অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વૈજ્ઞાનિક ખેતીની દૃષ્ટિએ રાઈનું ઉત્પાદન વધારવા માટેના અગત્યના પરિબળો

રાઈ એ ખાદ્ય તેલીબિયા વર્ગનો અગત્યનો શિયાળુ પાક છે. મગફળી પછી તેલીબિયા પાકોમાં રાઈનો બીજો ક્રમ આવે છે. બીજા શિયાળું પાકોની સરખામણીમાં આ પાક ઓછા ખર્ચે વધુ ચોખ્ખી આવક આપે છે અને લાંબા સમય સુધી સંગ્રહી કરી શકાય છે. હાલના સંજોગોમાં ખાદ્યતેલની માંગને પહોંચી વળવા માટે સરકાર તરફથી ખેડૂતોને જુદા જુદા તેલીબિયાં પાકો વાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ કેટલાક અગત્યના પરિબળોને લીધે તેલીબિયાં પાકોમાં સંતોષકારક સરેરાશ ઉત્પાદન મેળવી શકાતું નથી જે પૈકીના મહત્ત્વના પરિબળોની વિગત આ લેખમાં આપેલ છે જેથી રાઈની વૈજ્ઞાનિક ખેતી અપનાવી સરેરાશ - ઉત્પાદનનું સ્તર ઊંચુ લાવી શકાય.

જમીનની પસંદગી અને તૈયારી :

રાઈના પાકને રેતાળ ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે અને ઓછા નિતારવાળી જમીન રાઈના પાકને માફક આવતી નથી. વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકના વાવેતર માટે વધુ અનુકૂળ આપે છે. મધ્યમ ક્ષારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે લઈ શકાય છે.

ઉત્તર ગુજરાત હવામાન વાળા વિસ્તારમાં ગુવાર (ખરીફ) - રાઈ (શિયાળુ) - બાજરી (ઉનાળુ) અથવા મગ(ખરીફ)રાઈ (શિયાળુ) - બાજરી (ઉનાળુ) જયારે દક્ષિણ સૌરાષ્ટ્ર હવામાનવાળા પિયતની સગવડ ધરાવતા વિસ્તારમાં મગફળી (ખરીફ) - રાઈ (શિયાળુ)- મગફળી (ઉનાળુ) વધુ નફો મેળવવા સારું યોગ્ય અને અનુકૂળ પાક અગ્રક્રમતા માલૂમ પડેલ છે.

સામાન્ય રીતે રાઈનો પાક બિનપિયત અથવા પિયત પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. જયારે રાઈના પાકનું બિનપિયત પાક તરીકે વાવેતર કરવાનું હોય ત્યારે ચોમાસું ઋતુમાં ખેતર પડતર રાખી અવાર-નવાર જમીનના પ્રકાર પ્રમાણે વરાપ થયેથી હળ અને કરબ વડે ખેડ કરી સમાર મારી જમીનમાં વધુ ભેજ સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

પિયત પાક ચોમાસુ પડતર તેમજ ચોમાસુ વાવેતર કરેલી પાક લઈ લીધા પછીની જમીનમાં અગાઉ દર્શાવેલ પાક પદ્ધતિ પ્રમાણે પાક લઈ લીધા પછીની જમીનમાં અગાઉના પાકના જડીયા મૂડિયા વગેરે દૂર કરી વાવણી પહેલા ઓરવાણ આપીને વરાપ અને જમીનના પ્રકાર પ્રમાણે કરબ અને હળની | એક-બે ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરવી. સારા સ્કૂરણ માટે જમીન ભરભરી બનાવવી ખાસ જરૂરી છે.

સુધારેલ જાતોની પસંદગી :

કૃષિ યુનિવર્સિટી દ્વારા રાઈની વરૂણા, ગુજરાત રાઈ-૧, ગુજરાત રાઈ-૨, ગુજરાત રાઈ-૩ અને ગુજરાત રાઈ-૪ જેવી જાતો વિકસાવવામાં આવેલ છે. જયારે રાઈની બિનપિયત પાક તરીકે અથવા જયાં ઓછા પિયતની સગવડ હોય ત્યાં ગુજરાત રાઈ-૧ ની પસંદગી કરવી કારણ આ જાતને ઓછા પિયતની જરૂરી રહેતી હોય છે અને વહેલી પાકતી જાત છે. ગુજરાત રાઈ-૪ ગુજરાત રાઈ-૩ કરતાં ૧૫ થી ૧૭ ટકા વધુ ઉત્પાદન આપતી છેલ્લે શોધાયેલ જાત છે.

વાવણીનો યોગ્ય સમય :

સામાન્ય રીતે પાકની વાવણીનો ઉત્તમ સમય ઓકટોમ્બર માસની ૧૫ તારીખથી ૨૫ મી તારીખ ગણી શકાય છે. પરંતુ આ સમય દરમ્યાન દિવસનું ગરમીનું પ્રમાણ ઓછું હોય તે જોવું ખાસ જરૂરી છે. ઉપરોકત બતાવેલ સમય ગાળા કરતા વહેલી વાવણી કરવાથી ગરમીને કારણે છોડ બળી જવાથી હેકટર, દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવી શકાતી નથી. અને સદરહુ ગામથી મોડી વાવણી કરવાથી રોગ અને જીવડાનો ઉપદ્રવ વધે છે પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.

વાવણી અંતર, બિયારણનો દર અને બીજ માવજત :

બે ચાસ વચ્ચે ૪૫ સે.મી.નું અંતર રાખી બીજ ૩થી ૪ સે.મી.ની ઊંડાઈએ પડે તે રીતે દંતાળની મદદથી વાવણી કરવી આ માટે ૩ થી ૩.૫ કિલો બિયારણની જરૂરીયાત રહે છે. રાઈ સાથે રજકાનો (બીજ માટે) મિશ્રપાક લેવો જેમાં રાઈનું ૩.૫ કિ.ગ્રા. બીજ + રજકાનું ૫ કિ.ગ્રા. બીજ મિશ્ર કરી ચાસમાં વાવણી કરવી અથવા રાઈને પ્રથમ પિયત આપતી વખતે હેકટરે ૫ કિ.ગ્રા. રજકાનું બીજ રાઈના પાકમાં પૂંખીને વાવવું. રાઈની કાપણી પછી રજકાની (લીલુ ઘાસ) કાપણી કરી હેકટરે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન આપી પિયત આપવું અને બીજ ઉત્પાદન માટે છોડી દેવા. આ પદ્ધતિથી રાઈ પછી ઉનાળુ બાજરીનો પાક લેવા કરતા હેકટર દીઠ આર્થિક વળતર વધુ મળે છે અને પાણીનો બચાવ થાય છે.

વાવણી પહેલાં બીજને ૮ થી ૧૦ કલાક પાણીથી ભીજવી રાખ્યા બાદ છાંયામાં સુકવી પ્રતિ કિલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ દવાનો પટ આપી વાવણી કરવી, બીજનો દર ઓછો હોવાથી એકસરખો ઉગાવો થાય તે હેતુથી બીજની સાથે રેતી અથવા ખોળ ભેળવી વાવેતર કરવું.

સેન્દ્રિય/રાસાયણિક ખાતર :

બિનપિયત પાક લેવાનો થાય તો ચોમાસુ શરૂ થતા પહેલા જયારે પિયત પાક માટે ખેડ કાર્યો શરૂ કરતા પહેલા ૨૦ થી ૨૫ ગાડી છાણિયું અથવા કમ્પોસ્ટ ખાતર આપી જરૂર મુજબની ખેડ કરવી જેથી સેન્દ્રિય ખાતર જમીનમાં ભળી જશે.

જમીનનું રાસાયણિક પૃથક્કરણ કરાવ્યા બાદ જ રાસાયણિક ખાતર આપવાની પ્રથા અપનાવવી જોઈએ. આમ છતાં સંશોધનના પરિણામોના આધારે જાણી શકાયું છે કે રાઈના પાકને ખાતર તરીકે વાવેતર વખતે હેકટર દીઠ રપ કિલો નાઈટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ તત્વ આપવા માટે ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફટ અથવા ૫૪ કિલો યુરિયા અને ૩૧૩ કિલો સીંગલ સુપર ફોસ્ફટ અથવા ૧૦૮ કિલો ડી.એ.પી. અંતે ૧૨ કિલો યુરિયા અથવા ૨૫ કિલો એમોનિયમ સલ્ફટનો ઉપયોગ કરવો.

પૂર્તિ ખાતર માટે ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન પાક જયારે ફૂલદાંડી અવસ્થાએ હોય ત્યારે એટલે કે અંદાજે વાવણી પછી ૩પ થી ૪૦ દિવસે આપવો. આ સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. આ માટે રપ કિલો યુરિયા અથવા ૨૨૫ કિલો એમોનિયમ સલ્ફટનો ઉપયોગ કરવો.

જમીનમાંથી ગંધકની ઉણપ હોય તો હેકટરે ૨૫૦ કિ.ગ્રા. પ્રમાણે ચિરોડી (જિપ્સમ) ના રૂપમાં વાવણી સમયે આપવો અથવા ૪૦ કિ.ગ્રા. ગંધક તત્ત્વ આપવું અને રાસાયણિક ખાતરોમાં સિંગલ સુપર ફોસ્ફટ પસંદ કરવું. લોહ અને જસતની ઉણપવાળી જમીનમાં હેકટર દીઠ ૧૫ કિલો ગ્રામ ફેરસ સલ્ફટ અને ૮ કિલોગ્રામ ઝિંક સલ્ફટ જમીનમાં વાવણી સમયે આપવો. ગુવાર,મગ-રાઈ-બાજરી (ઉનાળુ) પાક પદ્ધતિમાં રાઈ પાકને હેકટરે ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો.

આંતરખેડ અને નીંદામણ :

સામાન્ય રીતે બિનપિયત પાકમાં એકાદ આંતરખેડ તેમજ નીંદામણની જરૂર પડે છે.જયારે પિયત પાકમાં વાવણી બાદ ૨૦થી ૨૫ દિવસે પાકની હરોળમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી.નું અંતર રહે તે રીતે પારવી નાખવો જોઈએ. ત્યારબાદ જ પ્રથમ પિયત આપવું જોઈએ, પાક ૨૦ સે.મી. ઊંચાઈનો થાય ત્યાર પછી જરૂર પ્રમાણે આંતરખેડ કરી હાથથી નીંદામણ કરવું.જો પારવવાની ક્રિયા મોડી કરવામાં આવે તો પાકની વૃદ્ધિ પર ખરાબ અસર થાય છે અને પાકનું ઉત્પાદન ઘટે છે. શરૂઆતની અવસ્થામાં આ પાકને નીંદણથી મુકત રાખવા માટે રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૦.૯00 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટરે ફલુકલોરાલીન (બાસાલીન) ના સ્વરૂપમાં ૧૦ લિટર પાણીમાં ૪૦ મિ.લિ. લઈને વાવણી બાદ પરંતુ પાક અને નીંદામણના ફૂરણ પહેલા છંટકાવ કરવો.

પિયત વ્યવસ્થા :

જમીનની પ્રત મુજબ બે પિયત વચ્ચેનો ગાળો જાળવો. સામાન્ય રીતે ગોરાડુ કે મધ્યમ જમીનમાં ત્રણ હલકી રેતાળ જમીનમાં પ થી ૬ પિયત આપવા પડે છે. જયારે દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાવાળા વિસ્તાર માટે રાઈના પાકને સાત પિયતના જરૂરીયાત રહે છે. સાત પિયત પૈકી પ્રથમ પિયત કોરાટે વાવેતર કર્યા પછી તુરત જ આપવું અને ત્યારબાદ પાકના સારા ઉગાવા માટે બીજુ પિયત પ્રથમ અઠવાડિયામાં વાવણી પછી છઠ્ઠા દિવસે આપવું અને બાકીના પાંચ પિયત ૧૨ થી ૧૫ દિવસના ગાળે આપવા પિયત આપવાના સમયે જો હવામાન વાદળવાળું હોય તો પિયત થોડું મોડું આપવું કારણ કે આ વખતે પિયત આપવાથી મોલોમશી અને સફેદ ગેરૂનો ઉપદ્રવ વધે છે.

જો મર્યાદિત પિયત પાણીની સુવિધા હોય ત્યારે પાકની પિયતની કટોકટીની અવસ્થાએ અચૂક પિયત આપવું. રાઈના પાકની પિયત કટોકટીની અવસ્થાઓ આ પ્રમાણે છે :

  1. આંતરગાંઠ વિકાસનો સમય (૩૦ થી ૩૫ દિવસે)
  2. ફૂલ આવવા (૪૫ થી ૫૦ દિવસે)
  3. શીંગોમાં દાણાનો વિકાસ થવો (૭૦ થી ૭૫ દિવસે)

પાક સંરક્ષણ :

જીવાતોઃ

રાઈના પાકમાં સામાન્ય રીતે મોલોમશી રાઈની માખી, હીરાફુદુ અને લીલી ઈયળો વગેરે જીવાતોનો ઉપદ્રવ માલૂમ પડે છે.

મોલો-મશી:આ જીવાત છોડના પાન, કુમળા ભાગો અને શીંગોમાંથી રસ ચૂસે છે, પરિણામે   આવા ભાગો પીળા પડી જઈ છોડની વૃદ્ધિ અટકી જાય છે.

નિયંત્રણ મોલોને કાબૂમાં લેવા સારું રાઈનું વાવેતર ભલામણ મુજબ સમયસર કરવું અને જીવાત ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે કોઈપણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લિટર  પાણીમાં ભેળવી, જરૂરીયાત મુજબ છંટકાવ  કરવો. ફોસ્ફામીડોન (ડીમેક્રોન ૪ મિ.લિ.) અથવા ડાયમીથોએટ (રોગર ૧૦ મિ.લિ.) અથવા મોનોક્રોટોફોસ (સુવાક્રોન-૧૨.૫ મિ.લિ.) અને જરૂરીયાત જણાય તો બીજો છંટકાવ ૧૦ થી ૧૨ દિવસે કરવો. મિથાઈલ પેરાથીયોન ૨% (ફોલીડોલ) અથવા કવીનાલફોસ (ઈકાલક્ષ) પાઉડર પ્રતિ હેકટરે ૨૫ કિલો પ્રમાણે છંટકાવ કરવો.

રાઈની માખી :આ માખી ઈયળ અવસ્થાએ નુકશાન પહોંચાડે છે. ઈયળ કાળા રંગની અને શરીર પર પાંચ લાંબા પટ્ટાવાળી હોય છે. આ ઈયળને જરા અડશો કે તુરત તે નીચે ખરી પડી ગૂંચળુ વળી જઈ મરી ગયાનો ઢોંગ કરે છે અને આ ખાસિયતને લઈ સહેલાઈથી ઓળખી શકાય છે.

નિયંત્રણઃઆ જીવાતના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ (સુવાક્રોન ૧૦ મિ.લિ.) અથવા કવીનાલફોસ(ઈકાલક્ષ ૨૦મિ.લિ.)૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મથાઈલ પેરાથીઓન ૨ ટકા (ફોલીડોલ) અથવા કવીનાલફોસ ૧.૫% (ઈકાલક્ષ) પાઉડર પ્રતિ હેકટરે ૨૦ થી ૨૫ કિલો પ્રમાણે છંટકાવ કરવાથી જીવાતને કાબૂમાં લઈ શકાય છે.

રંગીન ચૂસિયાં :આ જીવાત શરીર પર લાલ અને પીળા રંગના ટપકાં સાથે કાળા રંગની હોય છે. જીવાતનું ચપટુ પેટ અને ત્રિકોણાકાર માથાને લઈ સહેલાઈથી ઓળખી શકાય છે. આ કીટક પાનમાંથી રસ ચૂસે છે જેથી પાન પીળા પડી જાય છે. તેને લીધે છોડની વૃદ્ધિ પર માઠી અસર થાય છે તથા ફૂલ અને શીંગોનું પ્રમાણ ઓછું રહે છે પરિણામે ઉત્પાદન ઘટે છે.

નિયંત્રણ :આ જીવાતના નિયંત્રણ માટે મોલોમશીના નિયંત્રણ માટે જણાવેલ શોષક પ્રકાર દવાઓ વાપરવી.

હીરાફુદુ અને લીલી ઈયળ : ઈયળ લીલા રંગની બંને છેડે પાતળી અને છૂટાછવાયા વાળ સાથે સુવાળા શરીરવાળી હોય છે. શરૂઆતની અવસ્થામાં ઈયળ પાનનો લીલો ભાગ ખાઈ ગુજરાન ચલાવે છે. ત્યારબાદ ઈયળ  મોટી થતાં પાનની નીચેની બાજુએ રહી તેમાં કાણા પાડી નુકશાન કરે છે.

નિયંત્રણ :આ જીવાતના નિયંત્રણ માટે રાઈની માખીના નિયંત્રણ માટે સૂચવેલ શોષક પ્રકાર દવાઓનો છંટકાવ કરવો.

રોગોઃ

  • સફેદ ગેરૂ : આ રોગની શરૂઆતમાં પાનના નીચેના ભાગમાં સફેદ અને સહેજ પીળા રંગના ટાંચણીના માથા જેવા ચાઠા પડી જાય છે. આ ચાઠાં થોડા સમય જતાં એક બીજામાં ભેગા મળી મોટા કદના બને છે, જેને લઈ પાન પર અસર થતાં પાન ખરી પડે છે. આ રોગથી ફૂલોનો ભાગમાં વિકૃતિ જોવા મળે છે અને શીંગો બેસતી નથી. જો શીંગો બેસે તો વિકૃત અને પહોળી બની જાય છે. આ રોગના નિયંત્રણ સારૂ પાકનું સમયસર વાવેતર કરવું. અગમચેતીના પગલા તરીકે આ પાક ૩પ થી ૪૦ દિવસનો થાય ત્યારે ઝાયરેબ દવા ૦.૨ ટકા એકલી અથવા કૉપર ઓકઝીકલોરાઈડ સાથે સપ્રમાણમાં મિશ્રણ કરી છાંટવાથી ફાયદો થાય છે. ડાયથેન-એમ. ૪૫ નામની દવા (૦.૨% દ્રાવણ) ૨૦ ગ્રામ પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ઓગાળી છાંટવાથી પણ નિયંત્રણ થઈ શકે છે.
  • ભૂકી છારોઃ આ રોગની શરૂઆતમાં પાન તેમજ છોડની ડાળી અને થડ પરના ભાગો પર ફુગની સફેદ છારી છવાઈ જાય છે. અનુકૂળ વાતાવરણ મળતાં રોગ ઝડપથી ફેલાય છે અને છોડના દરેક પાન પર સફેદ છારી જોવા મળે છે, પાન સુકાઈને ખરી પડે છે, પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.પાકની પાછળ અવસ્થાએ એટલે કે શીંગો ભરાવા માટે તે સમયે  મોટે ભાગે આ રોગ આવતો હોય છે.
  • નિયંત્રણ:આ રોગના નિયંત્રણ માટે પાકમાં ફૂલ બેસવા શરૂ થાય ત્યારે ૩૦૦મેશ ગંધકનો હેકટરે ૨૦ કિલો ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો. આ રોગને અસરકારક રીતે અટકાવવા સારૂ વેટેબલ સલ્ફર ૨ ટકા પ્રમાણે (૨૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી) અથવા ડીનોકેપ ૦.૦૨૫ ટકા પ્રમાણે (પ મિ.લિ. દવા ૧૦લિટર પાણીમાં ભેળવી) કુલ ત્રણ છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.

કાપણી અને સંગ્રહ:

મુખ્ય ડાળીની શીંગોનું પીળું પડવું, શીગોનું છોડના નીચેના પાનનું સૂકાવું અને ખરવું વગેરે બાબતો કાપણી કરવાનો સમય સૂચવે છે. સામાન્ય રીતે રાઈનો પાક ૧૧૦ થી ૧૨૦ દિવસે પાકી જાય છે. રાઈના પાકની કાપણી સવારમાં કરવી જોઈએ. બપોર પછી કાપવામાં આવે તો શીંગો ફાટી જઈ દાણા ખરી પડે છે. કાપણી કરી પાકને તરત જ ખાળામાં લાવી વ્યવસ્થિત ગોઠવી અથવા ખેતરમાં રાખી ૮-૧૦ દિવસ સુધી સુકાવવા દેવો ત્યારબાદ ટ્રેકટર ફેરવી પગર તૈયાર કરવી દાણા છૂટા પાડવા પાડી ઉપણીને દાણા તૈયાર કરવા દાણામાં ૮-૧૦ ટકા ભેજ રહે તેવી રીતે તડકે સુકવીને યોગ્ય રીતે કોથળા ભરીને સંગ્રહ કરવો.

આમ ઉપર જણાવ્યા પ્રમાણે રાઈની ખેતી સમજપૂર્વક કરવામાં આવે તો ખેડૂતો રાઈનું ધાર્યું ઉત્પાદન મેળવી શકશે.

જાન્યુઆરી-૨૦૧૫ વર્ષ : ૬૭ અંક : ૯ સળંગ અંક: ૮૦૧, કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી,આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate