অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાળિયેરીની આધુનિક ખેતી પધ્ધતિ (કલ્પવૃક્ષ)

લોક જીવનમાં લગ્નગીતોથી માંડી અને કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળિયેરને શ્રીફળ શ્રી એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. નાળિયેરીને "કલ્પવૃક્ષ" અથવા "સ્વર્ગના ઝાડ" તરીકે પણ ઓળખાય છે કારણ કે નાળિયેરીના બધા જ ભાગો જેવા કે મૂળ, થડ, પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમજ ઉદ્યોગમાં થાય છે. દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી છે. ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર ૨૦,૯૩૨ હેકટર વિસ્તારમાં છે. નવસારી, વલસાડ, સુરત, જુનાગઢ, કચ્છ અને ભાવનગર જિલ્લાઓમાં નવું વાવેતર થવાની ઉજળી તકો છે.

હવામાન :

આ પાકને દરિયાકાંઠાનું સમથાત હવામાન ઘણું માફક આવે છે. ઉષ્ણતામાનમાં બહુ જ મોટા ફેરફાર ન થતાં જયાં ભેજનું પ્રમાણ બારેમાસ જળવાઈ રહેતું હોય તેવું હવામાન નાળિયેરીનાં ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ છે. જે વિસ્તારનું સરેરાશ ઉષ્ણતામાન ૨૧ સે. થી નીચે રહેતું હોય ત્યાં ઝાડનાં ફૂલના કાતરા નીકળવાનું બંધ થઈ જાય છે.

જમીન:

નાળિયેરીનો પાક નબળી નિતારશકિતવાળી શારીય અને સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ, કાંપવાળી જમીન વધુ અનુકૂળ આવે છે.

નાળિયેરીની જાતો:

નાળિયેરીમાં ત્રણ પ્રકારની જાતો હોય છે. પશ્ચિમ કિનારાની ઉંચી જાત, ઠીંગણી અને હાઈબ્રીડ જાતો પશ્ચિમ કિનારાની ઉંચી જાત, ઠીંગણી (લીલી) અને હાઈબ્રીડ ડી x ટી અને ટી x ડી જાતોના ગુણધર્મો ભિન્ન પ્રકારના છે અને દરેકની અલગ ખાસિયતો છે જે નીચે જણાવેલ કોઠામાં દર્શાવેલ છે.

જાત

ઉચાઈ (મી.)

ફળ આવવાની શરૂઆત

સરેરાશ

ઉત્પાદન (ફળ/ઝાડ/વર્ષ)

સરેરાશ કોપરાનું વજન

(ગ્રામ/ફળ)

અગત્યની ખાસિયતો

પશ્ચિમ કિનારાની ઊંચી

જાત

૧૮-૨૫

૫ થી ૭

૬૦-૭૦

૧૬૫

(૧) પાણી તથા પાકા ફળ માટેની જાત

(૨) પરંપરાગનયનથી ફળ બંધાય છે તેથી

ફળ તથા ઝાડમાં ઘણી ભિન્નતા જોવા

મળે છે

લીલી ઠીંગણી

૧૦-૧૫ ૩.૫ થી ૪

૬૦-૬૫

૯૦

(૧) કાચા પાણી માટેની જાત

(તરોફા માટેની ખાસ જાત)

(૨) સ્વપરાગનયનથી ફળ બંધાય છે.

(૩) માદા ફળો વધુ ઉત્પન્ન કરે પણ

ફળોનું સેટીંગ ઓછું થાય છે.

હાઈબ્રીડ ટી x ડી

૧પ-૨૦

૪ થી પ

૧૦૦-૧૨૦

૧૯૦

પાણી તથા પોકા ફળ માટેની જાતે

હાઈબ્રીડ ટી x ડી

૧પ-૨૦

૪ થી ૪.૫

૧૦૦-૧૨૦

૧૯૦

(૧) લૂમોને ટેકાની જરૂર પડે છે.

(૨) પાણી તથા પાકા ફળ માટેની જાત

ઉપર જણાવેલ જાતોમાંથી હાઈબ્રીડ ડી xટી જાતને ગુજરાત રાજયમાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે.

સંર્વધન :

નાળિયેરીનું સંવર્ધન બીજ દ્વારા તેમજ પરપરાગનયનથી ફલિનીકરણ દ્વારા થતું હોઈ ભિન્નતા ખૂબ જ જોવા મળે છે. રોપ ૯-૧૨ માસની ઉમરનો ૪-૮ તંદુરસ્ત પાનવાળો હોવો જોઈએ.

માતૃઝાડની પસંદગી :

ઝાડ ૨૫ થી ૪૦ વર્ષની ઉમરનું રોગજીવાતથી મુકત હોવું જોઈએ. દર વર્ષે ૧૨ થી ૧૪ નવા પાન નીકળતા હોવા જોઈએ તથા દરેક પાનના કક્ષમાંથી પુષ્પવિન્યાસ નીકળતો હોવો જોઈએ. ઝાડનું થડ સીધું અને ૩૦ થી ૪૦ તંદુરસ્ત પાન ધરાવતું અને પાનની ગોઠવણી છત્રી આકારે થયેલ હોવી જોઈએ. પુષ્પદંડ ટૂંકો અને ઝાડ ૮૦ થી વધુ મોટા ગોળથી લંબગોળ ફળ દર વર્ષે આપતું હોવું જોઈએ.

બીજની પસંદગી :

પસંદ કરેલ માતૃઝાડમાંથી પરિપકવ (૧૧ થી ૧૨ માસના) નાળિયેરને ઉતારી તેમાંથી મોટા કદના ગોળાકારથી લંબગોળ કદના, રોગજીવાત મુકત નાળિયેરને પસંદ કરી છાયામાં એક થી દોઢ માસ આરામ આપવો.

રોપ ઉછેર :

નાળિયેર બીજમાં પ્રમાણસર પાણી હોય તેવા નાળિયેર બીજને નર્સરીની અંદર ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના અંતરે બીજનું મુખ જમીન ઉપર ખૂલ્લું રહે તે રીતે ઉભા વાવવા. ત્યારબાદ નિયમિત જરૂર મુજબ પાણી આપતા રહેવું. વાવેતર બાદ પાંચ માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન (૯૦ કિલો યુરિયાના રૂપમાં તથા ૯૦ કિલો એરંડીના ખોળના રૂપમાં) પ્રતિ હેકટરે આપવાથી રોપની વૃધ્ધિ સારી જોવા મળેલ છે. નર્સરીમાં જરૂર મુજબ નીંદામણ તેમજ પાકસંરક્ષણના પગલાં લેવા.

રોપની પસંદગી :

એક અભ્યાસ મુજબ નાળિયેરીના સારી ગુણવત્તાવાળા રોપની પસંદગીથી ૧૫ % ઉત્પાદનમાં વધારો નોંધાયેલ છે માટે રોપની પસંદગી ખૂબજ અગત્યનું પાસું કહી શકાય. રોપની પસંદગી સમયે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે : (૧) રોપ ૯ થી ૧૨ માસની ઉમરનો હોવો જોઈએ. (૨) રોપના થડનો ઘેરાવો જેમ વધુ તેમ રોપ વધુ સારો. (૩) ઉંમર પ્રમાણે ૪ થી ૮ તંદુરસ્ત લીલા પાન ધરાવતો તથા રોગ-જીવાતથી મુકત હોવો જોઈએ.

રોપણી

દેશી તથા હાઈબ્રીડ જાત માટે ૭.૫ મીટર x ૭.૫ મીટર અને ઠીંગણી જાત માટે ૬ મીટર x ૬ મીટરનું અંતર બે હાર અને હારમાં બે ઝાડ વચ્ચે રાખવું હિતાવહ છે. નાળિયેરી રોપવા માટે ખાડાનું માપ ૧ મીટર x ૧ મીટર x ૧ મીટર અથવા ૬૦ સે.મી. x ૬૦ સે.મી. x ૬૦ સે.મી. માપના ખાડા ખોદવા. ખાડાને ૧૦-૧૫ દિવસ તડકામાં બરાબર તપવા દઈ માટી સાથે ૨૦ કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર તથા ૨૫૦ ગ્રામ ડી.એ.પી. અને ૫૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તથા ઉધઈના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૦ મી લી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ખાડો ભરવો.

ખાતર :

નાળિયેરીના પાકને ૧.૫–૦.૭૫૦–૧.૫ કિ. ગ્રા. ના.ફો.પો/ઝાડ/વર્ષ પ્રમાણે ખાતર આપવાની ભલામણ છે. તથા ઝાડ દીઠ ૫૦ કિ. ગ્રામ છાણિયું ખાતર આપવું. રાસાયણિક ખાતર ઝાડ ફરતે નીક બનાવી આપવું. નાળિયેરીના લગભગ ૮૦ ટકા મૂળ થડ ફરતે ૨ મીટરના ઘેરાવામાં આવેલ હોય થડથી ૨ મીટરના ઘેરાવામાં ખાતર આપવું. ખાતરો બે સરખા હપ્તામાં જૂન-જુલાઈ અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આપવું. ચોમાસામાં લીલો પડવાશનો પાક લઈ ફૂલ આવવાની શરૂઆત થાય કે તરત જ ખામણામાં દાટી દેવો જોઈએ. લીંબોળીનો ખોળ ૫ કિલો/ઝાડ આપવો જોઈએ. ખાતરો કોઠામાં દર્શાવ્યા મુજબ આપવા.

પિયત :

શરૂઆતના ત્રણ વર્ષ દરમ્યાન જમીનની પ્રત પ્રમાણે નાળિયેરીના ઝાડને નિયમિત પૂરતા જથ્થામાં એટલે કે શિયાળામાં ૮ થી ૧૨ દિવસે તથા ઉનાળામાં ૪ થી ૬ દિવસે પિયત આપતા રહેવું. શરૂઆતના પ્રથમ વર્ષમાં ખામણા એક મીટરના ચોરસ અથવા તો ગોળ બનાવવા. ત્યારબાદ પ્રતિ વર્ષ ખામણાનાં કદમાં વધારો કરતા રહેવું, જે ચોથા વર્ષે ૪ મીટરના ચોરસ અથવા ૨.૫ મીટરના ત્રિજયાના ઘેરાવાના ગોળ ખામણાં કરી ખામણામાં પાણી પૂરતું ભરાય તે રીતે પિયત આપવું. એક વર્ષની પાણીની ખેંચ બગીચાનું બે વર્ષનું ઉત્પાદન ઘટાડે છે. નાળિયેરીના પાકમાં ટપક પિયત પધ્ધતિથી પાણી આપી શકાય.

આંતરપાકો :

નાળિયેરીનાં બગીચામાં શરૂઆતનાં વર્ષમાં બધા જ પાકો મિશ્રપાક તરીકે લઈ શકાય છે. ત્યારબાદ છાંયામાં થતા પાકો જેવા કે આદુ, હળદર, સુરણ જેવા પાકો ઉછેરી શકાય છે. ઝાડ અથવા નાળિયેરીના રોપની નર્સરી મોટા થઈ ગયા પછી નાળિયેરીમાં ઘઉં, રજકો, જુવાર, શાકભાજી વગેરે પાકો લઈ શકાય છે. જે વિસ્તારમાં મીઠા પાણીની પૂરતી સગવડતા હોય ત્યાં કેળ, સોપારી, મરી, નાગરવેલ જેવા બાગાયતી પાકો પણ લઈ શકાય છે. દક્ષિણ ભારતમાં એકમ વિસ્તારમાં સોપારી, કોકો અથવા કોફી, નાળિયેરી અને સોપારીના ઝાડ પર મરી ચઢાવી વધારાની પૂરક આવક મેળવવામાં આવે છે.

જીવાતો અને રોગો :

(૧) કાળા માથાવાળી ઈયળ: આ જીવાત ઈયળ અવસ્થામાં પાનની પટ્ટીમાં નીચે બોગદાં જેવું ઉધઈની માફક બનાવી પાનનો લીલો ભાગ ખાઈ જાય છે અને ઉપદ્રવનું પ્રમાણ વધી જાય તો પાન સફેદ રંગના થઈ જાય છે અને ભારે ઉપદ્રવના સમયે ફળનું કદ નાનું રહેવું, ખરી પડવા વગેરે પ્રશ્નો ઉભા થાય છે.

નિયંત્રણ: ડીડીવીપી (ડાયકલોરોહૉસ) ૦.૦૫% (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. દવા) નો છંટકાવ કરવો.

(૨)ગેંડા કીટક: આ કીટક ખાસ કરીને નવા નીકળતા પાનની નીચે (થડમાં) કાણું પાડી પાનને ચાવી નાખે છે તથા કૂચા બહાર કાઢે છે. જયારે પાન બહાર નીકળે ત્યારે પંખા જેવા આકારાનું કપાયેલું જોવા મળે છે. નાના ઝાડમાં આ કીટકનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

નિયંત્રણ:

  1. થડમાં કાણાવાળા ભાગમાં ત્રાક આકારનો સળીયો નાખી કીટકને બહાર કાઢી નાશ કરવો.
  2. કાણામાં કીટકનાશક દવા (કલોરપાઇરીફોસ ૨૦% ઈ.સી) નાખી બંધ કરી દેવું.
  3. બગીચો ચોખ્ખો રાખવો કારણ કે આ કીટક સડી ગયેલ કચરાના ઢગલામાં વંશવૃધ્ધિ કરે છે.
  4. ખાતરના ખાડામાં ૧૫ થી ૨૦ દિવસે ૨ ટકા પેરાથીઓન પાઉડરનો છંટકાવ કરતા રહેવો.
  5. પ્રકાશપિંજરનો ઉપયોગ કરી કીટકોનો નાશ કરવો.

(૩) ઉદરઃ નાળિયેરીના બગીચામાં ઉંદર કાચા નાળિયેરમાં મુખ આગળ કાણું પાડી પાણી પી જાય છે.

નિયંત્રણ:

  1. નાળિયેરના થડ ઉપર ૨ થી ૨.૫ મીટરની ઉંચાઈએ ૨૬ ગેજના ગેલ્વેનાઈઝ અથવા એલ્યુમિનિયમના પતરાના ૩૦ સે.મી. પહોળા પટ્ટા અથવા શંકુ આકારના પતરા લગાડવા.
  2. બ્રોમાડીઓલોનની તૈયાર વેકસ કેક ઝાડ ઉપર મૂકવી.

(૪) નાળીયેરીની કથીરી: ગુજરાતમાં નાળીયેરીની કુલ ત્રણ પ્રકારની કથીરી જોવા મળે છે. જે પૈકી દરીયોફીડ કૂળની કથીરીથી આર્થિક નુકસાન નોંધાયેલ છે. જયારે ટેન્યુપાલ્પીડ કુળની લાલ કથીરી અને ટેટ્રાની કીડ કુળની કથીરીનું આર્થિક નુકસાન પ્રમાણમાં ઓછું નોંધાયેલ છે. ઈરીયોફીડ કૂળની કથીરી, સફેદ રંગની, બે જોડ પગ ધરાવતી કૃમિ આકારની અને ખુબ જ સૂક્ષ્મ હોય છે. જે નરી આંખે જોઈ શકાતી નથી આથી તેનો ઉપદ્રવ ફળ ઉપરનાં નુકશાનના ચિન્હો પરથી જાણી શકાય છે. તેના ઉપદ્રવની શરૂઆત માદા ફુલ તેમજ દાંડીઓથી થાય છે. ફલીનીકરણ બાદ ૩ થી ૬ માસનાં ફળોમાં કથીરી તેના સોય જેવા મુખાંગો દ્રારા ફળની વિકાસ પામતી પેશીઓમાં આવરણની નીચે રહી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામ સ્વરૂપ ફળના શરૂઆતના ભાગમાં આવેલ પેશીઓ મરી જાય છે. ખૂબ જ ઉપદ્રવીત પેશી શરૂઆતમાં ઝાંખા પીળા રંગની દેખાય છે તથા ત્યારબાદ ભૂખરા રંગના ધાબા પડેલા જોઈ શકાય છે. ઉપદ્રવીત ફળોનો વિકાસ અટકતા ફળોનું કદ નાનું રહે છે. અને ફળ કદરૂપું દેખાય છે. પરિણામે ફળની ગૂણવતા બગડતા લીલા નાળીયેર (તરોફા) ના બજારભાવ પર વિપરીત અસર થાય છે. ફળની છાલ ખેંચાવાથી ઉભી તિરાડો જોવા મળે છે અને કયારેક વધુ ઉપદ્રવીત ફળોમાં ગુંદર જેવા પદાર્થનું ઝરણ પણ જોઈ શકાય છે. કથીરીના નુકશાનને પરિણામે કોપરાના ઉત્પાદનમાં ૩૦ ટકા તેમજ નાળીયેરના કુલ ઉત્પાદનમાં ૩૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયેલ છે. આવા ઉપદ્રવીત ફળોમાંથી મળતી કાથીની ગુણવત્તા પણ નબળી હોય છે જેને પરિણામે ખેડૂતોને મળતી વધારાની આવક ઉપર ફટકો પડે છે. આવા છોતરાનો ફકત બળતણ તરીકે જ ઉપયોગ થઈ શકે છે. જો કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો નાના કદના ફળો વૃક્ષ પરથી નીચે ખરી પડે છે. આવા ખરી પડેલા ફળોને ભેગા કરી બાળીને નાશ કરવો. નાળિયેરીના પાકમાં ઝાડ દીઠ ૫૦ કિગ્રા ગળતિયું ખાતર ૫ કિગ્રા લીંબોળીનો ખોળ + ૧૫૦૦ ૭૫૦* ૧૫૦૦ ગ્રામ ના : ફો : પો (બે હપ્તામાં) આપવું તથા એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમના દ્રાવણનો પાન પર વર્ષમાં ત્રણ વખત છંટકાવ કરવાથી ઈરીયોફીડ કથીરીનો ઉપદ્રવ કાબુમાં રાખીને ગુણવતાયુકત ફળનું ઉત્પાદન મેળવી શકાય છે.

નાળીયેરીના ઝૂમખાઓમાં આવેલ નાના કદના ફળો પર જ છંટકાવ થવો જરૂરી છે. જયારે મોટા કદના ફળો એટલે કે આઠ મહિનાથી વધુ ઉંમરનાં ફળો પર કથીરીની સંખ્યા નહિવત હોય છે. જંતુનાશકોનો છંટકાવ ઝાડ ઉપર ચઢીને અથવા લાંબા વાંસનો ઉપયોગ કરીને કરી શકાય છે. જો ઝાડ ઓછી ઉંચાઈના હોય તો ઝાડ ઉપર ચઢનાર તેની સાથે ન્યુમેટીક હેન્ડ પ્રેયર લઈ જઇ શકે છે. કારણ કે આ

સ્પેયરમાં એક લીટર દ્રાવણ ભરી શકાય છે જે ઝાડ પરના ૭ થી ૮ ઝુમખાં પર છાંટવા માટે પૂરતું છે. નવી કથીરીનાશક દવાઓ જેવી કે મિબેકટીન ૧ ઇસી (૫ મિ.લિ.) અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી (૫ મિ.લિ.) અથવા ફેનાઝાકવિન ૫ એસસી (૧૦ મિ.લિ.) ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉપર જણાવ્યા મુજબ વ્યવસ્થિત છંટકાવ કરવો.

કથીરીના નિયંત્રણ માટે એક સાદી અને સરળ ઉપયોગી રીત છે જે મુજબ નાના ૨૫૦ મિ.લી. પ્લાસ્ટીક પાઉચમાં ૨૫૦ મિ.લી. પાણીમાં કોઈપણ નીમ બેઈઝડ (લીમડાયુકત) દવા ૭.૫ મિ.લી. મિશ્ર કરી તૈયાર કરવું પછી નાળિયેરીનું તાજું મૂળ સહેજ ખુલ્લું કરી નીચેથી છેડા ઉપર કલમ ત્રાસો કાપ મૂકી ઉપર જણાવેલ દવાવાળું પાઉચમાં મૂળ દાખલ કરી ઉપરથી દોરી અથવા રેસા વડે બાંધી બંધ કરી દેવું. દવા મૂળ વાટે શોષાય જશે અને કથીરીનું નિયંત્રણ સહેલાઈથી થશે.

(૫) રેડ પામ વીવીલ : થડમાં કાણાં, કોફી રંગનું દાવણ ઝરતું હોય અને ચાવેલ કુચા જોવા મળે તો તે રેડ પામ વીવીલનું નુકસાન સૂચવે છે.વધુ ઉપદવમાં પાન પીળારંગના થઈ પડી જાય છે.

નિયંત્રણઃ ઉપદવીત ઝાડને કાપીને દૂર કરવા. આવા ઝાડને ફાડીને સળગાવી મૂકવા જેથી જીવાતનો નાશ થાય. ઝાડને ઈજા થતી અટકાવવી કારણકે આવી જગ્યાએ આ કીટક ઈંડા મુકે છે. કલોરપાયરીફોસ ૦.૦૫ ટકા (૧૦ લીટર પાણીમાં ૨૫ મી.લી. દવા) નો છંટકાવ કરવો. પાન કાપતી વખતે પર્ણદંડ એક મીટર રહેવા દઈ કાપવું. ફેરોમોન ટ્રેપથી કીટકને આર્કષીને મારી નાખવા.

રોગો:

(૧)અગ્રકલિકાનો સડો : શરૂઆતમાં એક કે બે કુમળા પાન પીળા પડે છે. પાછલા તબ્બકે પાનનો દડો સુકાઈને પીળો પડે છે. છેવટે આખું ઝુમખું પડી જાય છે અને ઝાડ મરી જાય છે. ચોમાસા દરમ્યાન ઉપદ્રવ જોવા મળે છે. ઉપદ્રવિત ઝાડના પાન અને ઝુમખું દૂર કરી બોડૅપેસ્ટ લગાવવી. ૧ % બોડમીશ્રણ પાનના ઝુમખા તથા આજુબાજુના ઝાડ પર છાંટવું. ઉપદવીત ઝાડને કાપી બાળીને નાશ કરવો.

(૨) પાનનાં ભૂરા ટપકા: ફૂગથી થતો આ રોગ પોટાશની ઉણપવાળી જમીનમાં ખાસ કરીને નાની ઉમરમાં ઝાડમાં વિશેષ જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં પરિપકવ પાન પર આછા પીળા ટપકાં જોવા મળે છે. જેને ફરતી કાળી કિનારી હોય છે. ત્યારબાદ આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ભૂખરો થઈ જાય છે અને તેને ફરતે પીળા અથવા પીળા લીલા રંગની ધાર જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા પાનનો મોટો ભાગ સૂકાય જાય છે. નિયંત્રણઃ ૧. બગીચાની નિતારશકિત સુધારવી તેમજ પુરતા પ્રમાણમાં પોટાશયુકત ખાતર આપવાથી આ રોગની તિવ્રતા ઘટે છે. ૨. કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વેપા. (૫ ગ્રામ /૧૦ લિટર પાણી) અથવા એક ટકાવાળા બોડમિશ્રણનો છંટકાવ જરૂર મુજબ કરવો. ૩. સૂકારો: નારિયેળીમાં ઘણા પ્રકારનાં સૂકારા નોંધાયેલ છે જેમાં કેટલાક સૂકારામાં રોગ શરૂ થયા બાદ થોડા વર્ષોમાં ઝાડ સૂકાય જાય છે. જયારે કેરાળા વિલ્ટવાળા ઝાડ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા સૂકારાનું ચોકકસ રોગકારક પણ જાણી શકાયેલ નથી.

નિયંત્રણ

  1. સૂકારાગ્રસ્ત બગીચાની યોગ્ય માવજત કરવી.
  2. ભલામણ મુજબ ખાતર આપવું, નિયમિત પાણી આપવું તેમજ અન્ય જરૂરી ખેતીકાર્યો સમયસર કરવા.
  3. સેન્દ્રિય ખાતરની સાથે ટ્રાઈકોડમાનો ઉપયોગ કરવો.

કાચા નાળિયેર ખરી પડવા અંગે વિશેષ કાળજી :

સામાન્ય રીતે નાળિયેરીનો પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસે માદા ફૂલોનું ફલિનીકરણ થતુ હોય છે. ફલિનીકરણ ક્રિયા પૂર્ણ થયા બાદ ૨ માસ દરમ્યાન મોટાભાગના બટન (ફલિનીકરણ ન થયેલા) ખરી પડે છે જેને ઘણીવાર ખેડૂતો નાળિયેર ખરી પડે છે તેવું માને છે. પરંતુ નાળિયેરનો વિકાસ થયા પછી જે ખરે છે તે જ સાચા નાળિયેર છે. જેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે, જેવા કે હવામાન, પાણીની અનિયમિતતા, ઝાડની પરિપકવતા, વારસાગત ગૂણધર્મો, પોષકતત્વોની ઉણપ, અંતઃસ્ત્રાવની ખામી, રોગ-જીવાત વગેરે.

આ માટે નીચે મુજબની કાળજી લેવી સલાહ ભરેલી છે.

  1. ઝાડની સંખ્યા એક કરતાં વધારે વાવવી.
  2. નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આપવા.
  3. નબળી ઉત્પાદનક્ષમતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરી બીજા વાવવા.
  4. સમયસર રોગ-જીવાતના નિયંત્રણના પગલા લેવા.
  5. ફૂલ કાતરો (પુષ્પવિન્યાસ) ખૂલ્યા બાદ એક માસ પછી ૨, ૪-ડી, ૨૦ પી.પી.એમ. દ્રાવણનો કોતરા ઉપર છંટકાવ અઠવાડિયાના ગાળે ચાર વખત કરવો. (બજારમાં ઉપલબ્ધ બાગાયત ગ્રેડનાં ૨, ૪-ડી નો ૨૦ મી. ગ્રા. પાવડર થોડા પાણીમાં ઓગાળી તેમાં જરૂરી પાણી ઉમેરી ૧ લીટરનું દ્રાવણ બનાવવું. અથવા ૫ થી ૧૦ લીટર પાણીમાં ૫ મીલી લ્પાનોફિકસ ઉમેરી વૃધ્ધિ નિયંત્રકનો છંટકાવ કરવાથી ફળધારણ થઈ વધુ ઉત્પાદન મળે છે.

વીણી અને ઉત્પાદન :

સામાન્ય રીતે ફૂલ આવ્યા બાદ ૧૨ માસે નાળિયેર પરિપકવ થાય છે. નાળિયેર કાચા પીવા માટે ઉપયોગ કરવાનો હોય તો ૬-૮ માસની ઉમરે કે જયારે તેમાં વધારેમાં શર્કરા હોય છે ત્યારે કાચા નાળિયેર (તરોફા) ઉતારી શકાય. સારી માવજતમાં ઝાડ દીઠ ૮૦-૯૦ નાળિયેરનું ઉત્પાદન મળે છે.

સ્ત્રોત: વનીય મહાવિદ્યાલય,ન. કૃ. યુ., નવસારી, કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate