অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દુકાળ પર નિયંત્રણ

પારંપરિક જ્ઞાનથી દુકાળ પર નિયંત્રણ

કેરળના પલક્કડ જિલ્લાના એરિમાયૂર ગામની પડાયેત્તી વસાહતનો મુખ્ય પાક ડાંગર છે. આ વસાહતમાં 69 પરિવારો રહે છે અને તેમની લગભગ એકસો એકર જમીનમાં ડાંગરની ખેતી કરે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કેરલ રાજ્ય જૈવિક વિવિધતા બોર્ડ અને ત્રિવેંદ્રમની એક સ્વૈચ્છિક સંસ્થા થાનલે અહીં જૈવિક વિવિધતાની પુન:સ્થાપના અને જૈવિક ગામના વિકાસ માટે ત્રણ સાલની એક યોજના શરૂ કરી છે.

આ ખેતરો પર્વતોની વચ્ચે આવેલી ખીણમાં છે. ઘરો ખેતરોથી થોડાક દૂર અને ડાંગરના ખેતરોથી ઉપરની બાજુએ છે. સરેરાશ વરસાદ 1200 મિલીમીટર છે, જે દક્ષિણ-પશ્ચિમ વરસાદથી આવે છે. કેરળના અન્ય ભાગોમાં પડે છે તેવો ઉત્તર-પૂર્વિય વરસાદ (થુલા વર્ષમ) અહીં નહિવત્ છે.

નિયમિત દુકાળ

વર્ષા આધારિત પરિસ્થિતિઓમાં ખેડૂતો બે પાકો લે છે. ઘણા ક્ષેત્રોમાં બીજો પાક કાયમ દુકાળની લપેટમાં હોય છે. માલમપુઝા ડેમની નહેરના પાણી ગામ પાસેથી વહે છે. જાન્યુઆરીના અંત સુધી તે પણ બંધ થઈ જાય છે. લગભગ 25 એકરમાં પથરાયેલા ડાંગરના ખેતરોના માલિકો, જેમના ખેતરો નહેરની હેઠવાસમાં અને નજીક છે, તેઓ નહેરના પાણીનો ઉપયોગ કરીને પિયત કરે છે.
પરન્તુ, તેઓ આ પાણીને વધારે દૂર સુધી લઈ જવા માટે પાઈપનો ઉપયોગ નથી કરી શકતા. ઉપરવાસમાં 2-3 સપ્તાહ સુધી ભેજની સમસ્યાને કારણે ખેડુતોના પાકને નુકશાન સામાન્ય છે. પીવાના પાણી માટે વસાહત ખુલ્લા કુવા ઉપર નિર્ભર રહે છે. અહીં કેટલાક સાર્વજનિક અને થોડાક અંગત કુવા છે. ફેબ્રુઆરી-માર્ચ સુધી આ ખુલ્લો કુવા સામાન્યપણે સુકાઈ જાય છે. લગભગ 10 ઘરોએ બોરવેલ પણ નાંખ્યા છે.
પર્વતોની મોટાભાગની જમીનો ખડકાળ છે. એક ગંભીર અધ્યયનમાં જાણવા મળે છે કે, ડાંગરના જે ખેતરો સારી સપાટી ધરાવતા નથી અને ફક્ત ખડકો છે. તેમાં તિરાડો જલ્દી પડી જાય છે. કેટલાક ખેડૂતો પાસે નાના તળાવો છે, જેને સ્થાનિક ભાષામાં કોક્કરની કહેવામાં આવે છે. જેનાથી એક કે બે વાર સિંચાઈ થઈ શકે છે. જેમના ખેતરોમાં કોક્કરની છે તે ગમે તેમ કરીને પણ પંપ સેટ ભાડે લઈને એક કે બે વખત સિંચાઈ કરે છે અને પાકને બચાવી લે છે.

પારંપરિક જળ સ્રોત

કોક્કરની એક પ્રકારની ખેત તલાવડી અથવા સ્રવણ તળાવ જ છે. સામાન્ય રીતે આ તળાવ કુલમના નામે ઓળખાતા માટીના ટાંકા કરતા નાનું અને ખુ્લ્લા કૂવા કરતા મોટું હોય છે. કામગીરીના સંદર્ભમાં તેની સરખામણી થાલકુલમ સાથે કરી શકાય. વૃદ્ધ કિસાન જબ્બાર કહે છે, "અમારા પૂર્વજોએ આવા ડઝનથી વધારે કોક્કરની ઊંચી જગ્યાઓએ ખોદ્યા છે. દાયકાઓ પહેલાં અમારા પૂર્વજોએ આ કામ કરેલા અને તે પણ માલમપુઝા બંધ બન્યો તે પહેલાં."
“" તે ઉનાળામાં પણ નથી સુકાતા. ફેબ્રુઆરી અને માર્ચમાં બીજા પાકની લણણી થઈ ગયા પછી કોક્કરનીનો ઉપયોગ નહાવા માટે પણ થતો. તે હેઠવાસમાં આવેલા ડાંગરના ખેતરોમાં ભેજ જાળવવામાં મદદરૂપ બનતા."
તો પછી ગરબડ કયાં થઈ? તો કહે છે, "જેમ જેમ પરિવારો અલગ થતા ગયા તેમ તેમ જમીનોના ટુકડા થતા ગયા. જમીન ઉપર અતિશય દબાણ આવવા માંડ્યું. કોક્કરનીના આવરા-ક્ષેત્ર સુધી પણ શક્કરીયા જેવા પાકો ઉગાડવા લાગ્યા. તેના લીધે પાણીના સ્રોતો ખતમ થયા અને ધોવાણ થયેલી જમીન તેમાં એકત્રીત થવા માંડી અને હવે તમને આ જળસ્રોતોનું નામો-નિશાન પણ જોવા નહીં મળે, જેને અમારા પૂર્વજોએ મહામહેનતે ખોદ્યા હતાં". લગભગ એક દશક પહેલાં જયારે ભયાનક દુકાળ પડ્યો, ત્યારે આ ખેડૂત સમુદાયને તેમના જૂના કોક્કરની યાદ આવ્યા. પોકલાઈન્સનો ઉપયોગ કરીને ડઝનેક ખેડૂતોએ તેમના ખેતરોની નજીક કોક્કરની ખોદી કાઢ્યા. જબ્બારે પણ બે કોક્કરની ખોદ્યા. દરેક કોક્કરની પાછળ તેમને રૂ. 15 હજારનો ખર્ચ થયો.
"અહીંની જમીન ઘણી પોચી હોવાથી દર વર્ષે તે ધસી પડે છે. જો તળાવો પાસેથી એક દાયકા સુધી કામ લેવાનું હોય તો અમારે તેની અંદરની બાજુએ પથ્થરની દીવાલ બનાવવી પડે. તે ઘણું મોંઘું છે," એમ જબ્બાર કહે છે. પડાયેત્તીમાં ત્રણ-ચાર ખેડૂતોએ આવી દીવાલ બનાવી છે. પથ્થરની દીવાલ બનાવવા કરતા ચોમાસુ શરૂ થાય તે પહેલાં એટલે કે પહેલા વરસાદ ટાણે જ વાળો ઘાસની હારમાળા વાવવી વધારે સસ્તો અને અસરકારક વિકલ્પ હોઈ શકે છે.

જ્યાં માલમપુઝા ડેમનું પાણી નથી પહોંચતું ત્યાં કોક્કરની અત્યારે પણ ઉપલબ્ધ છે અને તેની સાચવણી કરવામાં આવે છે. પડાયેત્તી જેમાં આવેલું છે એ એરીમયૂર પંચાયતમાં આવેલા કુલીસ્સેરીમાં ઘણા કોક્કરની છે. એવી રીતે કુથ્થનૂર પંચાયતના મરૂદમથડમમાં પણ કેટલાક કોક્કરની છે.

કોક્કરનીનો બીજો લાભ એ છે કે, ધીમા સ્રાવના કારણે જમીનની ઉપરી સપાટીના ભેજ અને ભૂર્ગભ જળનું સ્તર વધારે છે. સંબંધિત આવરા ક્ષેત્રના ઉપરવાસમાં આવા તળાવોનું ખોદાકામ કાયમ લાભદાયી હોય છે. કર્ણાટકના કોડાગૂ જિલ્લામાં દરેક પરિવારના ડાંગરના ખેતરોના ઉપરવાસમાં આવા માળખાં જોવા મળે છે. અત્યારે લોકો ડાંગરના ખેતરો અને ભુગર્ભ જળ સ્રોતોમાં તેનું યોગદાન ભૂલી ગયા છે.
જો આવરા ક્ષેત્ર ખડકાળ હોય તો, વ્યક્તિએ તેની જમીનના ઉપરવાસમાં આવા તળાવો ખોદવા જોઇએ, જેથી સ્રાવનો લાભ ખેતરના નીચલા સ્તર સુધી પહોંચી શકે. જો દરેક ખેડૂત આવા પ્રકારના સ્રાવ તળાવો ખોદશે તો, તેની સંયુક્ત અસરરૂપે ડાંગરના બીજા પાક પછી ચણા કે અડદ જેવો શીંગી પાક લઈ શકાશે.

5 ટકા મૉડલ

બિહારની એક બિન-સરકારી સંસ્થા પ્રોફેશનલ આસિસ્ટન્સ ફૉર ડેવલપમેન્ટ એક્શન, ટૂંકમાં પ્રદાને ત્યાં આ પ્રકારના માળખાંઓને લોકપ્રિય બનાવ્યા છે, એને પાંચ ટકા મૉડલ કહેવામાં આવે છે. પ્રદાનના કાર્યક્રમ નિર્દેશક દીનબંધુ કર્મકાર કહે છે, "આનો ઉદેશ્ય મૂળે પુરૂલિયા જિલ્લામાં વર્ષા આધારિત ડાંગરના પાકને લોકબોલીમાં હાથીયાના નામે ઓળખાતા સપ્ટેમ્બર મહિનાના નપાણીયા દિવસોથી બચાવવાનો હતો. સ્થળ પર જ જળ સર્જનના પાંચ ટકા મૉડલનો અર્થ છે, દરેક ખેતરમાં તેનો પોતાનો જળસ્રોત હોય, જે વરસાદનું પાણી સંગ્રહી શકે. કેમકે, પાકનો વિકાસ થતો હોય ત્યારે વરસાદની મોસમમાં આ પાણી નકામુ વહી જાય છે. ખાડાઓમાં સંગ્રહાયેલા પાણીનો ઉપયોગ તંગીના સમયે સિંચાઈ માટે કરી શકાય. ખાડા હેઠવાસના ખેતરો સુધી સપાટી નીચેનાં પાણીનો પ્રવાહ લઈ જવામાં પણ મદદરૂપ થાય છે અને સમગ્રપણે વિસ્તારના ભેજને રીચાર્જ કરે છે.

પડાયેત્તીના ખેડૂતો બીજા પાક માટે પણ પરંપરાગત લાંબા ગાળાની, 120 દિવસની ડાંગર ઉગાડે છે. ટૂંકા ગાળાની જાતો અને શ્રી પદ્ધતિ અપનાવવી એ ડાંગરના ખેતરોને દુકાળથી બચાવવા માટેના સંભવિત બે ઉપાયો છે. થાનલે અહીં શ્રી પદ્ધતિઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. તેમણે ડાંગરના ખેતરને ભાડે લઇને પ્રદર્શન ખેતી કરી.

હવે, જાગૃતિ માટેની કેટલીક કાર્યશાળાઓ પછી પડાયેત્તીના ખેડૂતો નવા કોક્કરની ખોદવામાં અને દુકાળ નિર્મૂલન પદ્ધતિઓમાં વધારે રસ લઈ રહ્યા છે. આ વિસ્તારનો 50 ટકા કરતા વધારે ભાગ સંપૂર્ણપણે સેન્દ્રીય ખેતી તરફ વળી ચૂક્યો છે, એવો દાવો છે કેરળની પર્યાવરણીય બિન-સરકારી સંસ્થા થાનલની એસ.
ઉષાનો. લગભગ ડઝનેક ઘરોમાં કોઈપણ રસાયણિક કાચા માલસામાનનો ઉપયોગ કર્યા વિના ઘરેલુ બગીચામાં શાકભાજી ઉગાડવાનું શરૂ થઈ ચૂક્યું છે. ધીમેથી, પણ મક્કમતાપૂર્વક, પડાયેત્તી તેની બીજી આઝાદી તરફ ગતિ કરી રહ્યું છે. કોને ખબર છે, આવનારા વર્ષોમાં પડાયેત્તી પલક્કડના બીજા દુષ્કાળગ્રસ્ત ડાંગર ખેતરોને કેટલાક પાઠ ભણાવે પણ ખરું. જોકે, આ પાઠોનો સારો એવો હિસ્સો ભૂતકાળમાંથી શીખેલા પાઠનું પુનરાવર્તન પણ હશે.

સ્રોત : શ્રી પેડ્રે, જળ પત્રકાર, પોસ્ટ વાણીનગર, વાયા – પેર્લા, કેરળ – 671552

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate