શકકરીયાંનો કંદ એ મૂળનું સંગ્રહક રૂપાંતર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક તરીકે અને સ્ટાર્ચ તથા આલ્કોહોલ બનાવવામાં થાય છે. કંદમાં સ્ટાર્ચ, શર્કરા તથા વિટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલાં છે. પીળા અને નારંગી રંગના ગરવાળા કંદમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. સામાન્ય રીતે લીલાં વેલાનો ઉપયોગ ઢોરના ચારા તરીકે થાય છે. ગુજરાતમાં ખાસ કરીને ખેડા, મહેસાણા અને બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તેનું વાવેતર વધુ થાય છે. રાજયમાં કુલ ૧૭00 હેકટર વિસ્તારમાં શકકરિયાની ખેતી થાય છે.
પાકના ચાર થી પાંચ માસ લાંબા વૃધ્ધિકાળ દરમ્યાન સામાન્ય ગરમ હવામાન જરૂરી છે. પાકની વૃધ્ધિમાં અને કંદના વધુ ઉત્પાદન માટે ૨૧ થી ૨૭°સે. વચ્ચેનું ઉષ્ણતામાન વધુ માફક આવે છે. વધુ વરસાદ અને લાંબા પ્રકાશ અવધિના દિવસોમાં વેલાની વૃધ્ધિમાં વધારો થાય છે અને કંદનું ઉત્પાદન ઘટે છે. સારો વહેંચાયેલો વરસાદ અને તડકાવાળું હવામાન શકકરિયાની ખેતી માટે જરૂરી છે. શકકરિયાનો પાક શુષ્ક હવામાન સહન કરી શકે છે. ઉપરાંત તે પાણીની અછતનો પ્રતિકાર કરી શકે છે, પરંતુ હિમથી પાકને નુકશાન પહોંચે છે.
શકકરિયાંના પાકને ગોરાડું પ્રકારની જમીન વધુ માફક આવે છે. તેમ છતાં સારાં નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં પણ તેનું વાવેતર થાય છે. ભારે કાળી જમીનમાં કંદની વૃધ્ધિ અવરોધાય છે. ઉપરાંત આવી જમીનમાં કાપણી વખતે મજુરી ખર્ચ પણ વધુ આવે છે. રેતાળ જમીનમાં શકકરિયાના કંદ પાતળા અને લાંબા થાય છે. જયારે વધુ પડતી ફળદ્રુપ જમીનમાં શકકરિયાંની વાનસ્પતિક વૃધ્ધિ વધુ થાય છે અને કંદની વૃધ્ધિ ઓછી થાય છે.
વર્ષા, કોંકણ, અશ્વિની, શ્રી નંદીની, શ્રી વર્ધિની, શ્રી રેથના, શ્રી ભદ્રા, શ્રી અરૂણ, શ્રી વરૂણ, પુસા સફેદ, પુસા સુનહરી, પુસા લાલ, ક્રોસ-૪, સીઓ-૧ અને સીઓ-ર, રાજેન્દ્ર સકર કંદ, કાલમેઘ, કલેકશન-૭૧, કમલા સુંદરી, ગૌરી, સીઓ-૩, સીઓ-૪
ફળ સંશોધન કેન્દ્ર, નવસારી ખાતેથી શકકરિયાની બે જાતો કલેકશન-૭૧ અને ક્રોસ-૪ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.
સામાન્ય રીતે શકકરિયાંની રોપણી અગાઉની મોસમમાં વાવેલ શકકરિયા પાકની કાપણી વખતે કંદ ખોદી લીધા પછી મળતાં વેલાના ટૂકડાથી કરવામાં આવે છે. પરંતુ શકકરિયાંનું સારી ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મેળવવા રોપણી અગાઉ પસંદગીના વેલા ધરૂવાડીયામાં તૈયાર કરવા જોઈએ, જે માટે શકકરિયાંની કાપણી વખતે જે તે જાતના ગુણધર્મો ધરાવતા મધ્યમ કદનાં તંદુરસ્ત રોગ-જીવાત મુકત કંદ પસંદ કરી ધરૂવાડીયામાં રોપવા. એક હેકટરના વાવેતર માટે 100 ચો.મી. વિસ્તારમાં પ્રથમ ધરૂવાડિયું બનાવવું જરૂરી છે. રોપણીના સમયથી ત્રણ માસ અગાઉ તૈયાર કરેલ ધરૂવાડીયામાં 50 સે.મી.ના અંતરે ચાસ ઉઘાડી આ ચાસમાં ૨૫ સે.મી.ના અંતરે ૮ થી ૧0 સે.મી. ઉંડાઈએ રોપવા. જે માટે પ0 થી 50 કિ.ગ્રા. કંદ પૂરતાં છે. રોપણી પછી જરૂરી પિયત, નીંદણ અને રોગ-જીવાતના નિયંત્રણના પગલાં લેવા. આમ રોપેલ કંદમાંથી તૈયાર થયેલ વેલા ૪૦ થી ૪૫ દિવસ પછી કાપી, તેમાંથી ર0 થી 30 સે.મી. લંબાઈના ટૂકડા કરી અલગથી તૈયાર કરેલ ધરૂવાડીયામાં 50 * ૨૫ સે.મી.ના અંતરે રોપવા. એક હેકટરની રોપણી માટે પ00 ચો.મી. વિસ્તારમાં આ મુજબના ટૂકડા રોપવા. લગભગ ૪૦ થી ૪૫ દિવસ પછી આ બીજીવારના ધરૂવાડીયામાં રોપેલ ટૂકડામાંથી તૈયાર થયેલ નવા વેલા શકકરિયાની રોપણી માટે ઉપયોગમાં લઈ શકાય છે. રોપણી માટે વેલાના ટોચના ભાગમાંથી તૈયાર કરેલ ર0 થી 30 સે.મી. લંબાઈના ટૂકડા સારા ગણાય છે.
બીજનો દર: શકકરિયાના એક હેકટરના વાવેતર માટે ૧૫00 કિ.ગ્રા. જેટલા વેલા જરૂરી છે.
શકકરિયાની રોપણી હલકી તેમજ સારાં નિતારવાળી જમીનમાં સપાટ કયારામાં કરવામાં આવે છે. જયારે ભારે જમીનમાં ૪૫ થી ૬0 સે.મી.ના અંતરે તૈયાર કરેલ નીકપાળા ઉપર અથવા ૬૦ સે.મી. પહોળા ગાદી કયારાની બંને બાજુઓ ઉપર ર0 થી ર૫ સે.મી.ના અંતરે વેલાનાં ટૂકડાંઓ રોપી કરવામાં આવે છે. રોપણી માટે ૨૫ થી 30 સે.મી.ના લંબાઈના ટૂકડા તૈયાર કરવા. દરેક ટૂકડામાં ઓછામાં ઓછી ૪ થી પ ગાંઠો હોવી જોઈએ. ટૂકડાની વચ્ચેની ગાંઠો જમીનમાં ૫ થી ૬ સે.મી. ઉડી રહે અને બંને છેડા તરફની એક-એક ગાંઠ જમીનની બહાર રહે તે રીતે રોપણી કરવામાં આવે છે. કેટલીકવાર ટૂકડાની ઉભી અથવા આડી રોપણી પણ કરવામાં આવે છે. શકકરિયાંનું શિયાળું વાવેતર ઓકટોબર-નવેમ્બર માસમાં કરવામાં આવે છે, જયારે ચોમાસુ વાવેતર જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે.
ખાતર: હેકટર દીઠ ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર પ્રાથમિક ખેડ વખતે જમીનમાં આપી બરાબર ભેળવી દેવું.
શિયાળું પાકમાં ૧૦ થી ૧૨ દિવસના અંતરે પાણી આપવું. ચોમાસુ પાકમાં વરસાદ ખેંચાય અને જરૂરિયાત જણાય તો જ પિયત આપવું, રોપણી પછીના છઠ્ઠા અઠવાડિયા દરમ્યાન પાકને પાણી આપવું અતિ આવશ્યક છે. આમ શકકરિયાંના પાકમાં જમીનની જાત, ઋતુ, પાકની અવસ્થા વગેરે મુદ્દા ધ્યાનમાં લઈ સમયસર પિયત આપવું જોઈએ.
રોપણી પછીના ત્રીજા અઠવાડિયાથી વેલાની ઝડપી વૃધ્ધિ થાય છે. એટલે પાકની શરૂઆતની અવસ્થામાં ર થી 3 વાર ગોડ અથવા આંતરખેડ કરવાથી નીંદણનું નિયંત્રણ થાય છે અને થડ પાસે માટી ચઢાવવાથી કંદ સારાં બેસે છે.
જીવાત: શકકરિયાંના પાકમાં શકકરિયાંનું વાંચવું અને પાન ખાનારી ઈયળ, આ બે જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
રોગ:શકકરિયાંના પાકમાં સૂકારો અથવા પ્રકાંડનો સડો, કાળા સડો, અને પાનનાં ટપકાંના રોગથી નુકસાન થાય છે. પરંતુ આપણાં વિસ્તારમાં શકકરિયાંના પાકમાં કોઈ ભયંકર રોગ લાગતો નથી.
શકકરિયાંના કંદ કાપણી માટે તૈયાર થાય તે વખતે વેલા અને પાન પીળાશ પડતાં રંગના થાય છે. તેમજ ઉભા પાકમાંથી કંદ ખોદી તેને કાપવાથી દૂધ નીકળે છે, જે સૂકાય ત્યારે કંદની કાપેલી સપાટી ઉપર કાળા ડાઘ જોવા ન મળે તો તે કંદ ખોદવા માટે તૈયાર થયાનું ચિન્હ છે. સામાન્ય રીતે સાડાચાર થી પાંચ માસમાં પાક તૈયાર થાય છે. કાપણીનાં એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવાથી જમીનમાંથી કંદ ખોદવાનું સરળ બને છે. કાપણી પહેલાં શકકરિયાંના વેલા કાપી લઈ ત્યારબાદ કોદાળી અથવા ત્રિકમથી કંદ ખોદવામાં આવે છે. કંદ ખોદતી વખતે કંદને ઈજા ન પહોંચે તે ખાસ જરૂરી છે. કંદ ખોદયા પછી તેનાં ઉપરની માટી બરાબર સાફ કરી ઈજા પામેલ, રોગ-જીવાતથી નુકસાન પામેલ તથા નાના કદના કંદ જુદાં પાડી એકસરખા કદના કંદ ટોપલામાં ભરી બજારમાં મોકલવાથી સારો ભાવ મળે છે.
સ્ત્રોત : સંશોધન વૈજ્ઞાનિક, શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂ. કૃ. યુ, જૂનાગઢ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/5/2019
શકકરિયાં વિશેની માહિતી આપવામાં આવી છે