অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇતિહાસ

પ્રસ્તાવના

રાજયમાં ૧/૪/૧૯૬૩ થી પંચાયત રાજનો અમલ થતાં સરકારશ્રીએ મહેસુલી કામગીરી પંચાયતોને તબદીલ કરેલ છે. પંચાયત વિસ્તારમાં જમીન મહેસુલ, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વિગેરે સરકારી લેણાંની વસુલાતની કામગીરી પંચાયતને સુપ્રત થતાં આ કામગીરી અસરકારક થઇ શકે તે માટે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને જમીન મહેસુલ સહિતના અને જમીન મહેસુલ નિયમો હેઠળના જરૂરી અધિકારો આપવામાં આવેલા છે. તલાટી કમ મંત્રી તથા સર્કલ ઇન્સ્પેકટર મહેકમને પંચાયત ઉપરાંત મહેસુલની કામગીરી માટે વહિવટી અંકુશ હેઠળ મુકવામાં આવેલ છે.

મહેસુલ વિભાગની નીચે જણાવેલ કામગીરી પંચાયત વિસ્તાર માટે ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સુપ્રત થયેલ છે.

  • તગાવી ધિરાણ અને વસુલાત
  • વિઘમાન અને વધારેલા ગામતળના પ્લોટોનો નિકાલ જાહેર હરાજીથી તથા ૨૦૦ ચો.મી. સુધી વેચાણથી
  • હદ નિશાનની મરામત અને જાળવણી
  • ખેતીની જમીનમાં બીનખેતીનો ઉપયોગ કરવાની પરવાનગી
  • અછત અને અર્ધ અછતની પરિસ્થિતિમાં તેમજ કુદરતી આફતોના સમયે રાહત કામો કરવા
  • અછત / અર્ધઅછતના ઉપાયો
  • કુદરતી આફત, આગ અકસ્માત, કોમી તોફાનો, દરમ્યાનના બનાવોમાં અસરગ્રસ્તોને સહાય
  • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અન્વયે અવસાન પામનારની વિધવાને આર્થિક સહાય
  • જમીન મહેસુલ અનુદાન ગ્રામ પંચાયતોના ફાળાની વહેંચણીની કામગીરી
  • જમાબંધી અને વાર્ષિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી
  • કવોરી લીઝની ઉપજ ભૂસ્તર વિભાગ તરફથી ફાળવવામાં આવતી આવક ગ્રામ પંચાયતોને ફાળવવાની કામગીરી
  • જ.મ.કા.ની કલમ-૬૫,૬૬ તથા ૬૭ કલમો હેઠળ બીનખેતી મંજુરી આપવા તથા શરતભંગના પગલાં લેવા
  • ત.ક.મંત્રી / સ.ઇ.શ્રીના મહેકમની કામગીરી.

માનવી ખેતી કરતાં શીખ્યો ત્યારથી ખેતીની જમીનને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા. આ પ્રશ્નો ક્યારેક સરળ તો ક્યારેક ગુંચવાડાભર્યા રહેતા, ક્યારેક સમાધાનથી, પંચોના નિકાલથી, જનપદ જેવી લોકશાહી રીતેનિકાલ થતા.સમયજતા શક્તિશાળી લોકો રાજા થયા અને જમીનો જીતી તેના માલીક થયા, રાજ્યો સ્થાપ્યા. લોકોને જમીન આપી ખેતીના બદલામા તથારક્ષણ માટે ઊપજમાંથી ભાગ લેવા માંડ્યા. કેટલાક લોકોએ જમીન ખરીદી અને બીજાને ખેડવા આપી એ રીતે ઊપજમાંથી ભાગલેતા, મહેસુલ ખેડૂત ચુક્વતો. વર્ષો સુધી આ પદ્ધતિ અમલમાં રહી,જેમાંઊપજમાંથી કેટલો ભાગ લેવોકે મહેસૂલની રકમ કેટલી આપવાની થાય તે અંગેના કોઇ ધોરણો હતા નહી.

જમીનમાંજે પાક થતો તે ખેડૂતો મહેનત કરી પકવતા અને જમીનમાલીકો જમીનનો ભાગ ઊપજમાંથી લેતા, તે ઉપરાંત જમીન મહેસૂલ પણ આ ખેડૂતોને અથવા ગણોતિયાને આપવાનું રહેતુ.

જ્યારે પાક તૈયાર થઇ જાય ત્યારે ખળાવાડમા લાવવામા આવતો જ્યાં બધાના ભાગ જુદા પડતા. રાજ્યનુ મહેસૂલ, જમીનદારનો ભાગ એટલે ગણોત, અન્ય ગ્રામ ચાકરીયાત લોકો જેને ખેડૂતે વાર્ષિકપાંચ શેર કે દશ શેર અનાજ આપવાનુ થતું તે પણ અહીથી અપાતુ.જેને વહેંચણી કે ભાગ બંટાઇ કહેવામા આવતી હતી.

આ રીતેની વહેંચણીમા મહેસૂલની ચોરી થવાની,શક્યતા વધારે હતી. વળી ભેગુ થયેલુ અનાજ ઉપાડી લઇ જવુ પણ મુશ્કેલ બનતું. આથી જન્સી કે ઊપજને બદલે રોકડ રકમ મહેસૂલ તરીકે લેવાનુ નક્કી થયુ. વર્ષની સ્થિતિને આધારે ઊપજની આનાવરી થતી. જો ઊપજ 100% અથ વા સોળ આની થાયતો પ્રતિ એકર કેટલુ મહેસૂલ લેવુ તે નક્કી કરાતો.સરેરાશદર, સ્ટાન્ડર્ડરેટ કે મોક્ષદર ને આધાર ગણી ઊપજની આનાવારી મુજબ મહેસૂલ લેવામા આવતુ,માફ થતું કે મુલતવી રહેતુ. રાજ્યોની મુખ્ય આવક માત્ર જમીન મહેસૂલ હતી. આથી જમીનની માપણી,આકારણી,આનાવારી,પ્રતવારી અને વસૂલાત પર પુરેપુરું ધ્યાન આપવામા આવતું. જેથી રાજ્યને વધુમાં વધુ આવક મળી રહે.

રાજય એટલે જમીન પર મહેસૂલ લેનાર અને જમીન ધારણ કરનાર મહેસૂલ આપનાર હતો. પરંતુ જમીન ધારણ કરનાર જમીન ખેડવા આપીને ખેડૂતો પાસે મહેસૂલ ભરાવતા.બીજી રીતે સરકારે જે જમીનો ઇનામમાં આપી હોય તેના ઇનામદારોને મહેસૂલ માફી હતી. આવા સાત પ્રકારના ઇનામ હતા, જે આઝાદી પછી નાબુદ કરવામાં આવ્યા.

આ તમામ પ્રકારના લોકો જાતે ખેતી નહીં કરતા હોવા છતાં, ખુબજ મોટી રકમ કે ઊપજ જમીનની માલીકી ના ભાગ તરીકે પ્રાપ્ત કરતાં, મહેસૂલ વસૂલ કરતાં, ગણોત પણ લેતાં, ઊપરાંત વજે જેવા અન્ય કર પણ લેતાં. કેટલાક લોકો ઇજારા લઇ ચોક્કસ આંકડો સરકારને ભરી આપવાનુ નક્કી કરી આંક્ડેદાર તરીકે મહેસૂલ ઉઘરાવવાના અધિકારો મેળવતા. આ તમામ કિસ્સામાં ખેડુતનુ શોષણ થતું અને મહેસૂલી આવક અનિયમિત રહેતી, હિસાબ ગુંચવાડા ભર્યો થતો. આવી કપરી પરીસ્થિતિમાં મહેસૂલ ઊઘરાવવાની હિસાબી પધ્ધતી વિકસાવવી મુશ્કેલ હ્તી. છતાં સમયાંતરે શાસકોએ વિવિધ પધ્ધ્તીઓથી મહેસૂલ ઉઘરાવ્યું. એંડરસને ૧૯૧૩ માં હિસાબો નું મેન્યુઅલ બનાવ્યું પછી આજસુધી તે મુજબજ મહેસૂલી હિસાબો રાખવાની પધ્ધતી અમલમાં છે.

ભારતદેશમાં શેરશાહ સૂરી નો રાજ્યકાળ ૧૫૩૯ થી ૧૫૪૬ નો હતો. છ વર્ષના ટૂંકા રાજ્યકાળમાં તેણે અસંખ્ય રાજ્કીય અને વહીવટી સુઘારા કર્યા હતા જેમા મહેસૂલી સુધારા પણ સામેલ છે. તેણે ગજના માપથી જમીનનું ક્ષેત્રફ્ળ નક્કી કર્યું. ગજ એટલે બે ફુટ. જર–આયદ, બાગઆયદ અને ક્વ્વરી એ રીતે ખેતીલાયક, સિંચાઇવાળી ફળ આપનાર અને ચારેબાજુથી બાંધી ક્યારી બનાવેલી ડાંગરની જમીન દરેક પ્રકારના તેમાં થતી ઊપજને આધારે ત્રણ પેટાભાગ કર્યા-અવ્વલ, દોયમ અને સોયમ, જેને ગુજરાતીમાં ઊત્તમ, મધ્યમ અને કનીષ્ઠ એ રીતે લખાય છે. આ રીતે જમીનની ફળદ્રુપતા આધારે ઊત્પાદનના ધોરણે જમીનના પ્રકાર નક્કી કરવાની રીતને પ્રતવારી કહે છે.

જમીનની માપણી કરાવી, દરેક ગામનો હિસાબ માટે એક ચોપડો બનાવ્યો. જેને ગુજરાતીમાં ખાતાવહી કહે છે. શેરશાહે તેને સરવહી એટલે કે "હિસાબનો મુખ્ય ચોપડો” નામ આપ્યું. દેશી નામા પધ્ધતિ મુજબ ખાતા પાડી ખાતાં નંબર, જમીન માલીકનું નામ, જમીનની વિગત, ક્ષેત્રફ્ળ, આકાર જમા થયેલુ મહેસૂલ, બાકી મહેસૂલ ની વિગતો તેમાં નોંધી અંગ્રેજોએ આ "સરવહી” નું "સરવેઇ” એવું ઊચ્ચારણ કર્યુ. જમાઊધારના ખાતા પાડવામાં આવ્યાં. સરવહીનો ખાતા નંબર એટલે સરવે નંબર.

શેરશાહની આ ગજ આધારીત માપણી ઝડપથી થઇ શકે તે હેતુથી અકબરના રાજયકાળમાં રાજા ટોડરમલે ૩૩ ફુટની સાંકળથી માપણી શરુ કરાવી. ૧૧×૧૧ વાર, ૧ર૧ ચોરસવાર એક ગુંઠો ગણાતો. ૩૩×૩૩ ફુટના ગુણાંકનું માપ એક ગુંઠો કહેવાતું. જમીનની પ્રત યથાવત રાખી. ઉપર મુજબના નવ પ્રકારની જમીનની પાછલા ઓગણીસ વરસની ઊપજ અને તેની સરેરાશ આવક કાઢી તેના ત્રીજા ૧/૩ ભાગને રોકડમાં ફેરવતાં જે રકમ આવે તે મહેસૂલ ઠરાવ્યું. શરુઆતમાં આ ગણતરી દર વર્ષે થતી પરંતુ તેમાં મુશ્કેલી થતાં દસ વર્ષ માટે ઠરાવવામાં આવ્યું. આ પધ્ધતિને માપણી અને જમાબંધી કહેવામાં આવે છે. આ વિગતો અબુલ ફઝલે "આઇને અકબરી”માં નોંધી છે.

ગુજરાતમાં સર સયાજી રાવ ગાયકવાડના શાસનમાં સર.ટી.માધવરાવ દિવાન હતા. તેમણે દક્ષિણ ભારતમાં જમીન સુધારણા ક્ષેત્રે મોટુ પ્રદાન આપ્યું છે. તેમણે ગાયકવાડી રાજ્યમાં પણ જમીન સુધારણાની કામગીરી કરી. તેમણે સિરદાર મહેસૂલી અધિકારીઓની સત્તા મર્યાદિત કરીસિરદારી જમીનોનેરાજયની જમીનમાં ભેળવી.

તેને બદલે રૈયતવારી એટલે કે જેણે જમીન ખેડી હોય તે જમીન પર મહેસૂલ વસુલાત એટલે જમાબંધી એ રીતેરૈયતવારી જમાબંધી દાખલ કરી. તેનાથી આગળ વધીને લોર્ડકોર્નવોલીસે ઈ.સ. ૧૭૯૦ માં બંગાલ પ્રાંત માં કાયમી જમાબંધી પધ્ધ્તીદાખલ કરી.ઈ.સ. ૧૮૨૦ માં સર થોમસ મુનરોએ ખાલસા અને રૈયતવારી પધ્ધતિદાખલ કરી,જે પ્રથમ મદ્રાસ અને પછીં મુંબઇ પ્રાંતમાં દાખલ કરવામાં આવી. આ પધ્ધતિમાં ખાલસા એટલે કે નિર્ભેળ,તમામ પ્રકારનાબોજા રહિત સરકારમાં દાખલ થયેલ કે સરકારી માલિકીની જમીન,રૈયત એટલે પ્રજા,રૈયતવારી એટલે પ્રજા કે ખેડુતો ને જમીન સીધી ખેડવા આપવાની રીત.

જમીન મહેસૂલ સર્વે અને આકારણી વગર પુરેપુરો વસૂલ થઈ શકે નહીં. પ્રિંગલે આ કામગીરી કરી, શકય હોય તેવા તમામ પ્રદેશોમાં જઈ તેના સર્વેયરોએઆ દેશની તસુંએ તસું જમીન માપી, ખેતરવાર ક્ષેત્રફળ નક્કી કર્યું,પ્રત અધારે રોકડમાં મહેસૂલ ઠેરવ્યું તલાટીના રેકર્ડમાં ખેતરનુંનામ, માલીકનુંનામ,ક્ષેત્રફળ, આકાર વિગેરે બાબતોના ઊલ્લેખ સાથે નોંધ કરાવી, જેના આધારે ગામનો નમુના નંબર (૧) અથવા ખેતરવાર પત્રક તૈયાર થયું. રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલનોઆ પાયો છે. પ્લેન ટેબલ માપણી અને કાગળની સીટ પર હાથથી બનાવેલા તે સમયના સર્વેના ટિપ્પણ પત્રકો આજે પણ જમીન દફતરમાં જોવા મળે છેઅને આ માપણી માં એક સેન્ટીમીટર જેટલી પણ ક્ષતિ જોવા મળતી નથી.

મુગલ સમયના એકમો અંગ્રેજોના સમયમાં થોડા બદલાયા, ૧૨૧ ચો. વારનો ગુંઠો યથાવત રહ્યો પરંતુ જુદા જુદા રાજયોમાં ૧૬ ગુંઠાનું વીઘું, ૨૪ ગુંઠાનું વીઘું એવા જુદા જુદા વીઘાને બદલે ૪૦ ગુંઠાનો એકરનવા માપ તરીકેચલણી બન્યો.મહેસૂલી ક્ષેત્રફળ હવે એકર અને ગુંઠામાં લખાતું થયું હાલમાં પણ સૌરાષ્ટમાં ૧૬ ગુંઠાનું વીઘું છે. ગાયકવાડી રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૨૪ ગુંઠાનું વીઘું ગણાય છે.

જમીન મહેસૂલ કાયદાની શરૂઆત ૧૮૨૭ ના રેગ્યુલેશન એકટથી થાય છે. જેમાં પ્રથમવાર જમીન મહેસૂલ ભરવાની જવાબદારી જમીન ધારણ કરનારની નક્કી કરવામં આવી છે. ૧૮૫૭ ના બ્રીટીશ તાજના શાસન પછી મહેસૂલી કાયદો બનાવવામાં આવ્યો. પ્રથમ ૧૮૬૫માં,ત્યાર બાદ ૧૮૭૪માં કાયદો તૈયાર થયો.૧૮૭૬માં કલેકટરો પાસેથી સુચનો મંગાવ્યા પછી ૧૮૭૯થી અમલમાં આવ્યો,જેમા વખતો વખત સુધારા વધારા થયા પછી આ કાયદો આજે પણ અમલમાં છે.

જમીન મહેસૂલ માટે મુળ કાયદામાં કલમ –૧૭ માં કલેક્ટર ફરમાવે તેવા રેકર્ડ રજીસ્ટરોમાં હિસાબ રાખવાની જોગવાઇ છે.૧૮૭૯ થી ૧૯૧૩ સુધી કલેક્ટરો પોતાની રીતે હિસાબ રખાવતા અને મહેસૂલની રકમ જમા કરાવતા. ૧૯૧૩માં એંડરસને રેવન્યુએકાઉન્ટમેન્યુઅલ બનાવ્યું જેને ગામ નમૂના, તાલુકા નમૂના અને જિલ્લા નમૂના કહેવામા આવે છે. જેમા સમગ્ર મહેસૂલી હિસાબ આવી જાય છે. આ નમૂના અત્યંત ચીવટથી તૈયાર થયેલા છે અને સામાન્ય શિક્ષિત વ્યક્તિ તેને સમજીને હિસાબ કરી શકે તેવા છે. જેમા ખેતી,બિનખેતી, સાર્વજનીક, ઇનામી અને અન્ય પ્રકારની જમીનનું ક્ષેત્રફળ, આકાર અને ગામ, તાલુકા, જિલ્લાની કુલ મહેસૂલ ની રકમ, બિનખેતી આવક, પરચુરણ ઊપજ, અન્ય ઊપજ નો હિસાબ સમાવિષ્ટ કરવામા આવે છે.

જમીન મહેસૂલ કાયદા હેઠળ કલમ-૨૧૪(૧) મા નિયમો કરવાની સત્તા સરકારને છે. ગુજરાતમા જમીન મહેસૂલ નિયમો-૧૯૭૨ અમલમાં છે. જુના એંડરસનના બનાવેલા નિયમો- બોમ્બે લેંડ રેવન્યુ રુલ્સ-૧૯૨૧ની સામે તા.૧૪/૬/૧૯૭૨થી આ નવા નિયમો લાગુ કરવામા આવ્યા છે. આ નિયમોમાં ૫૨ (બાવન) વહીવટી હુકમો છે અને ૩૨૭ ટીપ કે નોંધો મુકવામા આવી છે.

જમીન મહેસૂલ નિયમો પશ્ર્વાતવર્તી અસરથી કે પૂર્વવર્તી અસરથી પણ લાગુ પાડી શકાય છે. તે અંગે ૧૯૮૧માં સુધારો કરવામા આવ્યો છે. હાલમા ગુજરાત રાજ્યનો સમગ્ર મહેસૂલી વહીવટ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ અને જ.મ.નિયમો ૧૯૭૨ પર આધારિત છે.

ગુજરાત ૧લી મે ૧૯૬૦થી અલગ રાજય બન્યું. ૧૯૬૧નો ગુજરાત પંચાયત અધિનિયમ રચાયો. ૧૯૬૩થી ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું. આ કાયદાની કલમ-૧૪૯, ૧૫૧, ૧૫૨, અને ૧૫૭ માં મહેસૂલ અધિનિયમના કાર્યોપંચાયતો ને તબદીલ કરવામાં આવ્યા.

ગુજરાતમાં ૧૯૯૩થી નવો સુધારેલો ગુજરાત પંચાયત અધિનિયમ લાગુ પડ્યો તેની કલમો૧૬૮, ૧૭૦, ૧૭૧ અને ૧૭૫ અનુક્રમે જુના કાયદા મુજબની છે જેમાં મહેસૂલી કાર્યો પંચાયતને તબદીલ થયાની બાબતો ચાલુ રહી છે.

દુમાલા રજિસ્ટર નિભાવવાની જોગવાઈ જ.મ. અધિનિયમની કલમ૫૩ માં છે. તેમા તમામ દુમાલા જમીનની નોંધ થતી. ગણોતિયા, જમીન ખેડતા, પરંતુ તેને કોઈ રક્ષણ ન હતું. જમીનદાર ગમે ત્યારે તેને હાંકી કાઢતો ૧૯૩૯માંગણોતિયાને રક્ષણ આપતો ગણોત કાયદો પ્રથમવાર અમલમાં આવ્યો. જેમાં ૧૯૩૯ પૂર્વે છ વર્ષથી જે કોઈ ગણોતિયો જમીન ખેડતો હોય તેને હકાલ પટ્ટીથી રક્ષણમળ્યું.

૧૯૪૬ માં સુધારેલો ગણોત કાયદો અમલમાં આવ્યો તેમાં પણ ૧૯૪૬ પૂર્વેજે કોઈ ગણોતિયો છ વર્ષથી જમીન ખેડતો હોય તેને રક્ષણ મળ્યું.આ બંને કાયદા માત્ર ગણોતને લગતા હતા. ૧૯૪૭ માં ખેતીની જમીનના ભાગલા પાડતા અટકાવવા અને એકત્રીકરણ નો કાયદો આવ્યો. જેમાં ટોચ ક્ષેત્ર કરતા ૧/૧૬ ભાગ કરતા ઓછી જમીનને ટુકડો ગણ્યો.આ કાયદો હજી પણ અમલમાં છે.૧૯૪૮માં ગણોત વહિવટ અને ખેતીની જમીનનો કાયદો જેને ગણોતધારો કહે છે તે અમલમાં આવ્યો. આ કાયદો ગુજરાત વિસ્તારનેલાગુ પડયો. ૧૯૪૮ નો કાયદો સુધારો સાથે ૧૯૫૬ માં અમલમાં આવ્યો જેને પરિણામે ૦૧-૦૪-૫૭ થી ગણોતિયા જમીન ખરીદનાર બન્યા.

 

કચ્છ અને વિદર્ભનો ગણોતધારો અલગ છે. હાલના ગુજરાતમાં ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છ ત્રણ રાજયો છે. ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યનો ગુજરાતી ભાષીપ્રદેશ ગણાતો.

સૌરાષ્ટ્ર રાજયે ૧૯૪૮માં રાજયની માલિકીની તમામ જમીન રૈયાતવારી કરી. રાજયમાં અસંખ્ય રજવાડા હતા,તેમના ગણોતિયા ની સાથે સંબંધો બગડયા. આથી સૌરાષ્ટ્ર રાજયે ૧૯૪૯ નો વટહુકમ બહાર પાડયો જે મુંબઇના ગણોતધારાપર આધારિત હતો. જેનું અમલીકરણ થઈ શક્યું નહીં.કેન્દ્ર સરકારે પી. કે. થુંગન ના અધ્યક્ષપદહેઠળ સમિતિરચી,જેના અહેવાલ આધારે ૧૯૫૧ નો સૌરાષ્ટ્રલેન્ડરિફોર્મ એકટ આવ્યો,જે ગિરાસદારો માટે અને ૧૯૫૧ નો બારખલી એબોલીશન એકટ આવ્યો,જેબારખલીદારો માટે હતો. આ બંને કાયદા ખેતી ની જમીન માટે હતા. આથી ખેતી સિવાયની જમીન માટે સૌરાષ્ટ્ર એસ્ટેટ એકવીઝીશન એકટ ૧૯૫૨ લાવવામાં આવ્યો,જેમાં ખેતી સિવાયની તમામ અસ્કયામતો, કચેરીઓ, સાર્વજનિક વપરાશની વસ્તુઓ, મકાનો વિગેરે સંપાદિત થયા.ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગણોતધારા જેવી ગણોતેજમીન નહીં આપવાની જોગવાઈ માટે સૌરાષ્ટ્ર ખેતજમીન પટ્ટા પ્રતિબંધ અધિ. ૧૯૫૩ અમલમાં છે.

૧૯૪૯ના વટહુકુમમાં કલમ-૫૪ જે બીન ખેડૂતને ખેતીની જમીન તબદીલી અંગેની તથા બીજી એસ્ટેટ સંપાદનને લગતી થોડી કલમો સિવાય સમગ્ર અધિનિયમ રદ થયો છે.

૧૯૬૦ માં ગુજરાત ખેતીની જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યો.જેમા ટોચ ક્ષેત્રનક્કી કરવામાં આવ્યું.ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારોની જમીનના પ્રકાર મુજબતેનક્કી કરવામાં આવ્યું હતું,જેને માટે કાયદામાં ક્ષેત્રફળની વિસ્તારવાર અનુસુચિબનાવવામાંઆવીછે. આ કાયદામાં સુધારો કરીને ૧૯૭૬ માં ટોચ ક્ષેત્ર ઘટાડવામાં આવ્યું. સાથો સાથ કેટલીક જમીનો જેને મુક્તિ આપી હતીતે રદ થઈ, જેમ કેવીડની જમીનો, જેને ૧૯૭૬માં ખેતીની જમીન ગણવામાં આવી. દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અંસખ્ય ઈનામ અને વિવિધ સત્તા પ્રકારે ધરાવેલ જમીનોના કાયદા અમલમાં આવ્યા અને તમામ પ્રકારના ઇનામો નાબૂદ કરવામાં આવ્યા,વટવા વજીફદારી,ઠાસરાનામલેકી સત્તાપ્રકાર,આંકડાદારી સત્તા પ્રકાર,મેવાસી સત્તાપ્રકાર,ચાકરીયાત જમીન સત્તા પ્રકાર વિવિધકાયદાથી રદ થયા.

૦૧/૦૪/૫૭ ના રોજ કેટલાક ગણોતીયા જમીન ખરીદનાર બની શક્યા નહીં.તેમાં ધાર્મિક ટ્રસ્ટોનાગણોતીયા પણ હતા. ૧૯૬૯માં સરકારે દેવસ્થાન ઇનામ નાબૂદી ધારો અમલમાં મુક્યો જેમાધાર્મિક ટ્રસ્ટોના ગણોતિયાને જમીન માલિકબનાવવામાં આવ્યા.

૧૯૭૬માં શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો ગુજરાતમાં લાગુ થયો જેમાં પ્રત્યેક પુખ્ત વ્યક્તિની ૧૦૦૦ ચો.વાર સિવાયની વધારાની જમીનો ફાજલ ગણવામાં આવી. આ કાયદો વર્ષ ૧૯૯૯થી રદ કરવામાં આવ્યો.

તા. ૦૧/૦૮/૧૯૭૨ થી ગુજરાતમાં નાના અને સીમાંત ખેડૂતોને જમીન મહેસૂલ ભરવામાંથી માફી આપવામાં આવી. વર્ષ ૧૯૬૦માં ખેતીની જમીનની ટોચ મર્યાદાના ૧૬ મા ભાગ કરતા ઓછી જમીન ધરાવનાર નાનો ખેડૂત ગણાતો.તા. ૧/૮/૧૯૯૭થી તમામ ખેડૂતોને જમીન મહેસૂલ ભરવામાંથી માફી આપવામાં આવી છે. ખેડૂતોને માત્ર શિક્ષણ ઉપકર અને લોકલ ફંડ સેસ ભરવાનો રહે છે.આમ એક સમયની રાજ્યની મુખ્ય આવક ગણાતી જમીન મહેસૂલની રકમ હવે માફ થઇ છે.તેની પાછળનું કારણ એવું છે કે વર્ષ ૧૯૨૭માં છેલ્લીવાર સર્વે અને સેટલમેન્ટ કરી મહેસૂલ નક્કી થયું. આ સેટલમેન્ટ ૩૦ વર્ષ માટે લાગુ પડે બીજુ સેટલમેન્ટ ૧૯૫૭માં થવુ જોઇતું હતુ જે થયુ નહીં કારણકે જમીન સુધારણા કાયદાની અમલવારીમાંસમગ્રતંત્ર કામગીરી કરી રહ્યું હતુ.૧૯૮૭માં પણ થયુ નહીં. પરીણામે મહેસૂલની રકમ ૧૯૨૭ની સ્થિતિએ સાવ નગણ્યરકમ થઇ ગઇ અને ઘાટ કરતા ઘડામણ મોંઘુ થઇ જાય એવી સ્થિતિમાં મહેસૂલ માફી લાગુ કરવામાં આવી.મહેસૂલ કે જે મુખ્ય આવક હતી તેની જ્ગ્યાએ અન્ય કરો સરકારે ઉઘરાવવાના શરૂ કર્યા છે,જેથી રાજ્યની આવક વધી છે અને ખેડૂત પરનો બોજો ઘટ્યો છે, પરિણામે ગુજરાતમાં ખેડૂત સમૃધ્ધ થયો છે.

આ રીતે ગુજરાતમાં જમીન મહેસૂલના કાયદા વખતો વખત જુદા જુદા સંજોગોને આધીન અમલમાં આવ્યા,સુધારાવધારા થયા સાથો સાથ જમીન, જમીનવહીવટ અને મહેસૂલી તથા સર્વે અધિકારીઓની કામગીરી પણ બદલાતી રહી છે. લોકોની, ખેતીની સંસ્કૃતિ અને ખેતીવાડી સાથે, જમીનની માલીકી, જમીન અને જમીનના કાયદાની સીધે સીધી અસર થતી હોવાથી આજે પણ મહેસૂલી તંત્રનો લોકો સાથેનો સંબંધ અકબંધ રહ્યો છે.

રેફ. બુક

  • પ્રાચીન ભારત નો ઇતિહાસ
  • તારીખે શેરશાહી
  • તુઝુકે બાબરી
  • આઇને અકબરી
  • મીરાતે-અહમદી
  • મીરાતે-સિકંદરી
  • જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯
  • જમીન એકાઉન્ટ મેન્યુઅલ પ્રો. (જે.એચ.એન્ડરસન)
  • દક્ષિણ ભારત નો ઇતિહાસ
  • મુંબઇ રાજ્યનું ગેઝેટીયર
  • સૌરાષ્ટ્ર જમીન સુધારણા અધિનિયમ
  • સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અધિનિયમ
  • સૌરાષ્ટ્ર એસ્ટેટ એકેવી. એક્ટ

સંપાદિત: એમ.એ.સૈયદ નાયબ ક્લેક્ટર,

ગ્રામ વિકાસ કમિશ્નર ની કચેરી, બ્લોક નં.૧૬,ડો.જીવરાજ મહેતા ભવન,ગુજરાત સરકાર.

સ્ત્રોત: મહેસૂલ શાખા,ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate