অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાયપેરિયન એકટ

રાયપેરિયન એકટ

કુદરતી રીતે નદીઓને કોઇ સીમાઓ હોતી નથી. નદી પોતાના ઉદ્ગમ સ્થાનેથી ઉત્પન્ન થઇને કુદરતી રીતે પોતાનો માર્ગ શોધી આગળ વધતી હોય છે અને છેલ્લે રણમાં અથવા તો સમુદ્રમાં વિલિન થતી હોય છે. જે વિસ્તારમાંથી કે જે દેશોમાંથી નદીનું વહેણ પસાર થાય છે તેના ઉપર જે-તે વિસ્તાર કે દેશનો હક્ક બને છે. નદીનું વહેણ ઊંચાણવાળા વિસ્તારોમાંથી નીચાણવાળા વિસ્તારો તરફ હોય તે સ્વાભાવિક છે. આથી કયારેક એવું બને કે, ઉંચાણવાળા વિસ્તારોમાં નદી ઉપર ડેમ કે અન્ય બાંધકામો કરવાથી નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનું પાણી મળી શકે નહી. કુદરતી રીતે વહેતી નદીના પાણીનો ઉપયોગ કરવાનો હક્ક સૌને સમાન હોઇ શકે! આ સમાન હક્કની વહેચણી માટે જગત આખામાં એક કાયદાની જોગાવઇ કરવામાં આવી છે જે દરેક દેશ પ્રમાણે તેની ભૌગોલિક સ્થિતિને આધિન છે. આ કાયદો એટલે રાયપેરિયન એકટ.

રાયપેરિયન એકટ એટલે સરળ ભાષામાં એમ કહી શકાય કે, નદી કે પાણીના વહેણની આસપાસ જમીનનો કબજો ધરાવનાર એ નદી કે વહેણના પાણીનો ઉપયોગ પીવાના પાણી કે સિંચાઇ હેતુ માટે કરી શકે. રાજય અથવા તો દેશ પ્રમાણે આ એકટની માત્રા કાયદા અનુસાર બદલે છે પણ આ એકટ બાબતે નદી કે વહેણના પાણીને અન્યત્ર વાળીને બીજાને વેંચાણ કરવું, નદીના પાણીનો ઉપયોગ ઓદ્યોગિક હેતુ માટે કરવો, નદીના કે વહેણના પાણીની જમીનમાં ખનન કરી રેતી, કાંકરા કે ખનીજ મેળવવું જેવા મુદ્રાઓ બાબતે વિવાદ પ્રર્વતે છે. આ એકટ બાબતે સુસંગતતાની વાત કરીએ તો નદીના કુદરતી વહેણને કોઇપણ વ્યકિત કે દેશ પોતાની ઇચ્છા અનુસાર બદલી શકતો નથી કે તેના ઉપર ડેમ બાંધી શકતો નથી.

જે નદીઓ એક કરતાં વધારે રાજયો કે દેશમાંથી વહે છે તેને રાયપેરિયન નદી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતમાં રાજય કક્ષાએ દક્ષિણ ભારતની કૃષ્ણા, કાવેરી નદીઓ રાયપેરિયન નદી છે. એ જ પ્રમાણે દેશ કક્ષાએ ચીનના કબજામાં રહેલા તિબેટમાંથી નીકળતી બ્રહ્મપુત્રા અને સતલજ નદીઓ ભારતમાં વહે છે અને ઉત્તર ભારતના વિસ્તારોને તેના પાણીનો લાભ મળે છે. ચીન હવે આ નદીઓ ઉપર ડેમ બાંધીને ભારતમાં આવતું પાણી રોકવા માગે છે. ભારતમાંથી વહેતી સિંધુ, સતલજ, રાવી, ચિનાબ, બિયાસ અને ઝેલમ નદીઓ પાકિસ્તાન તરફ જાય છે. પાકિસ્તાન એવું માની રહ્યું છે કે, ભારત આ નદીઓનું પાણી પાકિસ્તાન તરફ આવતાં રોકી રહ્યું છે. આવી આ રાયપેરિય નદીઓના કુદરતી પાણીના વહેણો બાબતે રાજય કક્ષાએ તેમ જ દેશ કક્ષાએ ઝઘડા થવાના શરૂ થયા છે જે અતિ ગંભીર બાબત છે કારણ કે, આજે વિશ્વ આખામાં કુદરતી પાણીની અછત છે ત્યારે આવા ઝઘડાઓ યુદ્ઘમાં પરિવર્તિત પામે એ વાતમાં નવાઇ નથી!

નદી કે વહેણનું રાયપેયિન પાણી નદી કે વહેણના પૂરના પાણીથી અલગ છે. રાયપેરિયન પાણી એટલે નદી કે વહેણનું તેની મહત્તમ સપાટીએ સામાન્ય ગતિથી વહેતું પાણી. રાયપેરિયન એકટ એક સામાન્ય કાયદો છે જે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટસના પશ્ચિમી રાજયોમાં ઘણા વર્ષોથી લાગુ કરાયેલો છે. રાયપેરિયન એકટનો મુખ્ય સિદ્ઘાંત કુદરતી પાણીને તેની આસપાસના વિસ્તારમાં જમીન ધરાવતાં લોકોમાં વ્યવસ્થિત વહેચણી કરવાનો છે. જો પાણીનો પૂરતો જથ્થો ન હોય તો પાણીના સ્રોત પાસે આગળના ભાગમાં આવેલી જમીનના પ્રમાણમાં દરેકને સપ્રમાણ પાણીની વહેચણી કરવામાં આવે છે. આ એકટ પ્રમાણે પાણીના વહેણને તેની કુદરતી વહેણના રસ્તા ઉપરથી બદલી શકાતું નથી કે તેને વેંચી શકાતું નથી તથા પાણીને જલવિભાજકના વિસ્તારથી બહાર પણ લઇ જઇ શકાતું નથી.

ભારત-પાકિસ્તાનની આઝાદી બાદ 'ઇન્ડસ વોટર ટ્રિટી" મારફત બન્ને દેશો વચ્ચે કાશ્મીર અને પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેચણી કરવામાં આવી હતી. આ કરાર પ્રમાણે સિંધુ, રાવી અને બિયાસ નદીઓના પાણી ઉપર પાકિસ્તાનનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો હતો. સતલજ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી ભારતના ભાગે આવ્યું હતું. આ કરારના કારણે ગુજરાત રાજયના કચ્છ જિલ્લાને મોટું નુકશાન થયું. સિંધુ નદીના પાણીનું વહેણ કચ્છ તરફ આવતું હતું. આ વહેણ ઉપર પાકિસ્તાનમાં સક્કરબાર પાસે ડેમ બાંધીને પાણીને કચ્છ તરફ આવતું રોકી દેવામાં આવ્યું. કરાર પ્રમાણે ભારતે સિંધુ નદી ઉપર અત્યાર સુધી એક પણ બંધ બાંધ્યો ન હતો. કરાર પ્રમાણે ભારત સિંધુ નદીનું પાણી સિંચાઇ માટે કરી શકતું નથી પરંતુ જળ ઉર્જામાટે કરી શકે છે. કરારના અનુસંધાનમાં ભારતે લેહ અને કારગિલ વિસ્તારમાં સિંધુ નદી ઉપર બે હાઇડ્રોઇલેકટ્રીક પ્રોજેકટ શરૂ કર્યા અને પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. ભારતે વીજળી ઉત્પન્ન કરવા માટે સિંધુ નદી ઉપર 'ચૂટાક" અને 'નિમૂ બાઝગો" નામના બે ડેમ બાંધવાનું શરૂ કર્યુ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, આ પ્રોજકટ મારફત ભારત સિંધુ નદીના પાણીનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરી રહ્યું છે. ભારત દ્વારા કાશ્મીરમાં ઝેલમ નદી ઉપર ૨૪૦ મેગાવોટનો પુરી-૨ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલો તેની સામે પણ પાકિસ્તાનને વાંધો છે. જોકે ઝેલમ નદીનું પાણી ભારતના ભાગે આવ્યું હોવાથી પાકિસ્તાન વાંધો ઉઠાવી શકે નહી પણ પાકિસ્તાનનું કહેવું છે કે, આ પ્રોજેકટને કારણે પાકિસ્તાનમાં પૂરનો ખતરો વધી શકે તેમ છે.

'ઇન્ડસ વોટર ટ્રિટી" કરાર પ્રમાણે ભારતે સતલજ નદી ઉપર ભાખરા-નાંગલ ડેમ બનાવ્યો અને કરારની શરતોનું ગંભીરતાપૂર્વક પાલન કર્યુ, આમછતાં પણ પાકિસ્તાન ફરિયાદ કરી રહ્યું છે કે, ભારત તેની નદીઓનું પાણી પાકિસ્તાન તરફ આવતાં રોકી રહ્યું છે. પાકિસ્તાન એવા પણ બણગા ફૂંકે છે કે, જો ભાખરા-નાંગલ ડેમનું પાણી કોઇપણ કારણોસર છોડવામાં આવે તો પણ પાકિસ્તાનમાં પૂર આવે તેવી શકયતા છે. બીજી અગત્યની વાત એ છે કે, ભારતે પોતાની ચિનાબ નદી ઉપર વર્ષ ૨૦૦૮માં 'બાગલીહર" ડેમ બાંધ્યો જેના કારણે પાકિસ્તાનના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે. કરાર પ્રમાણે ચિનાબ નદીનું પાણી ભારતના ભાગે આવ્યું છે. આ નદી ઉપર ભારતે ડેમ બાંધ્યો ન હતો ત્યાં સુધી પાકિસ્તાન ચિનાબ નદીનું પાણી પણ ઉપયોગમાં લઇ રહ્યું હતું. ડેમનું બાંધકામ થયા બાદ પાકિસ્તાનને પાણી મળવાનું બંધ થયું છે એટલે પાકિસ્તાન નીત-નવા ગતકડાઓ કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનમાં વસતી વધારો થતાં તેમની પાણીની જરૂરિયાત વધી છે અને પાકિસ્તાન ભારતની નદીઓના પાણીમાંથી પણ ભાગ પડાવવા માગે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીઓના પાણી અંગે થતાં ઝઘડાઓના મુદ્રે 'પરમેનન્ટ ઇન્ડસ વોટર કમિશન" નામની એજન્સીની રચના પચાસ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ એજન્સીની બેઠક તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાને એવી ગર્ભિત ધમકી આપી હતી કે, જો બેઠક દ્વારા નદીઓના પાણીના ઝઘડાઓનો ઉકેલ નહી આવે તો તેઓ પોતાની લશ્કરની તાકાત ભારત ઉપર અજમાવશે!

નદીઓના પાણી માટે ભારત-પાકિસ્તાન કરતાં ચીન સાથેનો મુદ્રો વધારે ગંભીર છે, કારણ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે પાણીની વહેચણી બાબતે કરાર થયેલા છે પણ ચીન સાથે આવા કોઇ કરાર થયેલા નથી. ભારતની બે મોટી કહી શકાય તેવી નદીઓ ચીનના કબજામાં છે. ચીનનો વસતી વધારો જગ જાહેર છે. વધી રહેલી વસતીના પ્રમાણમાં ચીનમાં પાણીની જરૂરિયાત પણ વધી રહ્યી છે. પાણી માટે ચીનની નજર હવે બ્રહ્મપુત્રા અને સતલજ જેવી નદીઓ ઉપર અટકી છે. ચીનમાં બ્રહ્મપુત્રા નદી 'પાર્લગ ઝાંગ્બો" નામે ઓળખાય છે. ભારતમાં આસામ રાજય માટે બ્રહ્મપુત્રા નદી અગત્યની છે. ચીનના કબજામાં રહેલા તિબેટમાંથી ઉત્પન્ન થતી બ્રહ્મપુત્રા(પાર્લગ ઝાંગ્બો) ઉપર હજુ સુધી કોઇ ડેમ બાંધવામાં આવેલો નથી, પણ હવે ચીન આ નદી ઉપર શ્રેણીબંધ ડેમો બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના ભારત માટે ચિંતાનો વિષય કહી શકાય.

તિબેટને દુનિયાનો 'વોટર ટાવર" ગણવામાં આવે છે. તિબેટમાંથી નીકળતી નદીઓ ચીન, ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન થાઇલેન્ડ, મ્યાનમાર, લાઓસ, કમ્બોડિયા અને વિયેટનામ જેવા દેશોના કરોડો લોકોની તરસ છીપાવે છે. હાલમાં ચીન મેકમોહન રેખાની ઉત્તરે બ્રહ્મપુત્રા નદી ઉપર ડેમ બાંધીને ભારત તરફ આવતું પાણી પોતાની તરફ વાળવા માગે છે. આ માટે 'શુએટીયન" નામની સેંકડો કિ.મી. લાંબી નહેર તૈયાર કરવામાં આવશે. ચીન આવા કોઇ પ્રકલ્પનો સતત ઇન્કાર કરે છે પણ ખાનગીમાં આ પ્રકલ્પ આગળ વધી રહ્યો છે. જો આ પ્રકલ્પ ચીન પૂર્ણ કરશે તો ઇશાન ભારતના રાજયો અને સાથે-સાથે બાંગ્લાદેશની કુદરતી સમૃદ્ઘિ ઉપર ખતરો પેદા થશે. આ ઉપરાંત બ્રહ્મપુત્રાનો ખીણપ્રદેશ ભૂકંપ ઝોનમાં આવે છે. જો ભવિષ્યમાં બ્રહ્મપુત્રાનો ડેમ ભૂકંપને કારણે તુટી પડે તો આસામ અને બાંગ્લાદેશ પૂરમાં ધ્વંશ થઇ જાય!

નદીઓ ઉપર ડેમ બાંધવાના મુદે નીચાણવાસમાં આવતાં રાજયો કે દેશની સરકાર સાથે વાતચીત કરવી જોઇએ અને રાયપેરિયન એકટને અનુસરવું જોઇએ. ચીન આ બાબતની કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય જળ વિવાદના મુદ્રે વર્ષ ૧૯૯૭ના યુનોના કરારમાં પણ ચીને સહી કરી નથી. ભારતની સરહદ ઉપર પણ ચીન ઘુસણખોરી કરી રહ્યું છે. અરૂણાચલ પ્રદેશ ઉપર પોતાનો દાવો જતો કરવા ચીન તૈયાર નથી. આવા સંજોગોમાં ભારતે બ્રહ્મપુત્રા નદીનું પાણી ચીન ભારતમાં આવતું રોકે તો ભારતે રાયપેરિયન એકટ હેઠળ તેનો ઉગ્ર વિરોધ કરવો પડે!

પૃથ્વી ઉપર ભવિષ્યમાં પાણી માટે યુદ્ઘો થશે એવી ભવિષ્યવાણી કોઇ મહારથીએ ભૂતકાળમાં કરી છે. લાગે છે કે, આ ભવિષ્યવાણી સાચી થવાનો સમય નજીકમાં જ છે!!!

સ્ત્રોત: વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate