অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગલગોટા

ગલગોટાને અંગ્રેજીમાં ''મેરીગોલ્ડ'' કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે ''હજારીગલ'' તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ '' સ્થુલ પુષ્પ '' છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટાનું ઉદ્ભવ સ્થાન મેકસિકો છે. જે આશરે પ૦૦ વર્ષો પહેલાં પોર્ટૂગીઝ દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આ ફૂલો દેશના ગામડે ગામડે જાણીતા છે, કારણ કે ગલગોટા તેની સરળ ખેતી પધ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકુળ થવાની શકિત, આખા વર્ષ દરમ્યાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે આપણા દેશમાં સૌથી વધુ લોકપિ્રય અને લોકભોગ્ય બન્યા છે. ગલગોટા તેના નારંગી અને પીળા રંગ પરનાં પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શણગાર, ફૂલોની સુશોભિત રંગોળી બનાવવા માટે છુટા ફૂલનાં રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફૂલોના રંગ, કદ અને આકાર તેમજ છોડનાં કદ અને વિકાસમાં રહેલ વૈવિધ્યતાને લીધે બગીચામાં સુશોભિત ફૂલછોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકોમાં મૂળના કૃમિ તેમજ નુકશાનકારક લીલી ઈયળને આવતી રોકે છે. વળી, ગલગોટાના ફૂલોમાં લ્યુટીન નામનો કુદરતી કલર આવેલ છે. જે ખાદ્યપદાર્થના રંગ માટે, પોલ્ટ્રી ફીડ તરીકે, ફામર્ાસ્યુટીકલ તથા ટેક્ષાટાઈલ ઉદ્યોગમાં કુદરતી રંગ તરીકે પણ ઉપયોગી છે. સામાન્ય રીતે ગલગોટાની ખેતી આપણા દેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધપ્રદેશ, તમિલનાડુ, અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે.

જાતો :

સામાન્ય રીતે ગલગોટાના  બે પ્રકાર જોવા મળે છે.

  1. ફ્રેંચ મેરીગોલ્ડ અથવા ગલગોટી : તેના છોડ ઠીંગણા રપ થી ૩૦ સે.મી. ઉંચાઈના, ફૂલો નાના કદનાં પરંતુ મોટી સંખ્યામાં  અને પીળા, નારંગી, લાલ, કથ્થઈ રંગોના મિશ્રણ વાળા જોવા મળે છે. જેનો ઉપયોગ બાગ બગીચાના સુશોભિત ફૂલ છોડ તરીકે મુખ્યત્વે કરવામાં આવે છે. આ ગલગોટાના પ્રકારમાં બટર સ્કોચ, રસ્ટીરેટ વગેરે મુખ્ય જાતો છે.
  2. આફ્રિકન મેરીગોલ્ડ : આફ્રિકન મેરીગોલ્ડના છોડ ૬૦ થી ૯૦ સે.મી ઉંચા, ફૂલ મોટા કદના, પીળા, નારંગી કે આછા પીળા રંગવાળા અને સારી ટકાઉશકિત ધરાવે છે. આ વર્ગમાં તેના ફૂલોના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો છે. જેવી કે, જાયન્ટ, ક્રાયસેન્થીમમ ચાર્મ, હનીકોમ્બ, કલાયમેકસ, તેમજ સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નો બર્ડ નામની જાત પણ વિકસાવવામાં આવેલ છે. વળી, આઈ.એ.આર.આઈ. નવી દિલ્હીથી બે હાઈબ્રીડ જાતો પુસા નારંગી ગેંદા અને પુસા બસંતી ગેંદા બહાર પાડવામાં આવેલ છે જે ગુજરાતમાં પણ સફળતા પૂર્વક ઉછેરી શકાય છે.

આબોહવા :

ગલગોટાને આપણા વિસ્તારની બધા જ પ્રકારની આબોહવા માફક આવતી હોઈ વર્ષની ત્રણેય ઋતુમાં ઉછેરી શકાય છે. છતાં શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને ટૂંકા દિવસનો ખુલ્લો સૂર્યપ્રકાશ ફૂલ ઉત્પાદન માટે વધારે સાનુકુળ માલુમ પડેલ છે. શિયાળામાં છોડનો વિકાસ ખૂબ જ ઓછો જોવા મળે છે, પરંતુ ઉત્તમ ગુણવત્તા (રંગ, કદ અને આકાર) વાળા ફૂલોનું ઉત્પાદન મળે છે. જયારે ઉનાળા અને ચોમાસામાં ઉંચું ઉષ્ણતામાન અને લાંબા દિવસને લીધે પુષ્પકળી ભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી વાનસ્પતિક વ્રધ્ધિ ખૂબ જ વધુ થાય છે. પરિણામે ફૂલો ઉતરતી કક્ષાનાં અને  ઓછું ઉત્પાદન આપે છે અને છોડની ઢળી પડવાની તકલીફ વધારે જોવા મળે છે.

જમીન અને તેની તૈયારી :

ગલગોટાને બધા જ પ્રકારની હલકીથી ભારે કાળી જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. ગલગોટાને સારા નિતારવાળી ફળદ્રુપ, ગોરાડુ અને જેનો પી. એચ. આંક ૭.૦ થી ૭.૫ હોય તેવી જમીન ખૂબ જ માફક આવે છે. ગલગોટા (આફ્રિકન મેરીગોલ્ડ)ની ખેતી ભારે કાળી જમીનમાં પણ પાણીના નિતારની યોગ્ય વ્યવસ્થાની સાથે નીક પાળા કે ગાદી કયારા પધ્ધતિથી કરી શકાય છે. જમીનને ફેરરોપણી કરતાં પહેલાં ઉંડી ખેડ કરી તપવા દેવી, પછી મોટા ઢેફાં ભાંગી, સમાર વડે જમીન બરાબર સમતલ કરી જમીનની પ્રતને અનુરૂપ સાદા કયારા અથવા પાળા તૈયાર કરવા.

ધરૂ ઉછેર :

ધરૂ ઉછેરવા માટે પહોળા-છીછરા કુંડા અથવા ગાદી કયારા તૈયાર કરી તેમાં બીજનું વાવેતર છીછરા ચાસ પાડી કરવું. ત્યારબાદ તેને ડાંગરની પરાળ અથવા ખજુરીના પાન વડે બીજનું અંકુરણ થાય ત્યા સુધી ઢાંકવું અને બીજનું સ્ફૂરણ થતા આવરણ દૂર કરવું. ધરૂવાડિયાને ઝારા વડે પાણી આપવું. એક હેકટરના પાકની ફેરરોપણી માટે ૧ થી ૧.પ કિ.ગ્રા.  જયારે હાઈબ્રીડ જાતો માટે રપ૦ ગ્રામ બીજની જરૂર પડે છે. ગલગોટાના બીજની જીવનશકિત એકાદ વષ્ર્ામાં નાશ પામતી હોઈ દર વર્ષે નવા બીજનો વાવેતર માટે આગ્રહ રાખવો. ગલગોટાના ધરૂની ફેરરોપણી જયારે ૪-પ મુખ્ય પાંદડાં આવે ત્યારે કરવી યોગ્ય છે. જે માટે ૩૦-૩પ દિવસનો સમય લાગતો હોય છે. ચોમાસાની ઋતુમાં જૂના છોડનાં કુમળા કટકા વાવીને પણ છોડ તૈયાર કરી શકાય છે.

આફ્રિકન જાતો :- ૪પ× ૪પ અથવા ૪પ×૬૦ સે.મી.

ફ્રેન્ચ જાતો:- ૩૦×૩૦ સે.મી.

ફેરરોપણી :

ગલગોટાના પાકમાં ધરૂની ફેરરોપણી ઋતુ આધારિત નીચે મુજબ કરી શકાય. ગલગોટાના પાકમાં ધરૂની ફેરરોપણી બાદ ૪પ થી પ૦ દિવસે ફૂલો આવવાની શરૂઆત થતી હોય છે. તે પ્રમાણે દિવસોની ગણતરી  કરી બજાર વ્યવસ્થા અને તહેવારોને અનુરૂપ જો ધરૂ ઉછેર કરી વાવણી કરવામાં આવે તો વધુ સારા ભાવો મળી શકે છે.

ઋતુ

ધરૂ તૈયાર કરવાનો સમય

ફેરરોપણીનો સમય

ફૂલો મેળવવાનો સમય

શિયાળો

સપ્ટેમ્બર-ઓક્ટોબર

ઓક્ટોબર-નવેમ્બર

ડિસેમ્બર-ફેબ્રુઆરી

 

ઉનાળો

ફેબ્રુઆરી-માર્ચ

માર્ચએપ્રિલ

મે-જુલાઇ

ચોમાસુ

જુન-જુલાઇ

જુલાઇ-ઓગષ્ટ

સપ્ટેમ્બર-નવેમ્બર

ખાતર :

જમીનની તૈયારી કરતી વખતે હેકટર દીઠ ર૦ થી રપ ટન સારુ કોહવાયેલું છાણિયુ  ખાતર જમીનમાં મેળવી દેવું. ગલગોટાના સારા ઉત્પાદન માટે પ્રતિ હેકટરે ર૦૦ કિલો નાઈટ્રોજન, ૧૦૦ કિલો ફોસ્ફરસ અને ૧૦૦ કિલો પોટાશ તત્વના રૂપમાં આપવું. જેમાં નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે ફેરરોપણી પહેલા આપવો. જયારે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ ૪પ દિવસ પછી છોડની ફરતે ગોડ મારી રીંગમાં આપવો.

આંતર ખેડ અને નિંદામણ :

આ પાકના શરૂઆતના વૃધ્ધિકાળ દરમ્યાન આંતર ખેડ કરી શકાય છે. પરંતુ છોડને નુકશાન ન થાય તે ખાસ જોવું. છોડનો ફેલાવો થયા પછી આંતર ખેડ કરવી યોગ્ય નથી. ધરૂની ફેરરોપણી કર્યા બાદ વારંવાર નીંદણ કાઢવું ખાસ જરૂરી છે. જેથી બે - ત્રણ પિયત બાદ કોદાળીથી હળવો ગોડ કરી ખુરપી વડે બધું જ નીંદણ દૂર કરવું. ગલગોટાના જીવનકાળ દરમ્યાન ૪ થી ૬ વખત નીંદામણ કરવાની જરૂર રહે છે.

પિયત:

ગલગોટાના છોડની વાનસ્પતિક વૃદ્ઘિના સમયગાળા દરમિયાન જમીનમાં ભેજ જાળવવો ખૂબ જ આવશ્યક છે, નહિતર છોડનો વાનસ્પતિક વિકાસ રૂંધાય છે. જેથી ફૂલોના ઉત્પાદન પર સીધી અસર પડે છે. સામાન્ય રીતે શિયાળામાં ૮ - ૧૦ દિવસના આંતરે અને  ઉનાળામાં ૪ - પ દિવસના આંતરે જયારે ચોમાસામાં વરસાદ ન પડે ત્યારે પાણી આપવું હિતાવહ છે.

પાક સંરક્ષણ:

જિવાત નિયંત્રણ:

જિવાતનું નામ

ઉપાય

 

લીફ માઇનર અથવા પાન કોરિયું

ડાયક્લોરોવોસ ૭૬% 5મિલી/૧૦લિટર અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ ઇ.સી 3 મિલી/૧૦ લિટરનો છંટકાવ કરવો

લીફ હોપર, એફીડ (મોલો)

મેલાથીયોન ૫૦ ઇ.સી. અથવા ડાયમિથોયેટ ૨૦ મિલી/૧૦ લિટરનો છંટકાવ કરવો.

લાલ કથીરી

કેલથાન ૨૦ મિલી/૧૦ લિટરનો છંટકાવ કરવો.

રોગ નિયંત્રણ:

રોગનું નામ

લક્ષણો

ઉપાય

ધરૂના કહોવારાનો રોગ

ધરૂવાડિયામાં છોડ જમીન  પાસેથી કહોવાઇ જઇ ઢળી પડે છે

વધુ પડતો ભેજ જમીનમાં ન થાય તેની કાળજી રાખવી, પારાયુક્ત દવાથી બીજને પટ આપી રોપણી કરવી,    કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ/૧૦ લિટર મુજબ ધરૂવાડિયામાં રેડવું જોઇએ.

કોલર રોટ

છોડના ઉપર કાળા ટપકાં/ઉઝરડા જોવા મળે છે. થડ મૂળ પાસે કહોવાઇ જતાં છોડ મરી જાય છે.

પિયતમાં નિયંત્રણ રાખવું, કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ/૧૦ લિટર મુજબ મૂળ વિસ્તારમાં રેડવું જોઇએ.

 

ફૂલનો કહોવારો

રોગિષ્ઠ કળી કરમાઇ જાય છે અને ઘાટા રંગની થઇ  જાય છે. પાન પણ કરમાઇ જાય છે અને પર્ણની ટોચ તથા કિનારી ઉપર ટપકાં જોવા મળે છે.

મેન્કોઝેબ ૨૦ ગ્રામ/ ૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.

 

ભૂકી છારો

પર્ણ ઉપર તેમજ ટોચ ઉપર સફેદ કલરનો પાવડર  જેવો ફૂગનો વિકાસ થયેલ જોવા મળે છે.

સલ્ફેક્ષ ૨૦ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરવો.

ખાસ માવજત :

ટેકા આપવા : ગલગોટાની ઉંચી વધતી જાતોનો વિકાસ થતાં છોડ ઢળી ન પડે માટે ફૂલો બેસતા પહેલા જરૂર પડયે છોડના થડમાં માટી ચઢાવવી તેમજ દરેક છોડના થડ પાસે પાતળી વાંસની લાકડી જમીનમાં ખોસીને ઢીલી દોરીથી એક થી બે જગ્યાએ લાકડી સાથે બાંધી ટેકો આપવાથી છોડ ઢળી પડતા નથી. જેથી ફૂલોની ગુણવત્તા બગડતી અટકાવી શકાય છે.

છોડની અગ્રકલિકા ચુંટવી (પીંચીંગ):ગલગોટાની આફ્રીકન જાતોમાં આ માવજત ફાયદાકારક માલુમ પડી છે. છોડની ફેર રોપણી બાદ ૩પ થી ૪૦ દિવસે છોડની અગ્રકલીકા હાથ વડે ચૂંટીને દૂર કરવી જેથી કક્ષાકલીકાઓમાંથી નવી ડાળીઓ જુસ્સાભેર ફૂટશે અને છોડનો ફેલાવો સારો થશે જેથી સારી ગુણવત્તાવાળા વધુ ફૂલો મળશે. કોઈકવાર જયારે મોડી ફેરરોપણી કરવામાં આવે છે ત્યારે અગ્રકલિકા ઉપર ફૂલની કળી જલદીથી બેસી જાય છે. ત્યારે પણ કળીને ચૂંટીને દૂર કરવી જોઈએ. જેથી છોડ પોતાની વાનસ્પતિક વૃદ્ઘિ પૂરી કરી શકે.

ફૂલો ઉતારવા:

ગલગોટાના ફૂલો છોડ પરથી પૂરેપૂરા ખીલે ત્યારે  ઉતારવા જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે પરંતુ ઠંડા પહોરમાં કરવું હિતાવહ છે. ફૂલો વિણવાના આગલા દિવસે પિયત આપવાથી ફૂલોની ટકાઉ શક્તિ વધે છે. છુટા ફૂલોને ઉતાર્યા બાદ શણની કોથળીમાં અથવા વાંસના ટોપલામાં ભરીને બજારે મોકલવા જોઈએ. છોડ ઉપરથી નિયમિત ફૂલો ચુંટવાથી છોડની ઉત્પાદન ક્ષમતા વધે છે. ગલગોટાના ફૂલોને સામાન્ય રીતે ચુંટતી વખતે જ અલગ અલગ રંગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. તદઉપરાંત તેના કદ અને જાત પ્રમાણે પણ અલગ રાખી શકાય. સીંગલ ફૂલ અને ગુચ્છાદાર (ડબલ) ફૂલોને અલગ અલગ ચુંટી વર્ગીકરણ કરવાથી ભાવો સારા મળે છે. છુટાં ફૂલોને ઉતાર્યા બાદ તુરત જ બજારે મોકલવા જોઈએ. બજાર દૂર હોય તો વાંસના ટોપલામાં પાણીમાં પલાળેલ મસલીન કાપડમાં ફૂલોને મુકી પેકીંગ કરવું જોઈએ.

ફૂલોનું ઉત્પાદન:

ગલગોટામાં ઉત્પાદનનો આધાર તેની જાત, ઋતુ, વાવેતર પદ્ઘતિ, રોપણી અંતર અને ખાતર - પાણીની માવજત ઉપર આધાર રાખે છે. છતાં સામાન્ય સંજોગોમાં આફ્રીકન મેરીગોલ્ડ (ગલગોટા) નું ઉત્પાદન ૧ર થી ૧પ ટન પ્રતિ હેકટર લઈ શકાય  છે.

સ્ત્રોત: આઈ-ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate