સરગવો પૃથ્વી પરતું અદભૂત વિવિધ ઉપયોગી પર્ણપાતી ઝાડ છે. સરગવો એ મોરીગેસી કૂળનું વિશ્વનું અગત્યનું એન અદભૂત ઝાડ છે. સરગવો શાકભાજી વૃક્ષ' તરીકે દેશ અને દુનિયામાં સારી ખ્યાતિ ધરાવે
છે. આ ઝાડના પોષણ મૂલ્ય ઔષધિય અને ઔદ્યોગિક ઉપયોગ સાથે ખેતીમાં એક રોકડીયા પાક તરીકે ટુંકા ગાળામાં વધારે આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર આ પાક પ્રસિદ્ધિ પામતો જાય છે. ખેતીની દૃષ્ટિએ ઘણી આવક આપતો ખૂબ જ ઝડપથી વધતો પાક છે, તેન વ્યાપારીક ખેતી થાય છે. આ ઉપરાંત રસ્તા, શેઢા, પાળા, કેનાલો અને પડતર જમીનમાં ઓછી મહેનતે ઉગાડી શકાતા સરગવાની ખેતી આર્થિક રીતે ઘણી પોષણક્ષમ છે. આ ઝડપથી વૃદ્ધિ પામતો, અછત પ્રતિકારક (ઓછા પાણીએ થતો) અને વિવિધ વિસ્તાર અને ખેત પદ્ધતિમાં સહેલાઈથી અનુકૂળ આવતો પાક છે. ગુજરાતમાં આ પાક સરળતાથી ઉગાડી શકાય છે. કિચન ગાર્ડનમાં અને અગાસીમાં કૂંડામાં પણ સરગવાના છોડ ઉગાડી શકાય છે.
આ ઝાડના દરેક ભાગો જેવા કે પાન, ફૂલ, ફળ અને મૂળ સારા એવા પોષક દ્રવ્યો ધરાવે છે અને ઘણા રોગો અટકાવવા ઉપયોગી છે. તેથી હોમીયોપેથી, સિદ્ધ અને આયુર્વેદિક દવાઓની બનાવટમાં વપરાય છે. વિશ્વમાં મોટી ઉમરના બાળકો અને મહિલાઓ કુપોષણથી પીડાઈ રહ્યા છે ત્યારે પોષણયુક્ત આહારના વિકલ્પ તરીકે આ પાક ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. આ પાકના પાનનો પાઉડર આ માટે ઘણું જ સસ્તુ ટોનિક પૂરવાર થઈ શકે તેમ છે. શાક તરીકે આ પાકની શીંગોની માંગ વિશ્વમાં ખૂબ જ વધી રહી છે. તેના બીજમાંથી મળતા તેલ (૩૮ થી ૪૦%) ગંધરહિત હોય તેનો ઉપયોગ ખાવા માટે, કોમેટિક અને ઉંજણ તરીકે થાય છે. તેલ ક્યારેય ખોટું થતુ નથી જે “બેન ઓઈલ” તરીકે ઓળખાય છે.
સરગવાના દરેક ભાગનો ખાસ ઉપયોગ રહેલ છે. તાજા પાન તથા શીંગો શાકભાજી તરીકે દાળ-શાકસંભાર , કઢી, ચામાં ઉમેરી જમવાનું સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બનાવી શકાય છે. પાનની સૂકવણી કરી પાઉડર બનાવી રોજબરોજના ખોરાકમાં અને પાણીમાં ઉમેરી શકાય છે. ખાસ કરીને પછાત વિસ્તારના ઉછરતા બાળકો, ગર્ભવતી અને પ્રસૂતિ પછી બહેનોને આ સરગવો અતિ ઉપયોગી છે.
ભારતમાં અંદાજે ૩૮000 હેકટરમાં સરગવાનું વાવેતર થાય છે જેમાંથી ૧૩ લાખ ટન ઉત્પાદન મળે છે. ભારતમાં સરગવાની ખેતી મુખ્યત્વે દક્ષિણના રાજયો જેવા કે તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં કરવામાં આવે છે. ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજયોમાં બહુવર્ષાયુ સરગવાનું છૂટું છવાયું વાવેતર થાય છે.
ગુજરાતના ખેડૂતો સરગવાની વર્ષાયુ જાતનું વાવેતર કરી ટુંકા સમયમાં વધુ ઉત્પાદન લઈ સારી આવક મેળવતા થયા છે. વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ અને નર્મદા જીલ્લામાં વ્યાપારિક ધોરણે સરગવાની ખેતી કરવામાં આવે છે.
આ પાક ઉષ્ણકટિબંધ અને સમશીતોષણ કટિબંધ પ્રદેશમાં ઉગાડી શકાય છે. રપ સે. થી ૩પ સે. ઉષ્ણતામાન માફક આવે છે, પરંતુ ૪૦° સે. સુધીનું ઉષ્ણતામાન તથા સૂકુ હવામાન સહન કરી શકે છે. વરસાદ ૨૫૦ થી ૧૫00 મિ.મી. સુધી અને દરિયાની સપાટીથી ૯૦૦ મીટર ઊંચાઈ સુધી આ પાક સરળતાથી ઉગાડી શકાય છે.
સારી નિતારશક્તિ ધરાવતી, ગોરાડુ, બેસર, મધ્યમ કાળી કે ફળદ્રુપતા ધરાવતી રેતાળ, ગોરાડુ જમીન વધુ માફક આવે છે. શેઢા, પાળા, રસ્તા ઉપરની ઓછી માવજતવાળી જમીનમ પણ સરગવાના ઝાડો ઉત્પાદન આપે છે. પી.એચ. આંક પ-૯ સુધી સહન કરે છે. જો કે લાંબો સમય પાણી ભરાઈ રહે અથવા એકદમ ભારે કાળી, ચીકણી જમીનમાં આ પાક સારો થતો નથી. આ ઉપરાંત ભાઠાની જમીનમાં પણ સરગવો સારી રીતે થાય છે. પાણી ભરાઈ રહે તેવી પરિસ્થિતિ સરગવાના મૂળ સહન કરી શકતા નથી તેથી મૂળની આજુબાજુ વધારાનું પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી અને ખેતરમાંથી વધારાના પાણીની નિકાલની વ્યવસ્થા કરવી.
સરગવાની ઘણી જુદી જુદી જાતો છે. બાગાયત કોલેજ અને સંશોધન સંસ્થા, તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, પેરીયાકુલમ દ્વારા વર્ષાયુ સરગવાની બે જાતોની ભલામણ કરેલ છે.
નિકાસ યોગ્ય જાત : વલયપટ્ટી, પાદરા.
આ પાકનું સંવર્ધન બીજ દ્વારા અને ક્ટકા દ્વારા થાય છે. બીજ (વાર્ષિક સરગવા દા.ત. પી.કે.એમ.-૧) તથા ક્ટાકાને (કાયમી સરગવા દા.ત. પાદરા સરગવી) સીધા રોપવાની પ્રથા છે અથવા કોથળીમાં રોપ અથવા કટકા ઉછેરી રોપી શકાય.
અંતર : ૩ મી. X ૩ મી. અથવા ૪ મી. × ૪ મી. અથવા ૫ x ૫ મી. જાત જમીન અને ઉત્પાદનના ઉપયોગ ઉપર આધારિત અંતર પસંદ કરવું. દા.ત. સરગવા માટે (પી.કે.એમ.-૧) ૩ મી. × ૩ મી. તથા લાંબા સમય એટલે કાયમી ટાઈપ (પાદરા સરગવો) માટે પ મી.x ૫ મી. પસંદ કરવું. જો ફકત પાન માટે ખેતી કરવી હોય તો ૨ મી. X ૨ મી. નું અંતર રાખી શકાય છે.
રોપણી :યોગ્ય અંતરે એક મીટર પહોળા અને ૩૦ સે. મી, ઊંચાઈના સરગવાની જાત પ્રમાણે (ગાદી કયારા ) પાળાઓ કરી એક જગ્યાએ ૨-૩ બીજ રોપી શકાય અથવા સીધા ૨-૨ ટકા મૂકવા. ઉગ્યા બાદ ઉત્તમ એક છોડ રાખી બાકીના કાઢી નાખવા.
સેન્દ્રિય/રાસાયણિક ખાતરો (ઝાડ દીઠ)::સરગવાના પાકને વધુ ખાતરની જરૂરિયાત નથી પરંતુ વધુ અને સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવવા થડથી એક મીટર દૂરના ઘેરાવામાં ખાડા દીઠ ૨૦ મિ.લિ. એઝોટોબેકટર + ૧૦ મિ.લિ. પીએસબી + ૧૦ મિ.લિ. પોટાશ બેકટેરિયા + ૫ ગ્રામ ટ્રાયકોડર્મા ખાતર આપવું જરૂરી છે. ઉપરાંત ૭.૫ કિ.ગ્રા. સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર + ૫૦૦ ગ્રામ મરઘાનું ખાતર + ૨૫૦ ગ્રામ લીંબોળીના ખોળ (ઓકટોબર માસમાં)આપવો.
વાવેતર સમય,અંતર અને બીજ દર : વર્ષાયુ સરગવાનું વાવેતર બીજથી જૂન-જુલાઈ કે નવેમ્બર-ડિસેમ્બરમાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં સરગવાના વાવેતરનો અનુકૂળ સમય સપ્ટેમ્બર માસ ગણાય છે કારણ કે ફૂલ આવવાનો સમય વર્ષાઋતુમાં ન આવે અને વરસાદને લીધે ફૂલ ખરી પડતાં અટકે છે. ૪૫ સે.મી. x ૪૫ સે.મી. x ૪૫ સે.મી.નો ખાડાની મધ્યમાં ૨ બીજ, ૩ સે.મી. ઊંડાઈએ વાવવામાં આવે છે. અથવા એક માસ જૂનો તંદુરસ્ત રોપ રોપવામાં આવે છે. એક હેકટરના વાવેતર માટે અંદાજે ૬ર૫ ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજનો ઉગાવો થાય છે. બહુવર્ષાયુ સરગવાનું વાવેતર ડાળીના કટકા દ્વારા કરવામાં આવે છે.
બીજ માવજત: વાવતા પહેલા સરગવાના બીજને એઝોસ્પાયરીલમ કલ્ચર ૧૦૦ ગ્રામ પ્રતિ ૬૨૫ ગ્રામ બીજ આપવી જેનાથી બીજનો ઉગાવો ઝડપથી થાય છે, રોપાનો જુસ્સો વધે છે, ઝડપથી વૃદ્ધિ થાય છે અને બીજ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.
પાછલી માવજત : જયારે સરગવાનો છોડ ૭૫ સે.મી. ઊંચાઈનો થાય એટલે કે વાવેતર બાદ ૬૦ દિવસે મુખ્ય થડની અગ્રકલિકાને કાપી નાંખવી જોઈએ (પીચિંગ કરવું) જેથી બાજુની શાખાઓની વૃદ્ધિ ઝડપથી થાય છે અને છોડની ઊંચાઈમાં ઘટાડો થાય છે જેથી શીંગો ઉતરવાનું સરળ પડે
પ્રુનિંગ: પ્રથમ સીધા વધતા છોડને વધારે ડાળીઓ ફુટાડવા ૧.૫ મીટર (દોઢ) ઊંચાઈથી કાપવા ત્યારબાદ વર્ષે શીંગો પૂરી થયા બાદ એટલે કે મે-જૂનમાં ૩૦-૪૫ સે. મી. ટોચની ડાળીઓ કાપવી. સરગવાના વૃક્ષો મુનિંગ કરી (ર મીટર ઊંચાઈ) ઠીંગણા રાખવા જેથી શીંગો ઉતારવામાં અને અન્ય ખેતી કાર્યોની સરળતા રહે. ફક્ત પાન માટેના સરગવાને મુનિંગ કરી ઠીંગણા રાખવા.
પિયત : સરગવો એ ઉષ્ણકટીબંધનો પાક હોવાથી પાણીની ખેંચ સહન કરી શકે છે. પરંતુ બહુવર્ષાયુ સરગવાની સરખામણીમાં વર્ષાયુ સરગવાનું બીજથી વાવેતર થતું હોવાથી તેમજ તેના મૂળ ભરાવદાર અને ઝડપથી પથરાતા હોવાથી જમીનના નીચેના સ્તરમાંથી વધારે પાણી ખેંચે છે તેથી તેને સમયસર ૭દિવસે પાણીની જરૂરિયાત પડે છે જયારે બહુવર્ષાયુ સરગવાને ૧૫ દિવસે પાણી જોઈએ. વર્ષાયુ સરગવાના પાકમાં ૬૦ દિવસ બાદ ૧ મીટરની ઊંચાઈએથી પીચિંગ કર્યા બાદ ૧૦ થી ૧૫ દિવસ પાણીની ખેંચ પડવા દેવી જોઈએ જેથી બાજુની શાખાઓ વધુ ફૂટે છે. તે જ રીતે વર્ષાયુ સરગવામાં ફૂલ લાવવા માટે ૨૦ થી ૩૦ દિવસ પાણીની ખેંચ આપવાથી ફૂલની સંખ્યા વધે છે અને છોડની વાનસ્પતિક વૃદ્ધિ અટકે છે. પરંતુ પુષ્કળ ફૂલ અને શીંગ બેસવાની અવસ્થાએ પાણીની ખેંચ પડવી જોઈએ નહી. નહીંતર ફૂલ તેમજ અપરિપક્વ શીંગો ખરી પડે છે અને પરાગરજ સૂકી બને છે તેમજ આ અવસ્થાએ વધારે પડતુ પાણી પણ ભરાઈ રહેવું જોઈએ નહીં. સરગવાનું ઝાડ અછતની પરિસ્થિતિ અને સખત તાપમાં એન્ટિ ટ્રાન્સપરન્ટ જેવા કે ગ્રીન મિરેકલ, પીએમએ અને કેઓલીન છોડે છે જે ફૂલો અને શીંગોને ખરી પડતા અટકાવે છે. સરગવાની ડાળીઓ, થડ અને મૂળ બટકણા હોવાથી વધારે પવનથી ઝાડ તૂટી કે ઉખડી જાય છે જેથી સરગવાના થડની આજુબાજુ પાળા ચઢાવવા જોઈએ તેમજ થડમાં સીધુ પિયત આપવું જોઈએ નહી. જો ટપક પિયત આપવું હોય તો લેટરલ અને એમિટર્સ સરગવાના થડથી ૧ થી ૧.૫ ફૂટ દૂર ગોઠવવા જોઈએ. જમીનમાં પુરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે તે માટે ઉનાળામાં ઊંડી ખેડ, વાવેતરની બ્રોડ બેડ ફરો પદ્ધતિ, પાક રેસિયૂ મલ્વેિગ, સેન્દ્રિય ખાતર અને હ્યુમિક સબસ્ટન્ટ વગેરેનો સામૂહિક રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય.
સરગવાને નિયમિત અને પ્રમાણસર પાણીની જરૂરત છે. ઉનાળામાં ૪ થી ૬ દિવસે અને શિયાળામાં ૮ થી ૧૦ દિવસે પિયત આપવું. ટપક પદ્ધતિ બેસાડી શકાય તો વિશેષ સારું. શેઢે પાળે અથવા વાડ પર સરગવા રોપેલા હોય તો ખાસ પિયત વ્યવસ્થાની જરૂરિયાત નથી.
આંતરપાકો: કાયમી પ્રકારના સરગવામાં શરૂઆતના ૨-૩ વર્ષ વેલા વગરના શાકભાજી, સોયાબીન, ગમ ગુવાર, રજકો, મગફળી જેવા પાક લેવા જેથી વધારાનું વળતર મળી રહે. લીલો પડવાશ કરી સેન્દ્રિય તત્વો ઉમેરવામાં પણ અતિ ઉપયોગી છે તેમજ કઠોળ વર્ગના પાક લેવાથી વધારાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાશે.
સરગવાના પાકને ૩૦ થી ૯૦ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો જોઈએ. સરગવાનો પાક પહોળા અંતરે વવાતો હોવાથી ૩ થી ૪ વખત કરબથી આડી ઊભી આંતરખેડ કરવી જોઈએ તેમજ છોડના ખામણાની આજુબાજુ હાથ વડે નીંદામણ કરવું જોઈએ. નીંદામણ, ખેડ/ગોડ કરી જમીન પોચી અને ભરભરી રાખવી.
ફૂલ ખાનાર ઈયળ:
પાન ખાનરી ઈયળ:
સરગવાનાં પાન ખાનાર ઈયળનો વિશેષ ઉપદ્રવ જોવા મળે છે. આ ઈયળના નિયંત્રણ માટે લીમડાના તેલ આધારિત અથવા ગૌમૂત્ર આધારિત દવાનો ઉપયોગ કરવો. અનિવાર્ય જણાય તો જ જંતુનાશક દવા વાપરવી.
કાતરા (હેરી કેટરપીલર) :
એશ વીવીલ:
શીંગની ફળમાખી:
થડ કોરી ખાનાર ઈચળ (ઈન્ડરબેલા):
કેટલીક વાર થડ કોરી ખાનારી ઈયળનો ઉપદ્રવ પણ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે થડ પરની ગેલેરી સાફ કરવી.
ઈયળે કોરાણ કરેલ કાણામાં કલોરોફોર્મ અથવા ફોર્માલિન અથવા પેટ્રોલમાં બોળેલું રૂ નું પૂમડુ મૂકવું. રાસાયણિક નિયંત્રણ માટે ઈન્ડોકજાકાર્બ ૧૫ લિટર પાણીમાં ૧૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૭ મિ.લિ. અથવા સ્પાર્ક ૩૫ મિ.લિ. અથવા મિથોમીલ ૫ મિ.લિ. નો છંટકાવ કરવો.
પુરતી વિકસિત થયેલ, કુમળી અને લીલી શીંગોની કાપણી કરવી જોઈએ. વધુ પાક્ટ શીંગો રેસાવાળી હોય છે. વાવેતર બાદ ૬ થી ૮ માસે કાપણી લાયક શીંગો તૈયાર થાય છે. કાપણી ૨ થી ૩ મહિના ચાલે
ઘેરા લીલા રંગમાંથી આછા લીલા રંગની શીંગો થાય ત્યારે ભરાવદાર શીંગો ખાસ પ્રકારના વાંસ ઉપર લગાડેલ ચીપિયા વડે ઉતારવી. શીંગો નીચે પાથરેલ કપડામાં ભેગી કરવામાં આવે છે. એકઠી કરી છાંયડે લઈ જઈ સાફ કરવી, ઠંડા પાણીથી ધોવી તથા વર્ગીકરણ કરી ચોક્કસ વજન (૫ કિલો)ની સરખી લંબાઈ, જાડાઈ અને ગુણગત્તાવાળી શીંગોની ભારીઓ કરી વેન્ટિલેટર (કાણાવાળી) કોથળીમાં અથવા જાળીવાળી થેલીમાં પેક કરી બજારમાં વેચાણ માટે મોકલવી. પેકિંગ હવાચૂસ્ત રાખવું.
દરેક ઝાડ જાત પ્રમાણે ૨૫૦ થી ૪00 શીંગો આપે છે. તે મુજબ હેક્ટરે અંદાજે ૩૦ થી ૪૦ ટન ઉત્પાદન મળે છે.
પેકેજિંગઃ:શીંગો ઉતાર્યા બાદ તેને પોલીથીન બેગમાં પેક કરવી જોઈએ જેથી તેના વજનમાં ઓછામાં ઓછી ઘટ આવે છે તેમજ ૧૫ દિવસ સુધી સંગ્રહી શકાય છે. ઉપરાંત પોલીથીન બેગમાં પેક કરવાથી તેમાં અન્ય પેકિંગ કરતાં વધુમાં વધુ કેરોટીન અને એસ્કોરબિક એસિડનું પ્રમાણ જોવા મળેલ હતું.
સંગ્રહ:: ૭ થી ૮ સે. તાપમાન અને ૭૦ થી ૭૫% સાપેક્ષ ભેજ.
નિકાસ માટેના ધારાધોરણો : :૩૦ સે.મી. લાંબી શીંગ કાણાંવાળા પૂઠાના કાર્ટનમાં પ થી ૮ કિલોના પેકિંગમાં મોકલવી.
અથાણું, પાનનો પાઉડર, શીંગના માવાનો પાઉડર, કેસુલ, મોરીંગા ટી, મોરીંગા ઓઈલ, મોરીંગા ક્રીમ વગેરે બનાવટો બનાવી શકાય છે.
સ્ત્રોત: ડિસેમ્બર-ર૦૧૭ વર્ષ : ૭૦ અંક : ૮ સળંગ અંક : ૮૩૬,કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020