অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી માટે ઉપયોગી ખેતર પર નું શીત સંગ્રાહક

શાકભાજી માટે ઉપયોગી ખેતર પર નું શીત સંગ્રાહક

ભારતમાં ફળ અને શાકભાજીનું વાર્ષિક ઉત્પાદન ૨૮૮ મિલિઅન ટન જેટલુ થયેલ છે. તાજેતરમા થયેલ રાષ્ટ્રીય સર્વે મુજબ ફળ –શાકભાજીનાં બગાડમાં ગુજરાત રાજ્યનો ક્રમ પક્ષિમ બંગાળ પછી બીજો છે. આ બગાડ અંદાજે રૂપિયામાં લગભગ ૧૧,૪૦૦ કરોડ જેટલો છે. આખા દેશનો આ બગાડનો અંદાજ પ્રતિ વર્ષ આશરે ૨ લાખ કરોડ રૂપિયા છે. ફળ-શાકભાજીનાં વર્ષે થતા બગાડ પાછળ નાં કારણૉમાં મુખ્યત્વે મર્યાદિત ફડ-પ્રોસેસીંગ યુનિટો, અપર્યાપ્ત  સંખ્યામા આધુનિક શીત સંગ્રાહકો અને તેનાં તરફનું ઉદાસીન વલણ વગેરે છે. લગભગ ૩૦% થી વધારે ફળ- શાકભાજી કાપણી પછીનાં યોગ્ય વ્ય્વસ્થાપનનાં અભાવે દર વર્ષે ગ્રાહક સુધી પહોચી શકતા નથી. આ નુકશાન/બગાડ અટ્કાવવા માટે ફળ- શાકભાજીના ઠંડા વહનની શ્રુંખલા સાથે રાષ્ટ્ર્ની શીત સંગ્રહ ક્ષમતા વધારવી જરૂરી છે. ઉત્પાદન અને સંગ્રહ વચ્ચેની મોટી ગેપ ખેતર ઉપર નાના, ઓછી કિંમતના શીત સંગ્રાહકો ઉભા કરી ઘટાડી શકાય.

 

કાપણી પછીની તાંત્રિકતાઓ અને વ્યવસ્થાપનનું કામ હજી પણ પ્રાથમિક કક્ષાએ ખુબ જ નબળુ છે. હજી પણ કાપણી માટે ઉપયુક્ત સાધનો / ઓજારો ઉપયોગમાં ન લેવાતા હોવાને તેમજ  પ્રણાલીકાગત અકાર્યક્ષમ પધ્ધતિઓ અપનાવવાને કારણે ખેતર લેવલે ઉત્પાદન પછીનું નુકશાન અને બગાડ વધારે છે. તદ્ઉપરાંત ખેતર પરના કાર્યો જેવા કે વર્ગીકરણ, સોર્ટીગ, ગ્રેડીંગ, કલીનીંગ, પેકેજીંગ, સંગ્રહ વિગેરે પણ ખુલ્લા આકાશ નીચે (તડકામાં) કરવામા આવે છે. જેને લીધે પણ ફળ શાકભાજીનો બગાડ વધે છે અને તેની ટકાઉ શકિત અને ગુણવત્તામા ઘટાડો થાય છે. ખેતર પર નાની ક્ષમતાનાં કોલ્ડ સ્ટોરેજ હાઉસ ઉભા કરવા શકય નથી. જેને બનાવવાનો, નિભાવવાનો તેમજ ચલાવવાનો ખર્ચ વધારે હોવાથી આર્થીક રીતે પરવડે તેમ નથી. પરંતુ કુદરતી રીતે ઉપલબ્ધ વાતાવરણ (ગરમી, ભેજ) નો ઉપયોગ કરી પરવડે તેવા શીત સંગ્રાહકો બનાવી શકાય. આવા શીત સંગ્રાહકોને વૈજ્ઞાનીક ભાષામાં ‘’ઈવેપોરેટીવ કુલીંગ સંગ્રાહક‘’ કહી શકાય. જેને ખેડુત ઉપયોગી ખેતર પરનુ  શીત સંગ્રાહક કહી શકાય. આવા સંગ્રાહકોની અંદર ઉનાળાના ધોમ ધખતા તાપમાં અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા ૧૦ થી ૧૫ ડીગ્રી જેટલુ નીચુ‍‍‍‍ રહે છે. આણંદ ક્રુષિ યુનિવર્સિટી દ્રારા આવુ શીત સંગ્રાહક બનાવવામા આવેલ છે.

ફળ અને શાકભાજીની કાપણી પછીના કાર્યો જેવા કે વર્ગીકરણ, સાફ-સફાઈ, પેકીંગ વગેરે ઠંડા વાતાવરણની અંદર કરવા માટે ઝુપડી જેવુ સ્ટ્ર્કચર બનાવવામાં આવેલ છે. જેને પોસ્ટ હાર્વેસ્ટ એકટીવીટી હટ કહે છે. જે નીચેના ચિત્રમા દેખાય છે. આ સ્ટ્ર્કચર લોખડની એંગલ, જાળી,પ્લાસ્ટીક શીટ, તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરી બનાવી શકાય. આ હટના જુદા જુદા ભાગો જેવા કે મુખ્ય સ્ટ્રકચર, પેડ હોલ્ડર, પાણીંની સિસ્ટ્મ, દિવાલ વગેરે છે.

આ સ્ટ્ર્કચર મજબુત અને સંપુર્ણ સુરક્ષિત છે. તેમજ તેમાં ખિસકોલી, પક્ષીઓ વગેરે પ્રવેશી શકતા નથી. જમીન સપાટીથી ઉપરનાં લેવલે કે ઉચાણવાળી જગ્યાએ બનાવી શકાય. વરસાદ થી સુરક્ષિત છે.

હટની ઉપરનો ભાગ ઢાળવાળો રાખવામાં આવે છે. જેને લીધે વરસાદનું પાણી વહી નીચે પડી જાય છે. સાઈડની દિવાલોમાં પોરસ પડ રાખવામાં આપે છે. જેને સતત ભીનું રાખવામાં આવે છે.  હટ ની સાઈડ દિવાલમાંથી હવા અંદર જાય છે. જેને લીધે અંદરનું તાપમાન ઘટે છે. કુદરતી રીતે હવાની હેરફેર થાય છે. જેથી અંદરની હવા ઠંડી અને તાજી રહે છે.

શાકભાજીને ઉતારીને હટની અંદર જ જો વર્ગીકરણ, સાફ-સફાઈ કામગીરી અને ફળ–શાકભાજીની પેકીંગ કરવાની કામગીરી, વગેરે કરવામાં આવે તો તેમાંથી ભેજનું બાષ્પીભવન ખૂબ ઓછુ થાય છે. જેને લીધે તેની તાજગી, કલર, અને ગુણવત્તા જળવાઈ રહે છે. આ ઉપરાંત જો શાકભાજીને થોડા દિવસો સુધી સંગ્રહવી હોઈ તો પણ કોઈ પણ નુકશાન વગર, વજનના ઘટ વગર સંગ્રહી શકાય છે. અંદાજે સામાન્ય સંગ્રહ કરતા લગભગ ત્રણ ગણા લાબા સમય સુધી આ  શીત સંગ્રાહકમા સંગ્રહી શકાય છે.

ઉપયોગિતાઓ:

  • એકવાર હટ બનાવ્યા પછી ચલાવવા માટે કોઈ પણ પ્રકારની ઉર્જાશકિતનો વપરાશ કરવો પડતો નથી. વીજળીની જરૂર નથી.
  • આ લો કોસ્ટ (ઓછા ખર્ચ વાળી) ટેકનોલોજી હોઇ, ખેતરે પણ બનાવી શકાય.
  • કુદરતી રીતે ઉપલબ્ધ તાપમાન અને ભેજનો ઉપયોગ દ્રારા અંદરનુ વાતાવરણ ઠંડુ રાખે છે.
  • આ સ્ટ્ર્કચર ઉનાળામાં ખાસ કરીને જયારે બહારનું વાતાવરણ સુકુ અને હવામા ભેજના ટકા ઓછા હોય ત્યારે વધારે કાર્યક્ષમતાથી કામ કરે છે.
  • ખિસકોલી, ઉંદર, પક્ષી, વગેરે જેવા નુકશાન કરતા જીવોથી સુરક્ષિત છે.
  • જરુરીયાત મુજબ નાની ક્ષમતાથી લઈ વધારે ક્ષમતા વાળી ઝુપડી બનાવી શકાય છે.
  • ઓફ સીઝનમાં અન્ય વપરાશમાં લઈ શકાય.
  • આ સ્ટ્ર્કચરને બનાવવા માટે કારીગરની જરૂર પડતી નથી, ગ્રામ્ય લેવલે ઉપલબ્ધ કારીગરો બનાવી શકે.
  • ચલાવવા માટે કોઈ તાંત્રીક / કુશળ કારીગર ની જરૂરીયાત રહેલી નથી.
  • સમયાંતરે પાણીની જરૂર રહે છે, જે ખેતર પર ૨૪ કલાક ઉપલબ્ધ હોય છે.
  • વિવિધ શાકભાજી એકી સાથે સંગ્રહી કે રાખી શકાય છે.

આમ ઉપરોકત ફાયદાઓ / ઉપયોગીતાઓ જોતા આ સ્ટ્ર્કચર ખેતર પરંતુ એક ઉત્તમ શીત સંગ્રાહક બની શકે છે. જો આ તાંત્રિકતાનો ઉપયોગ ખેડુત સમુદાય કે મોટે પાયે શાકભાજીનો વેપાર કે ખેતી કરતા વ્યકિતઓ દ્રારા કરવામાં આવે તો કાપણી પછી શાકભાજીમાં બહારની ગરમીને લીધે થતુ નુકશાન ઓછું કરી શકાય. બીજી રીતે કહીએ તો વધુ જથ્થામાં શાકભાજી બજારમાં ઉપલબ્ધ કરાવી શકાય.

કે.વી. વાળા અને ડૉ. આર. આર. ગજેરા

આણદ ક્રુષિ યુનિવસિટી, આણંદ,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate