অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈસબગુલ - એક અગત્યનો રોકડીયો પાક

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ' કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધાજ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્ત્વનો પાક છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતમાં ૯૧00 હેક્ટર વિસ્તાર ઈસબગુલની ખેતી હેઠળ હતો જેમાંથી ૧૦,૯૨૦ મે. ટન ઉત્પાદન થયું હતું. ઉપરાંત રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૫૧૬માં ૩,૫૫,૫૯૫હે. વિસ્તાર ઈસબગુલની ખેતી હેઠળ હતો જેમાંથી ૧, ૧૭,૫૮૭ મે. ટન ઉત્પાદન થયું હતું. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મધ્ય પ્રદેશ તથા હરિયાણામાં પણ છેલ્લા થોડા વર્ષોથી તેની ખેતી શરૂ થઈ છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ જીલ્લાઓમાં તેનું વાવેતર થાય છે.

ઈસબગુલના બીજમાંથી સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલ ભૂસી છે જે બીજનો ૩૦% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તેમાં પ % જેટલું આછા પાતળા રંગનું તેલ, ૬.૮ % ભસ્મ તથા ૮.૩ % ભેજ હોય છે. બીજમાંથી ભૂસી ભૌતિક પ્રક્રિયાથી છૂટી પાડવામાં આવે છે. ભૂસીમાં ભેજ સંગ્રહ કરવાના ગુણધર્મને કારણે તેના ઉપયોગ મળબંધ કરની દવા તરીકે કરવામાં આવે છે. તે અમીબા અને જીવાણુઓ દ્વારા થતાં કાયમી મરડામાં પણ ઉપયોગી છે. તે કેલરી મુક્ત છે. તેના રેસાઓ આંતરડાના હલનચલનને ઉત્તેજીત કરે છે. આથી કબજીયાત અને બીજા કેટલાક આંતરડાના રોગોને દૂર કરવા માટે તે વાપરવામાં આવે છે. વળી તેના ઉપયોગથી માનવ શરીર ઉપર બીજી કોઈ આડ-અસર થતી નથી એવું જાણવામાં આવ્યું છે. તેના બીજ શીતળતા આપી શકે તેવા ગુણધર્મો ધરાવે છે અને તેના ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપેથી ચિકિત્સાઓમાં કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂસીનો ઉપયોગ પાચનતંત્ર અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાના ચાંદા, મસા અને ગોનોરિયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે કરી શકાય છે. ગર્ભપાત વખતે ગર્ભપાત તેમજ યોનિમાર્ગના વિસ્તરણ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવા સંશોધન થયું છે. ઔષધિય ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય તેમ છે. ભૂસીમુકત બીજમાં ૧૭ થી ૧૯ % પ્રોટીન હોય છે જેનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.

ઈસબગુલની નિકાસ મહદ્ અંશે યુ.એસ.એ. પશ્ચિમ જર્મની, બ્રિટન અને ફ્રાન્સમાં કરવામાં આવે છે. તે સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધિય પાક છે. તેની કુલ વાર્ષિક નિકાસ વધીને હાલમાં લગભગ રૂપિયા ૧૧૨૬ કરોડ થઈ છે.

જમીન અને આબોહવા

ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે. તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકુળ નથી. તેને સૂકુ અને ઠંડુ હવામાન માફક આવે છે.

વાવણી સમય

આ પાકની વાવણી ૨૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. વહેલી વાવણી અને ને પણ ઊંચા બીજના દરે કરવામાં આવે તો તળછારાનો રોગ આવવાની શક્યતાઓ વધે છે. વાવણી મોડી કરવાથી શિયાળામાં વૃદ્ધિ માટેનો ગાળો ઓછો મળે છે અને માર્ચ-એપ્રિલમાં થતાં કમોસમી વરસાદને કારણે ઈસબગુલના બીજ ખરી પડવાની શક્યતાઓ વધે છે. પાકની પરિપક્વતાના સમયે જો હવામાન ભેજવાળુ હોય તો તેના બીજ ખરી પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વધુ ઝાકળ તથા વરસાદના છાંટા પડવાથી પણ તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક તૈયાર થાય તે સમયે જેમ વરસાદ વધુ તેમ છોડ પરથી વધુ બીજ ખરી પડે છે.

ખેડ

ઈસબગુલના સારા સ્કૂરણ માટે જમીન સારી રીતે ખેડાયેલી અને નીંદણમુકત તેમજ ઢેફારહિત હોવી જોઈએ. હળ અને કરબથી કરવાની ખેડની સંખ્યાનો આધાર જમીનના પ્રકાર, અગાઉનો પાક અને નીંદણના પ્રમાણ ઉપર રહે છે. જમીનનું બંધારણ, ખેતરનો ઢાળ અને પિયતની વ્યવસ્થા ધ્યાનમાં રાખી યોગ્ય માપના ક્યારા બનાવવા. હલકી જમીન માટે ૮ મીટર x ૩ મીટરના ક્યારા અથવા તેનાથી નાના કયારા અનુકૂળ રહે છે.

ખાતર

આ પાકને ઓછા નાઈટ્રોજનની જરૂરિયાત છે. સામાન્ય રીતે ૧૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ હેક્ટરદીઠ પાયાના ખાતર તરીકે છેલ્લી ખેડમાં આપવામાં આવે છે. વાવણી પછી ૩૦ દિવસે ફરીથી ૧૫ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવામાં આવે છે. જો આ પાકમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો હોય તો ચોમાસામાં શરપંખાનો લીલો પડવાશ કરી શિયાળામાં ઈસબગુલની વાવણી કરવામાં આવે તો ઈસબગુલ બીજનું ૨૭ % જેટલું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

બીજ અને વાવણી

વધુ ફૂરણના ટકા મેળવવા માટે બીજ અગાઉની ઋતુમાંથી તૈયાર કરેલ જથ્થામાંથી લેવું જોઈએ. સામાન્ય પરિસ્થિતિમાં સંગ્રહ કરેલ જૂના બીજ ફૂરણશક્તિ ગુમાવે છે. બીજને તળછારા રોગના નિયંત્રણ માટે મેટાલેકઝીલ રૂપ એસડી ૪ ગ્રામકિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપવી.ઈસબગુલના બી નાના અને હલકાં હોય છે. માટે વાવતા પહેલાં તેને જરૂરી રેતી અથવા ચાળેલા છાણિયા ખાતર સાથે ભેગા કરવામાં આવે છે. બીજને પૂકીને વાવણી કરવી. પૂક્યા બાદ બીજને માટી સાથે ભેળવવા સાવરણી ફેરવવામાં આવે છે. એકસરખા ફૂરણ માટે સાવરણો એક જ દિશામાં બીજ ઊંડા દબાઈ ન જાય તે રીતે ફેરવવો જરૂરી છે.

પિયત

બીજને વાવણી પછી પ્રથમ પાણી તૂરત જ આપવું. પ્રથમ પાણી ખૂબ ધીમી ગતિએ આપવું જરૂરી છે. ઝડપી ગતિએ પાણી આપવામાં આવે તો બીજ કયારાની એક દિશામાં ખેંચાઈ જાય છે અને બીજની વહેંચણી તથા તેનું ફૂરણ એકસરખું થતું નથી. સામાન્ય રીતે પાણી આપ્યા પછી ૬ થી ૭ દિવસે બીજ ઉગી નીકળે છે. જો બીજ બરાબર ઉગ્યા ન હોય તો બીજુ પાણી જમીનનું | ઉપલું પડ પલળે તેટલું આપી દેવું કે જેથી ન ઉગેલા બીજ પોચી થયેલ જમીનમાં ઉગી શકે. ત્યારપછીના પાણી પાકની જરૂરિયાત પ્રમાણે આપવા. આ પાક માટે કુલ ૪ થી પ પિયતની જરૂર છે. ટૂંડીઓ સૌથી વધુ ‘દૂધ અવસ્થા એ હોય ત્યારે છેલ્લું પાણી આપવું. આણંદ અને વિજાપુર ખાતે ત્રણ વર્ષ સુધી થયેલા અખતરા પરથી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે વાવણી સમયે પહેલું પાણી આપ્યા બાદ ૩૦ દિવસે બીજું અને 90 દિવસે ત્રીજુ પાણી (એટલે કે કુલ ત્રણ પિયત) આપવામાં આવે તો પણ ઉતારામાં કોઈ સાર્થક ફરક પડતો નથી.

નીંદણ નિયંત્રણ

પાકની વાવણી પછી ર૦ થી રપ દિવસ બાદ પ્રથમ નીંદામણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પાકના તબક્કાના બે મહિના દરમ્યાન ૨ થી ૩ વખત નીંદામણ કરવું જરૂરી છે. પાછળથી નીંદામણ કરવાની જરૂર રહેતી નથી. ઈસબગુલના બીજની વાવણી પૂંકીને કરવામાં આવતી હોવાથી નીંદામણ ખૂબ જ ખર્ચાળ બની જાય છે. જુદી જુદી નીંદણનાશક દવાઓમાં આઈસોકોટ્યુરોન સક્રિય તત્ત્વ ધરાવતી દવા નીંદણનાશક તરીકે ઘણી અસરકારક છે. આઈસોપ્રોટ્યુરોન નીંદણનાશક દવાના સક્રિય તત્વોનો પ00 ગ્રામ જથ્થો પ00 લિટર પાણીમાં મિશ્ર કરી એક હેકટર વિસ્તારમાં છંટકાવ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાવણી માટે જમીન તૈયાર કરી, ક્યારા તથા ઢાળીયા બનાવી દેવા અને ત્યારબાદ દવાનો છંટકાવ આખા ખેતરમાં કરવો. દવા પાળીઓ પર પણ છાંટવી જેથી નીંદણ વધુ થાય નહીં. દવા છાંટવાનું કામ પૂરું થયા બાદ ૪-૫ દિવસ પછી ઈસબગુલની વાવણી કરવી અને પાણી આપવું. ઈસબગુલની વાવણી બાદ બીજા દિવસે પણ આ દવાનો છંટકાવ કરી શકાય છે.

રોગ નિયંત્રણ

તળછારો: આ રોગની શરૂઆત સામાન્ય રીતે ડૂડી દેખાવાના સમયે થાય છે. પાનની ઉપરની સપાટીએ નાના ડાઘ પડે છે જે ધીમે ધીમે મોટા થાય છે. પાનની નીચેની બાજુએ રાખોડી રંગની રૂંવાટી જેવી રોગપ્રેરક ફૂગ દેખાય છે. રોગવાળા પાન પીળાશ પડતા હોઈ છેવટે ભૂખરા કથ્થાઈ રંગના થઈ ચીમળાઈને સુકાઈ જાય છે. રોગનું પ્રમાણ વધારે હોય તો ડૂડી વાંકીચૂકી થઈ ગૂંચળું વળી જાય છે. રોગવાળા છોડનો વિકાસ બરાબર થતો નથી. ટૂંડી કદમાં નાની રહે છે અને દાણા ઓછા બેસે છે. જે ગુણવત્તામાં હલકા હોય છે પરિણામે બીજનું કુલ ઉત્પાદન ઓછું મળે છે. આ રોગ ઝાકળવાળા ઠંડા અને વાદળછાયા વાતાવરણમાં વધુ પ્રસરે છે.

નિયંત્રણ: ડૂડી નીકળવાના સમયે વાવણી બાદ ૪૦, પપ અને ૭૦ દિવસે અનુક્રમે મેટાલેકઝીલ ૦.૨ ટકા મેન્કોઝેબ ૦.૩ ટકા અને ફરીથી મેન્કોઝેબ ૦.૩ ટકા એમ ત્રણ છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે. સંશોધનના અખતરા પરથી ફલિત થયેલ છે કે, ઈસબગુલના પાકમાં તળછારાના રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ઈસબગુલનું વાવેતર નવેમ્બર માસના છેલ્લા અઠવાડીયામાં કરવું.

જીવાત નિયંત્રણ

મોલોમશી: બચ્ચા તથા પુષ્ક મોલો પાનની નીચે તથા કુમળી દાંડી રહીને ચૂસે છે. તેના શરીરમાંથી ચીકણો રસ સતત ઝરે છે જે પાન પર પડતાં તેના ઉપર કાળી ફૂગ દેખાય છે. જેનાથી પ્રકાશસંશ્લેષણમાં અવરોધ થવાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. નિયંત્રણ : આ જીવાતના માટે ડયામીથોએટ ૩૦ ઈસી દવા ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૪૦ ઈસી દવા ૮ મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરીને છાંટવી.

કાપણી

આશરે ૧૧૦ થી ૧૩૦ દિવસે પાક તૈયાર થયે માર્ચ-એપ્રિલમાં કાપણી કરવામાં આવે છે. પાક તૈયાર થાય ત્યારે છોડ પીળા થઈ જાય છે અને હૂંડીઓ આછા ગુલાબીથી ભૂખરા રંગની દેખાય છે. માત્ર હાથથી દબાવતાં પણ ડૂડીમાંથી પાકેલા દાણા બહાર આવે ત્યારે સમજવું કે પાક કાપણી લાયક તૈયાર થયો છે. કાપણી વખતે આકાશ વાદળ વગરનું અને હવામાન સૂકું હોવું આવશ્યક છે. કાપણી વખતે છોડ પર ઝાકળ હોય ત્યારે કાપણી વખતે દાણા ખરી પડે છે. આથી ઝાકળ ઉડી જાય એટલે કે સવારે ૧૦ વાગ્યા પછી જ કાપણી કરવી જોઈએ. જમીનની નજીકથી છોડને દાતરડા વડે જ કાપણી કરવી જોઈએ. જયાં જમીન વધુ રેતાળ હોય ત્યાં જમીનમાંથી મૂળ સાથે પણ છોડ ઉપાડી લેવામાં આવે છે. કાપણી પછી તૂરત જ છોડવાઓને ગાંસડીમાં બાંધી ખળામાં લઈ જઈને છૂટા પાડવામાં આવે છે. કાપણી પછી તૂરત જ છોડવાઓને ગાંસડીમાં બાંધી ખળામાં લઈ જઈને છૂટા પાથરવામાં આવે છે. ઈસબગુલને ખળામાં લાવ્યા બાદ બે દિવસ સુધી રાખી મૂકવું. ત્યારબાદ ખળામાં બળદ અગર ટ્રેક્ટરથી પગર કરવું. સવારમાં વહેલા પગર કરવાથી ભેજને લઈને દાણા ડૂડીમાંથી તરત જ છૂટા પડી જાય છે. પગર કર્યા બાદ ઉપણીને દાણા સાફ કરવામાં આવે છે. ઘાસનો ઉપયોગ ઢોરના ખોરાક તરીકે પણ થાય છે.

ઉત્પાદન

ગુજરાત ઈસબગુલ-૧ અને ગુજરાત ઈસબગુલ-ર જાતો આણંદ કેન્દ્ર ખાતેથી અને ગુજરાત ઈસબગુલ-૪ સરદાર કૃષિગનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના જગુદણ  જિ. મહેસાણાકેન્દ્ર દ્વારા બહાર પાડેલી સુધારેલી જાતો છે. તેનું ઉત્પાદન ૮૦૦ થી ૧૨00 કિ.બીજ પ્રતિ હેકટર મળે છે.

સ્ત્રોત: ડિસેમ્બર-ર૦૧૭ વર્ષ : ૭૦ અંક : ૮ સળંગ અંક : ૮૩૬,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate