অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ સ્વાસ્થ્યને હાનિકર્તા પરોપજીવી કૃમિ અને તેના ઉપાયો

પશુઓમાં અનેક પ્રકારના પરોપજીવી જન્ય કૃમીઓ જોવા મળે છે. જેમાં મુખ્યત પોતાનું જીવન યજમાનના શરીરમાં વિતાવે છે. અથવા મધ્યસ્થ પોષક દ્વારા મુખ્ય પોષકમાં દાખલ થયને પરોપજીવી જન્ય રોગ કરે છે. પશુઓના શરીરમાં અંદરના અવયવોમાં જોવા મળતા પરોપજીવીને અંતરીક પરોપજીવી કહે છે.પરોપજીવી કૃમિ અને તેમની જીવન જીવવાની કળા અત્યંત નિરાળી હોય છે. સમયાંતરે એ પોતાના અને પોતાના વંશના રહેઠાણનો બદલતા રહે છે, ઘડીકમાં યજમાનના શરીરમાં તો ઘડીકમાં ખુલ્લા વાતાવરણમાં અતિ કષ્ટદાયક યાતનાઓનો સામનો કરીને પણ એ જીવન જીવી જાય છે.પશુઓના શરીરને પણ આવાપરોપજીવી કૃમિ રહેઠાણનું સ્થળ બનાવી જીવનચર્યા માટે જરૂરી ખોરાક તત્વો, પદાર્થો વગેરેને પશુઓના શરીરમાંથી ઘણીજ સહેલાઈથી છીનવી લે છે.વળી ઘણી વખત યજમાન સાથે સુમેળભર્યું વાતાવરણ ઉત્પન્ન કરી ઘણા લાંબા સમય સુધી આરામથી જીવન વિતાવવું પસંદ કરતા હોય છે.

મોટા ગોળકૃમિ (મોટા કરમિયા)

ટોક્સોકેરા વીટયુલોરમ નામે ઓળખાતા મોટા કરમિયા ગાય, ભેંસ, ઘેટા, બકરાના આંતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિ ની બાહ્ય દીવાલ નાજુક અને પાતળી હોઈ અંદરના અંગો પણ નરી આંખે જોઈ શકાય છે. નર કૃમિ ની લંબાઈ ૨૫૦ મિ.મી અને પહોળાઈ ૫ મિ.મી જયારે માદા કૃમિની લંબાઈ ૩૦૦ મીલીમીટર અને પહોળાઈ ૬ મિ.મીજેટલી હોઈ છે.

ચિન્હો અને હાનીકારક અસરો:

નાના જન્મેલા પાડા/વાછરડાના આંતરડામાં મોટા પ્રમાણમાં મોટા કરમિયા થાય તો તે આંતરડામાં પોલાણને બંધ જેવું કરી દે છે. જેથી ચૂક આવે છે અને શરીરનો વિકાસ રૂંધાય છે. પાચન બરાબર થતું નથી તેથી તે નબળા પડે છે. પાતળા,ચીકણા,દુર્ગંધ મારતા કાળાશ પડતા ઝાડા થાય છે. અને જાનવરનું મરણ થાય છે. જો સારી કાળજી ના રાખવામાં આવે તો ફાર્મ હાઉસમાં નાના બચ્ચાઓના મરણ પ્રમાણમાં ખુબ વધારો થય જાય છે. મોટા જાનવરો પોતાની કુદરતી પ્રતિકારક શક્તિને કારણે આ રોગ સામે સામનો કરી જીવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અ રોગથી  રોગ જનન પ્રક્રિયા દરમિયાન ઘણું  આર્થિક નુકશાન થઈ જાય છે.વળી જો કૃમીકારક દવા ના આપવામાં આવે તો મરણ પણ પામે છે.

નિદાન:

રોગના ચિન્હોને ધ્યાન માં લઇને પશુચિકિત્સક અધિકારી નિદાન કરે છે. પ્રયોગશાળામાં સુક્ષ્મદર્શક યંત્રની મદદ વડે ઝાડા તપાસવામાં આવે તો મોટા કરમિયાના  ઈંડા જોઈ શકાય છે. વળી ઘણીવાર જીવતા કરમિયા જીવનચક્ર પૂરું થયે પણ પશુઓના ઝાડા માં નીકળે છે.

સારવાર અને અટકાવ:

  1. પાડા/વાછરડા દસથી સોળ દિવસના થાય ત્યારે પાઈપરેજીન, લેવામીસોલ વગેરે દવાઓ સામાન્યત: પશુચિકિત્સક અધિકારી આપતા હોઈ છે.
  2. ગમાણની રોજબરોજની સાફ-સફાઈ પર વધુ ધ્યાન આપવાની રોગની તીવ્રતા ઓછી થઈ જાય છે. આથી દરરોજ ગમાણ બરાબર સાફ કરવી ખુબ જ જરૂરી છે. રોગીષ્ટ પશુઓના ચં દ્વ્રારા મોટા કરમિયાના ઈંડા દુષિત ખોરાક- પાણી સાથે અન્ય જાનવરોમાં દાખલ થાય છે જેથી ગમાણની સ્વચ્છતાને પ્રાધન્ય આપવું ખુબ જ જરૂરી છે.
  3. રોગ થયેલ પાડા/વાછરડાને અલગ રાખવા અબે તેમની પશુચિકિત્સકની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.

નાના કરમિયા:

જુદી જુદી જાતના નાના કરમિયા મુખ્યત્વે પાચનતંત્રના અવયવોમાં અને તેમાંથી ખાસ કરીને ચતુર્થ જઠર અને આંતરડામાં રહી જીવન વિતાવે છે. ચતુર્થ જઠરમાં રહેતા નાના કરમિયા કે જેની લંબાઈ ફક્ત ૦.૨૫ ઈંચથી ૧.૭૫ ઇંચ જેટલી હોઈ છે તે વધુ હાનીકારક છે, કારણકે તે ખોરાક તરીકે પ્રાણીના લોહીનો ઉપયોગ કરે છે. આંતરડામાં રહેતા નાના કરમિયા જાતિ પ્રમાણે જુદી જુદી લંબાઈના હોઈ છે. વાગોળતા પ્રાણીઓમાં આવા કરમિયા ટ્રાયકોસ્ટ્રોન્ગાલીસ ગૃપથી ઓળખાઈ છે અને તે પેરાસાઈટીક ગેસ્ટ્રોએન્ટરાઈટીસ નામનો રોગ કરે છે. ચોમાસાની શરૂઆતના મહિનાઓમાં આ રોગ વધુ જોવા મળે છે. ઉપરોક્ત નાના કરમિયા પશુઓ જે કઈખાય છે તેમાંથી પોષક દ્રવ્યોનું  શોષણ કરે તથા આંતરડાની દીવાલમાં ચીકણું સ્લેષ્મ ચોટાડીને રક્તસ્ત્રાવ કરે છે.

ચિન્હો અને હાનીકારક અસર:

પશુઓ ભાગ્યેજ એક જ જાતિના નાના કરમિયાથી પીડાય છે મોટાભાગે કુદરતી રીતેજ સ્વચ્છતાના અભાવે જુદી જુદી જાતિના કરમિયાની નાની ઈયળ અવસ્થા દુષિત ખોરાક/પાણી દ્વારા રોગીષ્ટ પશુઓના શરીરમાં દાખલ થતી હોય, જેમાં થી મુખ્યત્વે ઢોર નબળું પડે છે. શરીરનોચળકાટ જતો રહે છે. જડબા નીચે પ્રવાહી ભરાય છે. ઝાડા અને કબજિયાત વારાફરતી થતા રહે છે. ઉત્પાદનશક્તિ ઘટી જાય છે.

નિદાન:

રોગના ચિન્હો ને ઓળખીને પશુચિકિત્સક અધિકારી નિદાન કરતા હોય છે. વળી પ્રયોગશાળામાં ઝાડાના નમુનાને તપાસવાથી નાના કરમિયાના ઈંડા જોઈ શકાય છે. થાયાબેન્ડાઝોલ, આલબેન્ડાઝોલ તથા તેના જેવી બીજી દવાઓનો પશુચિકિત્સક અધિકારી સારવાર અર્થે ઉપયોગ કરે છે.

અટકાવ:

  1. ચોમાસાની શરૂઆતથતા પશુચિકિત્સક અધિકારીની સલાહ મુજબ દવાના ઉપયોગ થી રોગની પીડાથી જાનવરને બચાવી શકાય છે.
  2. નિયમિત ગમાણની બરોબર સફાઈ કરવી જરૂરી છે.
  3. છાણ ને એક જગ્યાએ ઢગલો કરી ભેગું કરવું જેથી ઈંડા તથા તેમાંથી ભાર નીકળેલ ઈયળનો નાશ થઈ શકે.
  4. રોગીષ્ટ જાનવરની સારવાર કરાવવી.

યકૃતકૃમિ:

યકૃત એટલે કે કલેજામાં રહેતા કૃમિને યકૃતકૃમિ કહે છે. યકૃતકૃમિનું વૈજ્ઞાનિક નામ "ફેસીઓલા હિપેટીકા અને જાયજેપ્ટીકા" છે. આ કૃમિ પૃષ્ઠ\વક્ષ બાજુએથી ચપટા અને પણ જેવા આકારના હોઈ છે. ચોમાસાની શરૂઆત પછી પાણીમાં જોવા મળતા શંખલા જે અંગ્રેજીમાં 'સ્નેઈલ' તરીકે ઓળખાય છે. આ મધ્યસ્થ પોષક દ્વારા તેમનો ફેલાવો થાય છે.

શરીર ના મધ્યમાં રાખોડી સફેદ રંગ ધરાવતા અને બાજુએથી કાળા રંગના ફેસીઓલા , જાયજેપ્ટીકા કૃમિની લંબાઈ ૭૫ મિ.મી અને પહોળાઈ ૮ થી ૧૦ મિ.મી જેટલી હોઈ એના શરીરનો આગળનો નાનો ભાગ શંકુ આકારનો હોય છે. શરીરની પહોળાઈ આ ભાગ પછી વધતી હોય તે જગ્યાએ ખભા જેવો અસ્પષ્ટ દેખાવ બને છે. ખભાના ભાગ પછી ધીરે ધીરે પહોળાઈ ઘટતી જાય છે. અને છેવટના ભાગે સૌથી ઓછી થય જાય છે. તેઓ ઉભયલિંગી હોય છે.

કુદરતે આ કૃમિને યકૃતમાં પકડ જમાવવા માટે સૌથી આગળના ભાગમાં એક ચૂસક અને ખભાના ભાગની શરૂઆતમાં મધ્યમાં એક ચૂસક એમ બે ચુસકો આપેલ છે.

મુખ્ય યજમાન: ઘેંટા, બકરા, ગાય, ભેંસ, બળદ, હરણ, હાથી, ઘોડા વગેરે તથા ક્યારેક મનુષ્ય પણ આ કૃમિનો ભોગ બનતા જોવા મળેલ છે.

ચિન્હો અને હાનીકારક અસરો:

જો ઘણા અપરિપકવ કૃમિ યકૃતમાં એક સાથે પ્રવેશ કરે તો વધુ પડતા યકૃતના કોષોનો નાશ કરી તીવ્ર પ્રકારનો રોગ કરે છે. જેમાં યકૃતના કોષોનો નાશ કરી કૃમિ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી જાનવરના મરણ જલ્દી થઈ શકે છે. જેથી રોગના ચિન્હો વધુ વખત જોવા મળતા નથી તેમ છતાં મરણ પેલા ખોરાક ઓછો લેવો, શરીર ફીકું તથા નબળું થવું , જમણી તરફના પેટ દબાવવાથી દુઃખદાયક પીડા થવી અને નાક , મો અને મળદ્વાર માંથી લોહી નીકળતું જોવા મળે છે. વગેરે ચિન્હો જોઈ શકાય છે.

રોગની ક્રોનિક અવસ્થામાં યકૃતકૃમિ પિતનડીઓમાં પહોચી પુખ્તવયના બની જીવન વિતાવે છે. આથી આવા કૃમિ મંદ પ્રકારનો રોગ કરે છે જેમાં યકૃતના કોષોનો નાશ તથા રક્તસ્ત્રાવ થયા બાદ ફાઈબ્રસ ટીસ્યુની જમાવ સંધાણ માટે થાય છે. જેથી યકૃતની કાર્યશક્તિ ઘટે છે. અને યકૃત સખત થય જાય છે. પિત્તનળીઓના દિવાલના કોશો તેમની વૃદ્ધિ વધારે છે. આથી તેમની દીવાલ જાડી કઠણ પાઈપ જેવી થય જાય છે. જેને પાઈપ સ્ટેમ લીવર તરીકે ઓળખાય છે. પિત્તનળીઓમાં જાડું, ઘેરા સફેદ રંગનું ચીકણું પ્રવાહી ભરાય છે. પિત્તાશયની નળીઓમાં અવરોધ થવાથી પિત્ત્તનો ભરાવો થવા લાગે છે. પિત્તાશય મોટું થઈ જાય છે. કમળા જેવા ચિન્હો જોવા મળે છે. વળી જડબા નીચે પ્રવાહી ભરાય છે જેને બોટલર્જા કહેવામાં આવે છે અને વજન ઘટે છે.

નિદાન:

  1. ચિન્હો અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પશુચિકિત્સક અધિકારી નિદાન કરતા હોય છે.
  2. છાણના નમૂનાની સુક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ કરવાથી યકૃતકૃમિના ઈંડા જોઈ શકાય છે.
  3. નજીકના ભૂતકાળમાં લીધેલ ખોરાક/પાણીની પૂછપરછથી પણ રોગોનો ખ્યાલ આવી શકે છે.
  4. મરણોત્તર ચીરફાડ દ્વારા યકૃતમાં કૃમિઓની હાજરી નજરે પડે છે.

સારવાર:

ઓક્સિ ક્લોઝનાઈડ, ટ્રાઇકલેબેન્ડાઝોલ, હેક્ઝાક્લોરોઈથેન, હેક્ઝાક્લોરોફીન, બીથીયોનોલ, નાઈટ્રોકજીનલ જેવી દવાઓ પશુચિકિત્સક અધિકારીઅ રોગમાં સામાન્યતા આપતા હોય છે.

અટકાવ:

ચોમાસાની ઋતુના પાછળના મહિનાઓમાં તથા શિયાળાની ઋતુના શરૂઆતમાં મહિનાઓમાં નદી/તળાવ/નહેરના કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવું નહી. આવું ઘાસ કાપી સાઈલેજ સૂર્યતાપમાં સારી રીતે સુકવી ખવડાવીશકાય અથવા આવા ઘાસનું સાલેજ બનાવી ઉપયોગમાં લઇ શકાય. શંખલાનો નાશ કરવો . આ માટે શંખલાનાશક દવાઓનો ઉપયોગ થાય છે. સાથે બતક જેવા પક્ષીઓ જે શંખલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે પણ પાળીને આ રોગનું નિયંત્રણ થઈ શકે છે.

રોગિષ્ટ જાનવરો ની સારવાર કરાવવી તથા જાનવરોનું છાણ એક જગ્યાએથી ભેગું કરી ઢગલો કરવો જેથી અંદર ઉત્પન્ન થતી ગરમીથી ઇંડાનો નાશ થાય.

નીલગીરીના વૃક્ષના પણ અને શિંગોડા શંખલાનો નાશ કરતા હોઈ તેમના ઝાડને તળાવ/નદી કિનારે ઉગાડવા જોઈએ. જે આ રોગના મધ્યસ્થ પોષકનો ઉપદ્રવ અટકાવે છે. વળી સઘળી કૃમિનાશક તેમજ શંખલાનાશક દવાઓ પશુચિકિત્સક અધિકારીશ્રીના માર્ગદર્શન અને સલાહ મુજબ આપવી હિતાવહ છે.

સ્ત્રોત: જુલાઈ -૨૦૧૬ , વર્ષ :૬૯ અંક :૩ ,સળંગ અંક :૮૧૯ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate