অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

છોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન

છોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન

પોષણ તત્વોનું જમીનમાં વ્યવસ્થાપન

છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો

છોડના વિવિધ ભાગોનું રાસાયણિક પૃથ્થકરણ કરવાથી તેમાં ૬૦ કરતા પણ વધારે તત્વો જોવા મળે છે. પરંતુ ઘનિષ્ઠ સંશોધનને પરિણામે એ સ્થાપિત થયુ છે કે છોડને પોતાનો જીવનક્રમ પુરો કરવા માટે કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશીયમ, ગંધક, લોહ, મેંગેનીઝ, જસત, તાંબુ, બોરોન, મોલીબ્લેડમ અને કલોરીન એમ કુુલ ૧૬ પોષકતત્વોની જ આવશ્યકતા જણાયેલ છે. આ તત્વોપૈકી કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન છોડને હવા તથા પાણીમાંથી સહેલાઈથી કુદરતી રીતે મળી રહે છે. જયારે બાકીનાં પોષક તત્વો મેળવવા જમીન ઉપર આધાર રાખવો પડે છે. જમીનમાંથી જે પોષક તત્વો ઉપલબ્ધ છે તેને મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ તત્વો એમ બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલ છે. જે તત્વોની દશ લાખમાંથી એક ભાગથી વધારે પ્રમાણમાં જરૂરીયાત છે તેને મુખ્ય તત્વો કહે છે. જયારે તેનાથી ઓછા પ્રમાણમાં જરૂરીયાતવાળા તત્વોને ગૌણ અથવા સુક્ષ્મ તત્વો ગણવામાં આવે છે. આ વિભાગમાં કેલ્શિયમ, મેગનેશીયમ, સલ્ફર, જસત, લોહ કલોરીન, મેંગેનીઝ, તાંબુ, બોરોન મોલીબ્લેડમ વગેરેનો સમાવેશ થાય છે. અપવાદરૂપે લોહની જરૂરીયાત વધુ હોવા છતાં સુક્ષ્મ તત્વમાં અને સોડીયમની જરૂરીયાત ઓછી હોવા છતાં મુખ્ય તત્વમાં મુકવામાં આવેલ છે. મુખ્ય તત્વોમાં બે પેટા વિભાગ છે તેમાં પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્વો અને દ્વિતિય કક્ષાના મુખ્ય તત્વો. પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્વોમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જયારે દ્વિતિય કક્ષાનાં મુખ્ય તત્વોમાં કેલ્શીયમ, મેગ્નેશીયમ અને સલ્ફર જેવા પૂરક તત્વોનો સમાવેશ થાય છે. આમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પાક ઉત્પાદનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેની જરૂરીયાત પણ વિશેષ પ્રમાણમાં રહે છે.આ ઉપરાંત સોડીયમ (Na) સિલિકોન (Si), કોબાલ્ટ (Co) તત્વો કેટલાક પાક માટે જરૂરી જણાયા છે. ડાંગરના પાક માટે સિલિકોન જરૂરી છે. તે જ પ્રમાણે નાઈટ્રોજનું સ્થિરીકરણ કરતા દ્વિદળ પાકો માટે કોબાલ્ટને જરૂરી ગણવામાં આવે છે.

આ બધા જ આવશ્યક તત્વો છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે અને છોડ તંદુરસ્ત હોય તો વધુ ઉત્પાદન આપી શકે. વળી મોટા ભાગનાં તત્વો છોડ જમીનમાંથી મેળવે છે અને તેથી આ આવશ્યક તત્વો જમીનમાં હોય અને ન હોય તો પાક ઉપર શું અસર થાય તે બાબતની જાણકારી અત્યંત આવશ્યક ગણાય છે.

પાકને ખાતરોની જરૂરિયાત

છોડ કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન સિવાયનાં બાકીનાં બધા જ પોષક તત્વો જમીનમાંથી મેળવે છે. તેથી, જમીનને પોષક તત્વો માટેનો ભંડાર કહી શકાય. આ ભંડારને અનાજ ભરેલા કોઠાર સાથે સરખાવી શકાય. અનાજ ભરેલા કોઠારમાંથી દરરોજ થોડું થોડું અનાજ કાઢતા જઈએ તો એક દિવસ એવો આવે કે કોઠાર ખાલી થઈ જાય. તેવી જ રીતે જમીનરૂપી ભંડારમાંથી પોષક તત્વોનું પાક દ્ધારા અવશોષણ થવાથી, નિતારવાટે વહી જવાથી, વાયુરૂપે ઉડી જવાથી અગરતો ધોવાણ વાટે જમીન સાથે ઘસડાય જવાથી સારા એવા પ્રમાણમાં વ્યય થાય છે.

કયા પાક માટે કેટલું ખાતર આપવું ?

જુદા જુદા ક્ષેત્રપાકો જમીનમાંથી જુદા જુદા પ્રમાણમાં પોષક તત્વોનો ઉપયોગ કરે છે અને તેથી વપરાયેલા પોષક તત્વો ખાતર દ્ધારા જમીનમાં ઉમેરવાની જરૂર પડે છે. ગુજરાતની જમીનોમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસની ઉણપ હોવાથી આ ખાતરો આપવાની કૃષિ યુનિવર્સિટી તરફથી ભલામણ કરવામાં આવે છે. તદ્રઉપરાંત રાજયના દરેક જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળાઓ પણ જમીનની ચકાસણીના આધારે જુદા જુદા પાક માટે કેટલું ખાતર આપવું તે અંગે ભલામણ કરતા હોય છે. આથી દરેક ખેડૂત મિત્રો પોતાની જમીનને ઓળખીને જુદા જુદા પાક માટે કેટલું ખાતર આપવું તે જાણી લઈ ખાતરનો ઉપયોગ કરે તો ઓછા ખર્ચે વધુમાં વધુ પાક ઉત્પાદન મેળવી શકે.

પોષણ તત્વોનું જમીનમાં વ્યવસ્થાપન

દેશભરનાં જુદા જુદા પાકોનાં પોષકતત્વોના ઉપાડ (અપટેક) અને તેની સામે ખાતરરુપે અપાતા પોષકતત્વોનાં આકડાનું અવલોકન કરવામાં આવે તો બંને વચ્ચે ૮ થી ૧૦ મીલીયન ટન ના : ફો :પો નો તફાવત જણાય છે અને તેની સાથે સલ્ફર, ઝીંક, લોહ, મેગેનીઝ અને બોરોન જેવા તત્વોની પણ ઉણપ ઉભી થયેલ છે. તેની સામે આપણે એક જ પ્રકારના પોષકતત્વો ખાસ કરીને ના : ફો :પો

સતત વર્ષોવર્ષ ઉમેરવાથી ધીમે ધીમે જમીનમાં પાકને લભ્ય પોષક તત્વોની અસમતુલા ઉભી થયેલ છે. જેને લીધે આપણે જમીનમાં આપેલ ખાતરોનો જોઈતા પ્રમાણમાં પ્રતિભાવ જોવા મળતો નથી.

આ સમગ્ર સમસ્યાનો એક જ ઉપાય છે, જેને આપણે સંકલીત પોષકતત્વ વ્યવસ્થાપન પધ્ધતિ એવું નામ આપીએ છીએ. આ પધ્ધતિનો મૂળભુત હેતુ રાસાયણિક ખાતરો અને સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો, વર્મી કમ્પોસ્ટ, પાકના આવશેષો, કઠોળ વર્ગના પાકો વગેરેનુ અનુકૂળ રીતે સંકલન કરવાથી પાક ઉત્પાદન વધારી શકાય. વળી આ સંકલન પધ્ધ્તિ એવી હોવી જોઈએ કે જેથી જમીનની ફળદ્રુપતા જળવાય અને સાથોસાથ પર્યાવરણ અને જમીનની તંદુરસ્તિની કોઈ આડઅસર થાય નહીં. વળી આપણે જાણીએ છીએ કે વર્ષોવર્ષ ખેતીમાં સેન્દ્રિય ખાતરોનો વપરાશ ઘટતો જાય છે. જેને લીધે જમીનમાં રહેલા અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓની સક્રિયતા તથા સંખ્યામાં ઘટાડો થયેલ છે. સૂક્ષ્મ જીવાણુઓથી પાકને આપેલા રાસાયણિક ખાતરોમાં રહેલા પોષક તત્વોના રુપાંતરણ ઝડપથી થાય છે. વળી જમીનની ભૌતિક પરિસ્થિતિમાં સુધારો થાય છે. આમ સેન્દ્રિય પદાર્થનું આગવું મહત્વ છે. જે આપણે યાદ રાખવું જરુરી છે.

દેશભરમાં ચાલતા જુદા જુદા પાકો પરના લાંબાગાળાના અખતરાઓના પરિણામો નીચે મુજબ સુચવે છે.

  1. ફકત નાઈટ્રોજન તત્વોનો સતત વપરાશ કરવાથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તિ ટકાઉપણુ પણ ઘટે છે. સાથોસાથ નાઈટ્રોજન સિવાયના અન્ય મુખ્ય તથા સુક્ષ્મ તત્વો પાક ઉત્પાદન ઘટાડવામાં મુખ્ય ભાગ ભજવે છે. જો પૂરક પોષક તત્વો ઉમેરવામાં ન આવે તો આપેલ નાઈટ્રોજનનો પ્રતિભાવ મળતો નથી.
  2. અખતરાની શરુઆતના વર્ષોમાં મુખ્ય પોષક તત્વો ( ના : ફો :પો) છાણીયા ખાતર સાથે કે વગરની અસર પાક ઉત્પાદનમાં નહીવત જણાયેલ. જયારે લાંબાગાળે ના : ફો :પો છાણીયા ખાતરની અસર ના : ફો :પો કરતાં વધુ જણાયેલ. આ સુચવે છેકે લાંબાગાળા ના : ફો :પો પર નભતી ઘનિષ્ટ ખેતીમાં લાંબાગાળે ગૌણ તથા સુક્ષ્મ તત્વો જેમાં ખાસ ગંધક અને સુક્ષ્મ તત્વોમાં જસતની ખામી જોવા મળે છે.
  3. હલકી જમીનમાં છાણીયા ખાતરની માવજતની અસર ખાસ જોવા મળેલ છે.
  4. છાણીયા ખાતર આપવાથી જમીનની ભૌતિક પરિસ્થિતિમાં અનેકગણો સુધારો થાય છે, ઉપરાંત અન્ય જરુરી પોષક તત્વો પણ પુરા પાડે છે.

કૃષિ વિજ્ઞાન વિભાગ તથા મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ ખાતે લેવાયેલ અખતરાના પરિણામો નીચે મુજબ છે.

  1. મગફળી–ઘઉં પાક પધ્ધતિમાં મગફળીમાં હેકટરે પ ટન સાંદ્ર કમ્પોસ્ટ સાથે ર૦ ટન છાણીયું ખાતર અને ઘઉંમાં ભલામણ મુજબ રાસાયણિક ખાતર આપવાથી મગફળી અને ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે મળેલ છે. ( ૧૯૯૯–ર૦૦૦).
  2. મગફળીના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરના અડધા જથ્થા સાથે ફોસ્ફેટ દ્રાવ્ય કરતાં જીવાણુની બીજ માવજતથી મગફળીનું સૌથી વધારે ઉત્પાદન મળેલ છે. ( ૧૯૯૪–૧૯૯૬)
  3. મગફળી પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર જથ્થા સાથે ૧પ ટન / હે. છાણીયું ખાતર આપવાથી મગફળીનું સૌથી વધુ ઉત્પાદન અને વળતર મળેલ છે ( ૧૯૯૪–૧૯૯૬).
  4. મગફળી– ઘઉં પાક પધ્ધ્તિમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો અડધો જથ્થો, ફોસ્ફેટ દ્રાવ્ય કરતાં જીવાણુની બીજ માવજત, દિવેલાનો ખોળ ૧ ટન/હે. અને રાયજોબિયમ જીવાણુની બીજ માવજત આપવાથી મગફળી અને ઘઉં પાકનું ઉત્પાદન તથા વળતર વધુ મળેલ છે.
  5. દિવેલાના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરના પ૦ ટકા જથ્થા સાથે પ૦ ટકા નાઈટ્રોજન દિવેલીના ખોળના રુપમાં આપવાથી દિવેલાના બીજનું સૌથી વધુ ઉત્પાદન અને વળતર મળેલ છે.

કૃષિ વૈજ્ઞાનિકોના એક તારણ મુજબ દેશમાં હાલમાં ર૭૦ થી ૩૮૦ મીલીયન ટન સેન્દ્રિય ખાતરો ઉપલબ્ધ છે અને તેમાંથી ૪ થી ૬ મીલીયન ટન જેટલા ના : ફો :પો તત્વો મળે છે. આપણું દુર્ભાગ્ય એ છે કે હરિયાળી ક્રાંતિ દરમ્યાન રાસાયણિક ખાતરોની સાથે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ તેમજ પાકના અવશેષો તથા અન્ય ખેતપેદાશોના અવશેષોનું કમ્પોસ્ટમાં પરિવર્તન કરી પુનઃ ખેતરમાં ઉમેરવા અંગે ધ્યાન આપવામાં આવેલ નથી. ભવિષ્યમાં આ વાતને કૃષિ નિતિ ઘડવામાં ભાર આપવો જરુરી છે. કારણ કે પાકને જોઈતા જરુરી બધા જ મુખ્ય, ગૌણ તથા સુક્ષ્મ તત્વોનું પ્રમાણ પાક અવશેષોમાં જળવાઈ રહે છે. જે રાસાયણિક ખાતરના પૂરક તરીકે ખૂબ જ જરુરી છે. આ માટે શહેર તથા ગામડાના કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવવા માટેની પ્રક્રિયા માટેના પૂરતી સુવિધાવાળા માળખા ઉભા કરવાની જરુરીયાત છે. આ પધ્ધતિમાં એક મુશ્કેલી એ છે કે સેન્દ્રિય ખાતરો જથ્થામાં ટ્રાન્સપોર્ટ કરવા પડે છે. આ માટે આવા ખાતરોની સાન્દ્ર (કોન્સન્ટ્રેટ) કરવાની પ્રક્રિયા પણ જરુરી છે. જેથી તેનો જથ્થો ઓછો કરી શકાય વળી ભવિષ્યમાં આવા સાન્દ્ર સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરોને અગાઉથી મિશ્ર કરી વધુ ઉત્પાદન આપતા ક્ષેત્રિય પાકો જેવા કે, શાકભાજીના પાકો, બાગાયતી પાકો, ફુલોની ખેતીમાં આપવાથી વધુ ફાયદો થાય.

પોષક તત્વોની ઉણપના છોડ ઉપર જોવા મળતા સામાન્ય ચિન્હો

પાકમાં પોષક તત્વોનું પ્રમાણ તેની ક્ષમ્ય માત્રા કરતાં ઓછું હોય ત્યારે ઉણપના ચિન્હો જોવા મળે છે. પોષક તત્વોની ઉણપના ચિન્હો પાક અને પાકની અવસ્થા પર પણ છે. તેમ છતાં સામાન્ય રીતે જોવા મળતા ઉણપના ચિન્હો આ પ્રમાણે છે.

 

ક્રમ

પોષક તત્વો

ઉણપ ચિન્હો

નાઈટ્રોજન

  • પાન પીળા પડે છે.
  • થડ લાલ રંગનું થઈ જાય છે.
  • છોડ ઠીંગણો રહે છે.
  • પાન નાના અને ઓછા.
  • અગ્રકલીકા લાંબો સમય સુષુપ્ત રહે છે.

ફોસ્ફરસ

  • પાન ઘાટા લીલા, વાદળી રંગના થઈ જાય છે.
  • નીચલા પાન ખરવા માંડે છેે.
  • પર્ણો પુરાં ખુલતા નથી.
  • થડ જાંબલી રંગનું થઈ જાય છે.
  • ફૂલ અને આંતરગાંઠનું પ્રમાણ ઘટે છે.

પોટેશીયમ

  • કોર તરફથી પાન પીળું પડવા લાગે છે.
  • જુના પર્ણો પર પહેલાં ચિન્હો દેખાય છે.
  • પર્ણ પર ભૂખરાથી કાળા ટપકાં દેખાય છે.
  • છોડ ઠીંગણો રહી જાય છે.

ગંધક

  • નવી કુંપળો પીળી હોય છે.
  • નવા પર્ણો નાના રહે છે.
  • આખા છોડનું કદ ઘટે છે.

કેલ્શીયમ

  • મૂળ પ્રકાંડના અગ્ર ભાગોની વૃધ્ધિ અટકે છે.
  • બીજાંકુર કાળાશ પડતું જણાય છે.
  • છોડમાં છગલાનું પ્રમાણ વધે છે.

મેગ્નેશીયમ

  • જુના પર્ણોમાં પીળાશ જોવા મળે છે.
  • આંતરશીરા પીળી હોય છે.
  • પર્ણ પર નારંગી લાલ રંગના ટપકાં પડે છે.

લોહ

  • પાન પીળા જણાય છે, ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય છે.
  • વિકટ પરિસ્થિતિમાં પાનનું સફેદ થવું, નાના પાનની વૃધ્ધિ અટકે, તેમજ પાનની ધાર એટલે કિનારી તથા ટોચ બળી જાય છે.

જસત

  • જસતની ઉણપથી છોડ નબળો જણાય. પાન પીળા પડે, પાન પર કાટના ડાઘા દેખાય તથા ટુંકી આંતરગાંઠો, છોડનું બટકાપણું, દાણા ન ભરાવા, પાનનું ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે.

તાંબુ

  • આંતરીક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઈ જાય છે. ભૂરા લીલા રંગના પાન થઈ જાય છે. ઘણાં પાન તેનો રંગ ગુમાવે છે,
  • પાન કરમાઈ જાય છે.પાનની ટોચ સુકાઈ જાય છે.

૧૦

મેંગેનીઝ

  • નવા ઉગતા પાનફીકકા પડે છે. વચ્ચેના જુના પાન પીળાશ પડતા રાતા થાય છે. તેના ઉપર તપખીરીયા રંગની ભાત પડે છે.

૧૧

મોલીબ્લેડમ

  • પાનનો અગ્ર ભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. પાન પીળાશ પડતા કયારેક અસરયુકત ડાળીમાંથી નીચેથી ગુંદરીયો રસ ઝરે છે. પાનના કોકડા વળી જાય છે. પાનની કિનારી તુટી જાય છે.

૧ર

બોરોન

  • ઉગતી કડી આજુબાજુના પાન નીલવર્ણા થઈ જાય છે. પાનની ધાર, કુપણ અને ટોચ ઉપર વિશેષ અસર થાય છે અને બળતી લાગે છે. વિકાસ રૂંધાય છે અને દાણા બેસતા નથી.

મુખ્ય પોષક તત્વોની ઉણપના નિવારણો

મુખ્ય પોષક તત્વોની પાકને કાર્બનીક તથા અકાર્બનીક પદાર્થોનાં રૂપમાં આપવામાં આવે છે. જેનો જથ્થો જમીન ચકાસણીના આધારે કૃષિ યુનિવર્સિટી ધ્વારા જુદા જુદા પાક માટે થયેલ ભલામણ મુજબ આપવાથી લક્ષ્ય ઉત્પાદન મેળવી શકાય છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદકતા પણ જાળવી શકાય છે.

સુક્ષ્મ તત્વોની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા પાકો

  1. મેંગેનીઝ – મકાઈ, ઘઉં, ડાંગર, સોયાબીન, મૂળા, વાલ, વટાણા, ડુંગળી, ગાજર, શેરડી, સ્યુગર બીટ, લીંબુ અને દ્રાક્ષ.
  2. લોહ – જુવાર, જવ, કોબી, ફલાવર, ટમેટાં, લીંબુ અને બાગાયતી પાકો.
  3. જસત – જુવાર, ઘઉં, ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન, ડુંગળી, લીંબુ, સંતરા, ગ્રેપ ફ્રૂટ.
  4. તાંબુ – મકાઈ, ઓટ, ઘઉં, જવ, કોબીજ, ફલાવર, કાકડી, તુરીયાં, ડુંગળી, ટમેટાં, બીટ રૂટ, તમાકુ, લીંબુ, સંતરા, ગ્રેપ ફ્રુટ
  5. બોરોન – રજકો, સ્યુગર બીટ, કોબીજ, ફલાવર, બટેટા, લીંબુ, દ્રાક્ષ
  6. મોલીબ્લેડમ – ચોળા, કોબીજ, ફલાવર, કાકડી, રજકો, બર્સીમ, સ્યુગર બીટ, લીંબુ

સુક્ષ્મ તત્વોની ઉણપનું નિવારણ

જમીનમાં જે સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ વર્તાતી હોયતો, તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તી કરવાથી અથવા ઉભા પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઉણપ નકકી કરવામાં આવી હોય તો, શરુઆતથી જે તે પાક માટે પાયાના ખાતર સાથે ખૂટતા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણસર ખાતર જમીનમાં આપી દેવું જોઈએ. જેથી છોડમાં તત્વની ખામી નિવારી શકાય. ફર્ટીલાઈઝર કન્ટ્રોલ ઓર્ડર ( એફ.સી.ઓ.) ધ્વારા પ્રમાણિત થયેલ સૂક્ષ્મ તત્વો યુકત ખાતરોની પૂર્તિ કરવી હિતાવહ છે. જયારે ઉભા પાકમાં ઉણપના લક્ષણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટતા તત્વોનું પ્રમાણસર પૂર્તિ છંટકાવથી કરવી જરુરી છે. આ સૂક્ષ્મ તત્વોની ઉણપ નિવારવા માટે ખાતરની પૂર્તિ નીચેના કોઠમાં દર્શાવ્યા મુજબ કરવી. સેન્દ્રિય ખાતરોમાં આ તત્વોનું પ્રમાણ વિશેષ હોવાથી તેની નિયમિત પૂર્તિ કરવાથી સૂક્ષ્મ તત્વોની ઉણપ મહદઅંશે નિવારી શકાય છે.

સૂક્ષ્મ તત્વની ઉણપ નિવારવા માટે ખાતરની પૂર્તિનું પ્રમાણ

તત્વનું નામ

પદાર્થ / ખાતરનું નામ

જમીનમાં ઉમેરવાના પદાર્થનું પ્રમાણ કિ.ગ્રા./હે. ( દર ત્રણ વર્ષે)

છંટકાવ માટે દ્રાવણનું પ્રમાણ પદાર્થ  ચુનાનું દ્રાવણ ( % )

લોહ

ફેરસ સલ્ફેટ( ૧૯ ટકા લોહ)

પ૦

૦.પ + ૦.રપ

મેંગેનીઝ

મેંગેનીઝસલ્ફેટ(૩૦ટકા મેંગેનીઝ)

૪૦

૦.પ +૦.રપ

જસત

ઝીંક સલ્ફેટ(ર૦ ટકા જસત)

રપ

૦.પ+ ૦.રપ

તાંબુ

કોપર સલ્ફેટ(ર૪ ટકા તાંબુ)

ર૦

૦.૪ + ૦.ર

બોરોન

બોરેકસ (૧૦.પ ટકા બોરોન)

૧પ

૦.ર

મોલીબ્લેડમ

એમો–મોલીબ્લેડેટ(પર ટકામોલિ)

૦.૦પ

મુખ્ય પોષક તત્વોની અસમતુલાનું નિવારણ

જમીનમાં રહેલ પોષક તત્વોની અસમતુલાની સુધારણા માટે પાકમાં સંકલિત પોષણ વ્યવસ્થાને અનુસરવી પડે. પાકની સંકલિત પોષણ વ્યવસ્થા એટલે જમીનમાં ઘટતા તથા પાકને આવશ્વયક પોષક તત્વો ચોકકસ પ્રમાણમાં જમીનમાં ઉમેરવા. ચોકકસ પ્રમાણ એટલે શું ? દા.ત. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ૪ :ર :૧ પ્રમાણમાં આપતા, આવું જ પ્રમાણ સૂક્ષ્મ તત્વ માટે પણ નકકી કરી શકાય છે. આવા સંતુલિત પ્રમાણ દરેક પાક માટે પણ નકકી થયા છે.

સ્ત્રોત : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate