অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણના અધિકાર અધિનિયમ

”RTE”

સ્વતંત્ર ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ ૪૫ મુજબ આપણે એ પ્રકારના પ્રયાસો કરવાના હતા જેથી ૬ થી ૧૪ વર્ષણી વયજૂથના તમામ બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે. વર્ષ ૧૯૮૬ની નવી શિક્ષણનીતિ અને ત્યારબાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ (DPEP) જેવી મહત્વકાંક્ષી યોજનાઓએ આપણા સૌના પ્રયાસોને વેગ આપવામાં મદદ કરી.જુદી જુદી યોજનાઓની સફળતા બાદ સમગ્ર દેશમાં ૨૦૦૧થી સર્વ શિક્ષા અભિયાન મિશન અમલમાં આવ્યું. અગાઉની યોજનાઓ કેટલાંક મર્યાદિત વિસ્તારો સુંધી સીમિત હતી જયારે સર્વ શિક્ષા અભિયાનનો અમલ દેશ વ્યાપી અને સાર્વત્રિક રીતે થવાથી વધુ ઝડપી અને અસરકારક રીતે કાર્ય કરી શકાયું. આ યોજનાઓ અને કાર્યક્રમોના અમલ દરમિયાન એવું લાગ્યું કે પ્રાથમિક શિક્ષણને બાળકોનો મૂળભૂત અધિકાર ગણવામાં આવે તો રાજ્ય સરકારથી શાળા અને સમુદાય સ્તરની તમામ સરકારી સંસ્થાઓ ઉપરાંત નાગરિક સમાજની સ્થાપનાઓ પણ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકકરણ માટે વધુ સક્રિય બનાવી શકાય.
આમ બાળકના પ્રાથમિક શિક્ષણ માટે સામુહિક પ્રયાસ થાય અને જે તે કક્ષાએ જવાબદારી પણ સુનિશ્ચિત થાય એ માટે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ સંસદ દ્વારા બનાવ્યો. આ કાયદો એટલે કે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ૨૦૦૯ અથવા “શિક્ષણના અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણના અધિકાર કાયદા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે કેટલીક મહત્વણી જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓને આધારે રાજ્ય સરકારે કેટલાંક અગત્યના ઠરાવો કર્યા છે. કોઈ વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કર્યા પછી કોર્ટમાં પોતાની જાતને નિર્દોષ ઠેરવવા એમ ન કહી શકે કે મને કાયદાની જાણ નહોતી કે ચોરી કરવી કે ખુન કરવાથી સજા પાત્ર ગુનો બને છે, જો એમ કહે તો પણ કોર્ટ એ વાતનો સ્વીકાર ન જ કરે કારણ ૧૮ વર્ષથી મોટી ઉંમરના નાગરિકે ભારતનું બંધારણ જાતે જ અભ્યાસ કરવો રહ્યો અથવાતો જાણે જ છે એમ માનવું રહ્યું. જેમ ભારતના નાગરિક તરીકે ભારતનું બંધારણ તેમજ કાનૂની, કાયદાઓ, આપણા હક્કો અને ફરજો જાણવા ૧૮ વર્ષથી મોટી વ્યક્તિની પોતીકી ફરજ છે તે રીતે શિક્ષક તરીકે RTE 2009 અને તે અંતર્ગત શિક્ષણમાં થયેલ ફેરફારો જાણવા પણ શિક્ષકની પોતીકી ફરજ બની રહે છે.
શિક્ષણના અધિકાર કાયદા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓને આધારે રાજ્ય સરકારે કેટલાંક અગત્યના ઠરાવો કાર્ય છે. આ ઠરાવો પર એક નજર નાખીએ તો.
  • શાળામાં દાખલ કરેલ કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ પૂરું થતા સુંધીમાં કોઈ પણ ધોરણમાં રોકી કે કાઢી મૂકી શકાશે નહિ.
  • શાળા બહારના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો. સર્વ શિક્ષ અભિયાન મિશન દ્વારા શાળા બહારના બાળકો માટે ચલાવાતી કોઈ યોજનાનો લાભ અપાવવો.
  • કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ.
  • કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિ કરી શકશે નહિ.
  • કોઈ પણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ અને શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના વાલીને તપાસ કે ઇન્ટરવ્યુવ માંથી પસાર કરશે નહિ.
  • શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૧ થી ૫ માટે કામકાજના ૨૦૦ દિવસ અને વર્ષ દીઠ ઓછામાં ઓછા ૮૦૦ કલાક શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે.
  • શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૬ થી ૮ માટે કામકાજના ૨૨૦ દિવસ અને વર્ષ દીઠ ઓછામાં ઓછા ૧૦૦૦ કલાકનું શૈક્ષણિકકાર્ય કરવાનું રહેશે.

શિક્ષક શાળામાં RTE ના માર્ગદર્શિત ધ્યેયો/કર્યો સરળથી કરી શકે તેમજ શાળાએ ગામની સંપત્તિ હોઈ શિક્ષક પર નિયંત્રણ રહી શકે તે હેતુથી શાળા કક્ષાએ શાળા વ્યવસ્થા પણ સમિતિ SMC ની રચના કરાવી.

શાળા વ્યવસ્થાપન સમીતી અર્થાત SMC નું માળખું.

  • શાળા વ્યવસ્થાપન સમિતિમાં ૧૨ સભ્યો હશે જેમાં ૭૫% (૯) સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા/પિતા કે વાલીઓ હશે, જેમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે.
  • બાકી રહેલ ૨૫ % સભ્યોની સંખ્યામાં નીચે મુજબની વ્યક્તિઓનો સમાવેશ કરવાનો રહેશે.
    • એક સભ્ય સ્થાનિક સંસ્થા(ગ્રામ પંચાયત/નગર શિક્ષણ સમીતી) નક્કી કરે તેવા સ્થાનિક સંસ્થાના ચુંટાયેલ સભ્ય.
    • એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક.
    • એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ/શાળાના બાળકોમાંથી સમિતિમાં સમાવિષ્ટ માતા/પિતા નક્કી કરે તે.
    • સ્થાનિક કડીયો( જે ગામમાં કડીયો ન હોય તે ગામની બાજુના ગામનો કડીયો). આ સભ્યની નિયુક્તિ SMC ના અધ્યક્ષશ્રીએ કરવાની રહેશે.
  • શાળાના આચાર્ય અથવા જ્યાં શાળામાં આચાર્ય ના હોય ત્યાં શાળાના શ્રેયાન શિક્ષક હોદ્દાની રુએ SMC ના સભ્ય સચિવ બનશે.
  • SMCની બેઠક દર ત્રણ મહિને  બોલાવવાની રહેશે. બેઠક બોલાવવાનું અને તે અંગેની નોંધ રાખવાનું કામ સભ્ય સચિવ કરશે.
  • શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના કાર્યો અને ફરજો:
  • શાળાની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવું.
  • શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરવી.
  • રાજ્ય સરકાર અથવા સ્થાનિક સંસ્થા અથવા અન્ય કોઈ સ્તોત્રમાંથી મળેલ ગ્રાન્ટ(નાણા) ના ઉપયોગ/વપરાશ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખવું.
  • વિદ્યાર્થીઓના વાલીને તેઓની ફરજો અંગેની સમજણ આપવી.
  • RTE 2009 ની વિવિધ કલમોની અમલવારી સુનિશ્ચિત કરશે.
  • RTE 2009ની કલમ ૨૭ મુજબ બિન શૈક્ષણિક ફરજો શિક્ષકોને સોપવામાં આવે નહિ તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખવું.
  • બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ ૨૦૦૯ની અનુસૂચિમાં નિર્દીષ્ઠ શાળા માટેના ધોરણો અને માપદંડ જળવાય તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખશે.
  • બાળકોને મળતા તમામ પ્રકારના લાભ સમયસર મળી રહે તે માટે દેખરેખ રાખશે, આયોજન કરશે.
  • RTE 2009 ની કલમ ૪ ની જોગવીઓના અમલીકરણ માટે પ્રવેશ વંચિત રહેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરેલ હોય તેવા બાળકો માટેની જરૂરિયાતો નક્કી કરવા માટેની યોજના તૈયાર કરાવી.
  • વિકલાંગ બાળકોની ઓળખ અને તેમના નામાંકન થતા ભણવા માટેની સવલતો બાબત દેખરેખ/નિયંત્રણ રાખવું તેમજ તેઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તે માટે તેમની ભાગીદારી સુનિશ્ચિત કરાવી.
  • શાળામાં બાળકો માટેની મધ્યાહ્ન ભોજન યોજનાની અમલવારી ઉપર દેખરેખ/નિયંત્રણ કરવું.
  • શાળાના આવક અને ખર્ચના વાર્ષિક હિસાબો તૈયાર કરવા.
  • અધિનિયમ અંતર્ગત પોતાના કર્તવ્યો અને ફરજો બજાવવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિને મળનાર નાણા માટે અલાયદા હિસાબો જાળવવા અને તે દરેક વર્ષે ઓડીટ માટે બતાવવાના રહેશે.
  • લોકભાગીદારીથી શાળાના મકાનના નિર્માણ,નીભાવ અને દુરસ્તીના કામો હાથ ધરવા અને નિરિક્ષણ/ દેખરેખ રાખવી.
  • શાળા વિકાસ/સુધારણા કર્ય્રામમાં મળતા નાણાકીય ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય, માલસામાન ખરીદી સ્પર્ધાત્મક ભાવો મંગાવીને સૌથી ઓછા ભાવ ધરાવતા વેપારી પાસેથી ગુણવત્તાયુક્ત અને કરકસરભરી રીતે શાળાની જરૂરિયાત મુજબ અને યોજનાની માર્ગદર્શિકા મુજબ શાળાના હેતુ માટે જ થાય તે જોવાનું રહેશે.
  • નોંધ: - SMC પાસે મધ્યાહ્ન ભોજનના સંચાલક,રસોયા અને મદદનીશની નિમણુંક તેમજ છુટા કરવાની સત્તા શિક્ષણ વિભાગના તારીખ ૦૨/૦૮/૨૦૧૧ના સુધારા ઠરાવ ક્રમાંક પીઆરઈ ૧૨૯૫-૨૪૨૫-ક તારીખ ૦૪-૧૧-૨૦૧૧ના પત્ર મુજબ રદ કરી મામલાતદારશ્રીને પરત સોંપેલ છે.
  • SMC માં તારીખ ૨-૦૮-૨૦૧૧ના સુધારા ઠરાવ મુજબ SMCની બેઠક દર મહિનાને બદલે દર ત્રણ મહિને કરવાની રહેશે તેમજ કડિયાએ કૉઓપ્ટેડ મેમ્બર તરીકે ફરજ બજાવવાની રહેશે અને કડિયાને મતદાન કરવાનો હક્ક રહેશે નહિ.
  • RTE 2009 ના કાયદાના અમલીકરણ માટેના SMC સભ્યો, શિક્ષકો,આચાર્ય,સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ સ્ટાફને પંચાયતી રાજ ઇન્સ્ટીટ્યુટ(PRI) ના સભ્યો દ્વારા મોનીટરીંગ કરવું અને માર્ગદર્શન મળવું ખુબ જ જરૂરી છે. પંચાયતી રાજના સભ્યોના માર્ગદર્શનથી પ્રોજેક્ટના લક્ષ્યાંકો નક્કી કરેલ સમયમાં પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો

  • શિક્ષણનો અધિકાર અધિનિયમ, એવું સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે.
  • “ફરજીયાત” શિક્ષણ એટલે, - ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા, તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરાવવાની જવાબદારી સરકારની રહે છે. “મફત” એટલે, કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસુલવામા આવશે નહિ, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામા આવશે.
  • શાળા બહારના બાળકોને તેમની વયકક્ષા અનુસારના વર્ગમાં દાખલ કરાવવા
  • આ નિયમ દ્વારા સરકારની, સ્થાનિક સત્તાતંત્રની અને વાલીની; મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમના અમલીકરણ માટેની ફરજો અને જવાબદારીઓ અંગે રજૂઆત કરે છે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની નાણાકીય જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા કરે છે.
  • વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનો ગુણોત્તર નક્કી કરવા અંગેના ધોરણ, શાળામાં જરૂરી ભૌતિકસુવિધા, શાળાના કામના કલાકો અને શિક્ષકના કામના કલાકો વિષે માર્ગદર્શન પૂરું પડે છે.
  • માત્ર રાજ્ય અથવા જીલ્લા કે બ્લોકના સરેરાશ વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની જાળવણી દ્વારા સંતોષ માનવાને બદલે દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની ઉચિત જાળવણી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોની જગ્યાઓ ભરવામાં કોઈ વિસંગતતા ન ઉભી થાય અને કોઈ એક જગ્યા ઉપર શિક્ષકોની જમાવટ ન થાય તે અંગે સુચવી જાય છે
  • શિક્ષકોને દસ વર્ષે થતી વસ્તી ગણતરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાના ચુંટણી કાર્યો અને કુદરતી હોનારત સિવાયના અન્ય કાર્યોની સોંપાણી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
  • શિક્ષકોની નિયુક્તિ સમયે યોગ્ય તાલીમ મેળવેલ શિક્ષકોને જ લેવા પર ભાર મુકવામાં આવેલ છે; જેમકે શિક્ષક પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બાબતો પર પ્રતિબંધ મૂકે છે તેમાં મુખ્યત્વે – કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ, કોઈપણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ, શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના માતા-પિતા /વાલીને તપાસ કે ઇન્ટરવ્યુમાંથી પસાર કરશે નહિ, કોઈપણ શિક્ષક ખાનગી શિક્ષણ (ટ્યુશન) અથવા ખાનગી શિક્ષણ (ટ્યુશન)ની પ્રવૃત્તિ કરી શકશે નહિ, કોઈપણ શાળા સરકારશ્રીની માન્યતા વિના ચાલી શકશે નહિ.
  • બંધારણમાં સ્થાપિત થઇ ગયેલા મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકકેન્દ્રી અભ્યાસક્રમનું નિર્માણ કરવું જોઈએ; જેથી બાળક તનાવમુક્ત વાતાવરણમાં ભણી શકે; અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી કરીને તેનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે, બાળકના જ્ઞાન આધારિત હોવો જોઈએ તેમજ બાળકમાં રહેલ શક્તિ અને પ્રતિભાને વધારે સારી રીતે ખીલવી શકાય તે રીતે બનાવવો જોઈએ જેથી કરીને બાળકોને ભણવાનું ભાર રૂપ ન લાગતાં તેમાંથી તેઓને આનંદ મળવો જોઈએ.

સ્ત્રોત: સર્વ શિક્ષા અભિયાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate