત્યાંનુ દ્રશ્ય જોઇને આશ્ચર્યમાં પડી ગયા. સરોવરના કિનારે ઠેર-ઠેર પશુ-પક્ષીઓની મુર્તિઓ જોવા મળી. વાસ્તવમાં તે મુર્તિઓ નહોતી, પરંતુ અસલી મૃત પશુ-પક્ષીઓ જ હતા. આ જોઇ નિકે તેનું રહસ્ય જાણવાનું નક્કી કરી લીધું. થોડા જ સમયમાં સદીઓથી ઘેરાયેલા આ રહસ્ય ઉપરથી પડદો ઉઠી ગયો. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે, આ સરોવરના પાણીમાં જનારા જાનવર કે પશુ-પક્ષી થોડી જ વારમાં કેલ્સિફાઇડ થઇને પથ્થર બની જતા હતા. જોકે ચોક્કસ રીતે નથી જાણી શકાયું કે તેઓ કેવી રીતે મૃત્યું પામ્યા. પરંતુ, સરોવરનો વધારે પડતો રિફલેકિટવ નેચર જ તેમને દિગ્ભ્રમિત કરતો હશે, જેના ફળ સ્વરુપ તેઓ પાણીમાં પડયા હશે. સરોવરના પાણીમાં મીઠા અને સોડાનંુ પ્રમાણ બહુ જ વધારે છે જેણે આજ સુધી પશુ-પક્ષીઓના મૃત્ શરીરને સુરક્ષિત રાખ્યા છે. આ પાણીમાં આલ્કલાઇનનું સ્તર ખૂબ જ વધારે છે, એમ કહી શકાય કે એમોનિયા જેટલો જ આલ્કલાઇન છે. સરોવરનું તાપમાન પણ ૬૦ ડીગ્રી સુધી પહોચી જાય છે. સરોવરના પાણીમાં જવાળામુખીની રાખમાંથી મળતું તત્વ પણ મળી આવ્યું છે. આ તત્વનો ઉપયોગ મિસરવાસીઓ મમીઓને સુરક્ષિત રાખવા માટે કરતા હતા. ફોટોગ્રાફર નિકે પોતાની ફોટોબુક ''Across the Ravaged Land" માં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૨માં લીધેલી તસવીરો પ્રગટ કરી છે. તેઓ જણાવે છે કે, બધા જ પ્રાણી કેલ્સિફિકેશનને કારણે પથ્થર જેવા મજબૂત થઇ ગયા હતા, તેથી તેમના સારા ફોટા લેવા માટે અમે તેમનામાં તો કોઇ ફેરબદલ કરી શકીએ તેમ નહોતા, તેથી અમે તેમને તે જ સ્થિતિમાં વૃક્ષો અને પથ્થરો પર મૂકી દીધાં.

લેખક : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate