অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્લોબલ વોર્મિંગ હવે ચિંતા નહી પણ ચિંતન

ગ્લોબલ વોર્મિંગ હવે ચિંતા નહી પણ ચિંતન

અફાટ અનંત બ્રહ્માંડમાં ફકત અને ફકત વસુંધરા ઉપર જ જીવન શકય છે. બ્રમાંડમાં વસુંધરા સિવાય બીજે કયાંય પણ જીવન શકય નથી. જેમ એક નો એક દિકરો કે દિકરીની આપણે લાડ-કોડથી સંભાળ રાખીએ એવી રીતે આપણે આપણી એક ની એક વસુંધરાની સંભાળ રાખવાનું ચૂકી ગયા છીએ. ભૂતકાળની ભવ્ય ભૂલોના વિસંગત પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ અને આવતીકાલની પેઢી પણ માઠા પરિણામો ભોગવવાની છે, જે એક સનાતન સત્ય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે 'ગ્લોબલ વોર્મિંગ" શબ્દ સાંભળતા આવ્યા છીએ. આ બલાને આપણે એક 'શબ્દ" થી વિશેષ સમજયા નથી. જો શરૂઆતમાં જ આ સમસ્યાને આપણે જાણીને ચેતી ગયા હોત તો કદાચ આજે જે વિપરીત પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ તે ખતરનાક ન હોત!...પણ આપણે એ સાપને સિંદરી સમજી બેઠા હતા, હવે આ સાપ ફેણ ચડાવીને ફૂંફાડા મારતો થયો છે.

ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય છે એ જફામાં ન પડતાં તેની વિપરિત અસરો કેવી થઇ રહ્યી છે તે હવે વધારે ચિંતાપ્રેરક છે. બ્રમાંડના સર્જન બાદ સર્જનહારે વસુંધરાને અનુલક્ષીને બધી જ ક્રિયાઓ જીવન આજીવન ચાલતું રહે એ રીતે 'સેટ" કરી હતીં પરંતુ આપણે આ સેટિંગ રફેદફે કરી નાખ્યું છે. વસુંધરા સૂર્યની આસપાસ પરિભ્રમણ તો કરે છે સાથે-સાથે પોતાની ધરિ ઉપર ૨૩.૪૫ અંશનો ખૂણો બનાવીને ધરિભ્રમણ પણ કરે છે. વસુંધરાની આ 'ટિલ્ટીંગ" ધરિભ્રમણને કારણે માનવને ઋતુઓ 'બોનસ" રૂપે મળે છે. હવે એક નજર ગ્લોબલ વોર્મિંગની વિપરિત અસર ઉપર નાખીએ તો, વસુંધરાના ઉત્તર ધ્રુવમાં હિમાલય સ્વરૂપે વિશાળ માત્રામાં બરફનો સ્ટોક છે(હતો) જયારે દક્ષિણ ધ્રુવ તરફ પાણીના સમુંદરો છે. બ્રમાંડમાં અધ્ધરતાલ રહેલી વસુંધરામાં આ કુદરતી સંતુલન હતું જેને કારણે વસુંધરા ૨૩.૪૫ ના ખૂણે પણ 'સ્થિર" હતી! ગ્લોબલ વોર્મિંગના તાપને કારણે હિમાલયનો બરફ પીગળીને પાણી સ્વરૂપે દક્ષિણ ધ્રુવ તરફ જમા થઇ રહ્યો છે. આ પ્રક્રિયાને કારણે વસુંધરાના 'ટિલ્ટીંગ"માં દર વર્ષે ૨.૬ સેન્ટિમિટરનો વધારો થઇ રહ્યો છે! ભલે થાય...આપણે શું? એવું વિચારતા નહી કારણ કે, જો આ પ્રમાણે વધારો થતો રહ્યો તો આવનારા ૨૦ વર્ષોમાં ઋતુઓમાં મોટાપાયે ફેરફારો જોવા મળશે. શકય છે જયાં સખત ગરમી પડતી હોય ત્યાં હૂંફાળું વાતાવરણ થાય અથવા હાડ ગાળી નાખતી ઠંડી પડે. વરસાદનું સમગ્ર ચક્ર જ ખોરવાઇ જાય. આજે વાહિયાત લાગતા આવા ઘણા અગત્યના ફેરફારો થવાની શકયતા ગ્લોબલ વોર્મિંગને કારણે થઇ શકે જેની શકયતા નકારી શકાય તેમ નથી.

સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત 'ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ" ના ગ્લોબલ વોર્મિંગ વિષયક ચોથા અહેવાલમાં પ્રસિદ્ઘ થયેલી માહિતીની વાત કરીએ તો નજીકના ભવિષ્યમાં ભારતના ઉત્તરભાગમાં ગરમીનો પારો કયારેય ૩૫ ડિગ્રી સેલ્શિયસથી નીચે નહી આવે! સીધુ તારણ એવું કાઢી શકાય કે ઉત્તરભારતનાં વસતાં લોકો શિયાળાની મોસમ માણી શકે નહી. ભારતની રાષ્ટ્રિય અને 'પવિત્ર" નદી ગંગામાં અખૂટ જળરાશિનો ઉમેરો થાય જેથી તેના અત્યંત ફળદ્વુપ મુખત્રિકોણપ્રદેશ ઉપર પાણી ફરી વળે. આમ થવાથી ખેતપેદાશોની અછત આવી શકે. ભારતના પ(Åચમ કિનારા ઉપર અરબ સાગરના પાણી ફરી વળે જેથી માયાવી નગરી મુંબઇનો અમુક ભાગ ખરેખર 'ગાયબ" થઇ જાય! ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરના આ તો અતિ સૂક્ષ્મ ઉદાહરણો છે. પર્યાવરણને અનુલક્ષીને કાર્યરત 'ગ્રીનપીસ" નામની સંસ્થાએ 'બ્લ્યૂ એલર્ટ" નામે એક અહેવાલ તૈયાર કરેલો છે. આ અહેવાલની આધારભૂત માહિતી પ્રમાણે ઇ.સ. ૨૧૦૦ પહેલા ભારત અને પાકિસ્તાન સહિત બાંગ્લાદેશના કાંઠાળ વિસ્તારમાં વસતા ૧૨.૫ કરોડ લોકોને ફરજિયાત સ્થળાંતર કરવું પડશે.(જશે કયાં?) ૧૬૬૩ કિલોમિટરનો લાંબો દરિયાકિનારાનું ગૌરવ લેતાં ગુજરાતના દરિયાકિનારાના બધા જ શહેરો પાણીમાં ગરકાવ થઇ જશે. જો આવું થશે તો વિચારો કે, આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને સમાજજીવન ઉપર કેટલી ગંભીર અસરો પડશે! ઋતુઓમાં થતાં ધરખમ ફેરફારને કારણે જયાં જીવન અનુકૂળ થઇ શકતું નથી એવી જગ્યાએથી લોકોએ સ્થળાંતરની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરી દીધી છે અને આવા વિસ્થાપિત થયેલા લોકો માટે ગ્લોબલી 'કલાઇમેટ રેફયુજી" શબ્દ પ્રચલિત થયો છે.

'ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ" નો અહેવાલ વધુમાં જણાવે છે કે, છેલ્લા ૧૦૦ વર્ષોમાં વસુંધરાની સપાટીના સરેરાશ તાપમાનમાં ૦.૭૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે. યાદ રાખો, જો વસુંધરાના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો હિમયુગને લાવી શકે તો એટલો જ વધારો વસુંધરાના બર્ફિલા પ્રદેશોને ઓગાળી નાખવા માટે પૂરતો છે. ઇ.સ. ૧૯૯૫ થી આજ દિવસ સુધી વસુંધરાએ છેલ્લા ૧૫૦ વર્પોમાં કયારેય ન જોયા હોય તેવા કુલ ૧૧...રિપીટ કુલ ૧૧ સૌથી વધારે ગરમ વર્ષો જોયા છે. વસુંધરાની કમનસીબી(હા...આપણી નહી!) એ છે કે, આર્કિટક વિસ્તાર બીજા વિસ્તારોની સરખામણીએ વધારે ઝડપથી પીગળી રહ્યો છે. દુ:ખદાયક હકીકત એ છે કે, આપણે હજુ ભરનિંદ્રામાં છીએ, આપણે હજુ પણ જાગૃત થયા નથી. જો ક એક વાત નોંધવી રહી કે, ગ્લોબલ વોર્મિંગનો આંતરરાષ્ટ્રિય સ્તરે સૌથી મોટો અને બહુચર્ચિત નિષ્ફળ પ્રયત્ન એટલે ઇ.સ. ૧૯૯૭ માં જપાનના કયોટો શહેરમાં કરવામાં આવેલો 'કયોટો પ્રોટોકોલ". આ પ્રોટોકોલમાં ગ્લોબલ વોર્મિંગને વૈશ્વિક સમસ્યા ગણીને વિશ્વના ૧૭૫ દેશોની કોન્ફરન્સ થઇ હતી. આ કોન્ફરન્સમાં એવો ઠરાવ પસાર કરવામાં આવેલો હતો કે, ઇ.સ. ૨૦૧૨ સુધીના સમય સુધીમાં દરેક દેશ પોતાના દેશના ગ્રીન હાઉસ વાયુઓના ઇ.સ. ૧૯૯૦ ના પ્રમાણ કરતાં ૫.૨ ટકાનો ઘટાડો કરશે, પણ આ કોન્ફરન્સમાં સમગ્ર વિશ્વમાંથી ચોથા ભાગનો ગ્રીન હાઉસ વાયુઓ ઓકતું અમેરિકાએ સહી કરવાની ના પાડી દીધી હતી. 'લાંબા પાછા ટુંકો જાય અને મરે નહી તો માંદો થાય" કહેવત પ્રમાણે ભારત, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ અમુક વાંધા-વચકા કાઢીને સહીઓ કરવાની ના પાડી દીધી હતી. અહી ફ્રાન્સના વિખ્યાત લેખક આલ્બેટ કામૂના શબ્દો આપણે યાદ કરવા રહ્યા : 'ભવિષ્યની ખરેખરી ચિંતા તો એ જ વ્યકિત કરી શકે છે કે જે વર્તમાનમાં પોતાની જવાબદારીઓનું પાલન કરે છે."

આપણી મનોવેદના પેલા કસ્તૂરી મૃગ જેવી છે. સુગંધ કયાંથી આવે છે તે જાણવા મૃગ ચોતરફ આંટા મારે છે જયારે હકીકતમાં સુંગધનું મૂળ તો તેની દૂંટીમાં જ છે. આવી જ રીતે આપણી બધી જ સમસ્યાઓનું કેન્દ્રસ્થાન આપણે પોતે જ છીએ પણ તેનો ઉકેલ શોધવા આપણે આપણી આસપાસ ફાંફા મારીએ છીએ. ભવિષ્યના જીવન સંબંધિત સંકટોનો ધરમૂળમાંથી નાશ કરવા માટે આપણે કેટલાક નીતિવિષયક મૂલ્યો સ્થાપિત કરવા પડશે. આ નીતિવિષયક મૂલ્યો ખરેખર તો માનવોના આંતર સંબંધોમાં જ રહેલા છે. ચિંતનાત્મક રીતે વાત કરીએ તો પ્રથમ તો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધનું મહ_વ સમજવું જોઇએ. જયાં પ્રકૃતિની એટલી જ અગત્યતા છે જેટલી માનવોની છે. બીજું માનવ અને માનવેતર જગત વચ્ચેનું સંતુલન સમજવું જરૂરી છે, જયાં માનવજીવન કેન્દ્રમાં નથી પરંતુ સમગ્ર જીવસૃષ્ટ્રિ કેન્દ્રમાં છે. માનવે સમગ્ર જીવસૃષ્ટ્રિ પ્રત્યે પોતાની ઊંડી જવાબદારી માટે સભાન થવાની જરૂર છે. ત્રીજુ અને સૌથી અગત્યનું એ છે કે, માનવનો પોતાની જાત સાથેનો સંબંધ. આજે માનવની આશરે ૮૦૦મી પેઢી પસાર થઇ રહ્યી છે છતાંપણ માનવ કદી પોતાની જાતને જાણી શકયો નથી. માનવની અંદર રહેલું એકમાત્ર સત્ય જ જીવન છે અને સમગ્ર જગતમાં તે પ્રસાર પામતું રહે છે. અહી સવાલ છે એ સત્યને બહાર કાઢવાનો.....આપણે એકવાર આ પરમ સત્યને સમજી લઇશું તો જીવન સંબંધિત સંકટો દૂર કરવા માટે પ્રકૃતિ...વસુંધરા પણ આપણને સાથ આપશે!

વિનીત કુંભારાણા

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate